VADODARA : શિસ્તભંગ બદલ શહેર ભાજપ પ્રમુખની મોટી કાર્યવાહી, બે નું સભ્યપદ રદ
- વડોદરામાં રાજકીય ભૂકંપ આવે તેવી આકરી કાર્યવાહી
- શિસ્તનું સતત ઉલ્લંઘન કરતા બે મોટા નેતાઓને પાણીચું પકડાવાયું
- હાલના કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટરનું પ્રાથમિક સભ્યપદ છીનવાયું
- બંને કિસ્સામાં કાર્યવાહી કરવા બદલ કોઇ નક્કર કારણનો ફોડ પાડવામાં આવ્યો નથી
VADODARA : વડોદરા શહેર ભાજપ પ્રમુખ દ્વારા એક હાલના કોર્પોરેટર અને એક પૂર્વ કોર્પોરેટર સામે શિસ્તભંગના આકરા પગલાં લેતા બંનેનું પાર્ટીમાંથી સભ્ય પદ છીનવી લીધું છે. જેને પગલે રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. વોર્ડ નં – 15 ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશી અને પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિને પાર્ટીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ પત્રિકા કાંડમાં સંડોવાયેલા તત્કાલિન શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબચિયાને પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું. જે બાદ વધુ એક વખત આકરી કાર્યવાહી કર્યાનું સામે આવ્યું છે.
ભાજપમાંથી પ્રાથમિક સભ્યપદ રદ્દ કરતો પત્ર સપાટી પર આવ્યો
વડોદરા ભાજપના વોર્ડ નં – 15 ના કોર્પોરેટર આશિષ જોશી અને વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિનું પ્રજાપતિનું પ્રાથમિક સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે. 8, મે 2025 ના રોજ મોડી રાત્રે બંનેનું ભાજપમાંથી પ્રાથમિક સભ્યપદ રદ્દ કરતો પત્ર સપાટી પર આવ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, વખતો વખત આપને પાર્ટી દ્વારા લેખિત અને મૌખિકમાં શિસ્તમાં રહેવા માટે જણાવાયું હતું. અનેક પ્રસંગમાં આપના વર્તન અને વ્યવહારથી પાર્ટીની છબી બગડી રહી છે. આ બાબતે આપને કારણદર્શક નોટીસ આપવા છતાં વ્યવહારમાં સુધારો થયો નથી. અને કેટલીક જગ્યાએ પાર્ટીની છબી ખરડવામાં સહભાગી થયા હોય તેમ ખાતરી થયેલી છે.
સક્રિય અને પ્રાથમિક સભ્યપદેથી બરખાસ્ત
વધુમાં પત્રમાં જણાવ્યું કે, જે બાબતે પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી આપને ભારતીય જનતા પાર્ટીના સક્રિય અને પ્રાથમિક સભ્યપદેથી બરખાસ્ત કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયમાંથી પ્રથમ વખત આટલી મોટી આકરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડ વિરૂદ્ધ પત્રિકા કાંડના મુખ્યસુત્રધાર તત્કાલિન શાસકપક્ષના નેતા અલ્પેશ લિંબચિયાને પાર્ટીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ સૌથી મોટી અને આકરી કાર્યવાહી ગણવામાં આવી રહી છે.
કોઇ વિગતવાર ફોડ પાડવામાં આવ્યો નથી
રાજકીય સુત્રોના જણાવ્યા અનુસાર, વોર્ડ નં – 15 ના કોર્પોરેટર આશિષ જોશીને હરણી બોટકાંડ પીડિત પરિવારો સાથેની નીકટતા નડી છે, જ્યારે પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ દ્વારા પાર્ટીની શિસ્તને શોભે નહીં તેવી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. જેથી બંને કિસ્સામાં આકરી કાર્યવાહી કરવામાં આવી હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. જો કે, કયા કારણોસર બંને સામે કાર્યવાહી કરવામાં આવી છે, તે અંગે કોઇ વિગતવાર ફોડ પાડવામાં આવ્યો નથી.
આ પણ વાંચો --- Gir Somnath: પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા કરાયો વધારો