ગંગા હવે બનશે વધુ નિર્મળ, જળશક્તિ મંત્રી C.R. Paatil ની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
- મંત્રી C.R. Paatil એ ગંગા સફાઈ અભિયાનની સમીક્ષા કરી
- ઉત્તરાખંડમાં ગંગાનો મુખ્ય પ્રવાહ હવે પ્રદૂષણ મુક્ત છે
- યુપીમાં STP પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ
જળશક્તિ મંત્રી C.R. Paatil High Level Meeting: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમંત્રી ડૉ. રાજ ભૂષણ ચૌધરી (Dr. Raj Bhushan Chaudhary) તેમજ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય 'નમામી ગંગે' (Namami Gange) યોજના હેઠળ ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવાનો અને તેમાં નડતા અવરોધોને દૂર કરવાનો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગંગા નદીને સંપૂર્ણપણે સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે સરકારે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી દોહરાવી છે.
ઉત્તરાખંડની સિદ્ધિ અને ભવિષ્યનું આયોજન
સમીક્ષા દરમિયાન એ જાણવા મળ્યું હતું કે ઉત્તરાખંડમાં ગંગાના મુખ્ય પ્રવાહ પર હવે કોઈ પણ પ્રદૂષિત પટ્ટાઓ (Polluted Stretches) બાકી નથી, જે એક મોટી સફળતા ગણાય છે. હવે પછીનું ધ્યાન ગંગામાં ભળતી નાની ગટરોને સંપૂર્ણપણે અટકાવવા પર કેન્દ્રિત કરવામાં આવશે. આ માટે ગટર શુદ્ધિકરણ માળખાને વધુ મજબૂત બનાવવામાં આવશે જેથી ભવિષ્યની જરૂરિયાતો અને વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને ગંદા પાણીના નિકાલની ક્ષમતા વધારી શકાય. તમામ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં પડકારો અને નિર્દેશો
ઉત્તર પ્રદેશના મુખ્ય શહેરો જેવા કે કાનપુર, પ્રયાગરાજ અને વારાણસીમાં ચાલી રહેલા STP પ્રોજેક્ટ્સની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ શહેરોમાં ડ્રેઇન ટેપિંગ અને ડાયવર્ઝન (Drain Tapping and Diversion) પ્રોજેક્ટ્સમાં થઈ રહેલા વિલંબ અંગે મંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને જમીનની ઉપલબ્ધતા અને વહીવટી મંજૂરીઓમાં આવતા વિલંબને તાત્કાલિક ઉકેલવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. સરકારનું લક્ષ્ય છે કે ગંગામાં એક પણ ટીપું અશુદ્ધ પાણી ન જાય તે સુનિશ્ચિત કરવું. આ બેઠક બાદ ગંગા નદીની સ્વચ્છતાને લઈ સફાઈ અભિયાન તેજ થવાનું છે.
100% ગટર શુદ્ધિકરણનું લક્ષ્ય
સાથે સાથે આગામી સમયમાં ટેકનોલોજીના માધ્યમથી પ્રોજેક્ટ્સનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે. મંત્રી સી.આર. પાટીલે સ્પષ્ટ કર્યું હતું કે 100% ગટર શુદ્ધિકરણ એ માત્ર એક ટાર્ગેટ નથી પણ ગંગાના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. તમામ પ્રોજેક્ટ્સનો સમયસર અમલ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારું સંકલન સાધવામાં આવશે. પ્રદૂષણ મુક્ત ગંગા માટે માળખાગત સુવિધાઓમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ Junagadh માં કુદરતની મહેર, ડેમના દરવાજાના સમારકામે સૂકી ઓઝત નદીને કરી જીવંત


