Mahesana : દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં થયો હોબાળો, ચેરમેને વાઇસ ચેરમેનને લાફો માર્યા હોવાનો કરાયો આક્ષેપ
- મહેસાણાની દૂધસાગર ડેરીમાં 'લાફા'કાંડ!
- ચેરમેન અશોક ચૌધરી પર થયો મોટો આરોપ
- વાઈસ ચેરમેન યોગેશ પટેલને લાફો માર્યાનો આરોપ
- યોગેશ પટેલ જૂથે પોલીસ સ્ટેશનમાં નાખ્યા ધામા
- અશોક ચૌધરી વિરૂદ્ધ પોલીસને આપી અરજી
મહેસાણા દૂધ સાગર ડેરીમાં રાજકારણ ગરમાયું છે. મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયો હતો. ચેરમેન અશોકભાઈ ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. વાઈસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ચેરમેન અશોક ચૌધરી સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચી અરજી આપી હતી. જ્યારે ચેરમેનને પ્રશ્ન પૂછતાં ચેરમેન દ્વારા લાફો માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. ભાજપના મેન્ડેડથી બન્યા છે ચેરમેન અને વાઈસ ચેરમેન.
પારદર્શકતા સાથે વહીવટ કરાઈ રહ્યો છેઃ અશોક ચૌધરી
વાઈસ ચેરમેનને લાફો મારવાના આક્ષેપ મામલે ચેરમેન અશોકભાઈ ચૌધરીએ ખુલાસો કર્યો હતો કે, સત્તા પરિવર્તન થયા પછી ડેરીનો વિકાસ થયો છે. પારદર્શકતા સાથે વહીવટ કરાઈ રહ્યો છે. છેલ્લા સાડા ચાર વર્ષતી ડેરીના સુલભ અને કુશળ વહીવટથી પશુપાલકો ખુશ છે. મારા પર કરાયેલ આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે. વાઈસ ચેરમેન જે પ્રશ્નો લઈને આવ્યા હતા અમે તેમને સાંભળ્યા અને તેનો જવાબ પણ આપ્યો છે. વાઈસ ચેરમેન યોગેશ પટેલ બોર્ડ મિટિંગ પહેલા જ ડિરેક્ટરોને આજે ઝઘડો કરવાના છે તેવું કીધું હતું. યોગેશ પટેલ દ્વારા ઉગ્ર બની અસભ્ય વર્તન કર્યું હતું. અમે તેમને સમજાવ્યા અને તે જાતે બોર્ડ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા. લાફો મારવાનો આક્ષેપ પાયા વિહોણો છે. તે વાતાવરણ ડોહળવાજ આવ્યા હતા.
આ પણ વાંચોઃ Rajkot:ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળી, પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો
અચાનક ઉશ્કેરાઈ જઈ મારી પર હુમલો કર્યોઃ યોગેશ પટેલ
મહેસાણા દૂધ સાગર ડેરીનાં વાઈસ ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આજે અમારી બોર્ડ બેઠક હતી. બોર્ડ બેઠકમાં અમે પ્રશ્નોત્તરી ઘરેથી લઈને ગયા હતા. સાગર પત્રિકામાં થોડી ગોલ માલ હતી. એટલે હું ચેરમેનને પ્રશ્નોત્તરી કરતો હતો. એ જવાબ પણ આપતા હતા. ત્યારે તેઓ અચાનક ઉશ્કેરાઈ જઈ મારી પર હુમલો કર્યો હતો. હુમલો કર્યા પછી તેઓએ મારી સાથે લાફા લાફી કરી હતી. મારી જોડે કનુભાઈ પટેલ અને એલ.કે. ચૌધરી ન હોત તો મારે જોખમ હતું. ચાલુ મીટીંગમાં જ માથાકૂટ થવા પામી હતી. અગાઉ પણ મને જ્યારે પાર્ટીએ વાઈસ ચેરમેન બનાવ્યો હતો. અને પાર્ટીના વફાદાર સૈનિક તરીકે કામ કરવા માંગતો હતો. થોડા ભ્રષ્ટ્રાચાર મારી નજરમાં આવ્યા હતા. એટલે ભ્રષ્ટ્રાચાર બહાર કાઢવાના પ્રયત્નમાં મારી પર ઉશ્કેરાઈ અગાઉ પણ જ્યારે વાઈસ ચેરમેન બન્યો હતો. ત્યારે એમના ભાઈઓ, એમના સબંધીઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.