VADODARA : જળાશયોમાં ડૂબી જવાની ઘટના રોકવા તંત્ર સજ્જ બન્યું
- ડૂબી જવાના કિસ્સા ડામવા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું
- માલસર અને દિવેર ખાતે અનેકને સાંકળતી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું
- સાધનો સાથે અને તે વગર કેવી રીતે રેસ્ક્યૂ કરવું તેના પર ભાર મુકાયો
VADODARA : જળાશયો નજીક વારંવાર ડૂબવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) વહીવટીતંત્રે વડોદરા જિલ્લાના માલસર (MALSAR) અને દિવેર (DIVER) સ્થળો પર એક મોકડ્રીલનું આયોજન કર્યું છે. આ મહત્ત્વપૂર્ણ કવાયતમાં રાજ્ય આપત્તિ રાહત દળ (SDRF), આપદામિત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર, તલાટીઓ, સરપંચો અને આસપાસના ગામોના નાગરિકો સહિત વિવિધ વિભાગો જોડાયા છે. તાલીમ દરમિયાન લોકોને "ગોલ્ડન અવર" – એટલે કે અકસ્માત પછીનો સૌથી નાજુક સમયગાળો – દરમિયાન શું કરવું અને કેવી રીતે જીવ બચાવવો, તેના પાયાના જ્ઞાન આપવામાં આવ્યા છે.
અસરકારક પગલાં લેવાનું શરૂ કર્યું
ગુજરાતમાં જળાશયો નજીક સુંદર સ્થળો છે, જે મુલાકાતીઓ માટે સંપૂર્ણ પ્રવાસન સ્થળ પૂરા પાડે છે. પરંતુ તાજેતરમાં વારંવાર ડૂબવાની ઘટનાઓએ ભયજનક પરિસ્થિતિ ઊભી કરી છે, જેના કારણે વહીવટીતંત્રે તેને નિયંત્રિત કરવા માટે અસરકારક પગલાં લેવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં વડોદરા જિલ્લા વહીવટીતંત્રે લોકપ્રિય માલસર અને દિવેર સ્થળો પર સલામતીના પગલાં અને કટોકટીમાં ઝડપી કાર્યવાહી અંગે જાગૃતિ લાવવા માટે એક મોકડ્રીલનું આયોજન કર્યું છે.
તાત્કાલિક સારવાર આપી
મોકડ્રીલ દરમિયાન ટીમોએ વાસ્તવિક દૃશ્યો આધારિત કાર્ય પ્રદર્શન કર્યું હતું. એક વ્યક્તિ ડૂબી રહી છે એવી પરિસ્થિતિમાં તરત કાર્યવાહી કરી, બચાવ ટીમે તેને પાણીમાંથી બહાર લાવ્યા પછી CPR (હૃદયસંચાર પુનઃપ્રારંભ) જેવી તાત્કાલિક સારવાર આપી હતી. સ્થળ પર હાજર નાગરિકોને પણ CPR અને લાઇફ સેવિંગ ટેક્નિક્સની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી – જેથી આવનારા સમયમાં કોઈપણ ઘટનામાં સ્થાનિક લોકોએ પણ પોઝિટિવ ભૂમિકા ભજવી શકે.
માર્ગદર્શન આપવામાં આવ્યું
કવાયત દરમિયાન જળસંકટ સમયે ઉપયોગી બોટ, લાઇફ જેકેટ, દોરડા વગેરે સાધનો સાથે તેમજ એના વિના પણ બચાવ કામગીરી કેવી રીતે કરવી તેની પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. પરિસ્થિતિઓ અનિયંત્રિત હોય કે નિયંત્રિત – બંનેમાં જ અસરકારક બચાવ કેવી રીતે શક્ય બને – તેનું વર્ણન પ્રાયોગિક રીતે સમજાવાયું.
મહત્વપૂર્ણ પગલું વધુ વિસ્તૃત સ્વરૂપે લીધું
મહત્ત્વપૂર્ણ છે કે, અહીં માત્ર તાલીમ ન હતી – પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો અને જીવ બચાવવા માટે કૌશલ્ય વિકાસનો સક્રિય પ્રયાસ હતો. મામલતદાર કચેરીની ટીમ પણ બંને સ્થળોએ હાજર રહી કાર્ય વ્યવસ્થાને સમર્થન આપી અને સમગ્ર કાર્યક્રમનો સંકલન સુચારૂ રીતે કર્યું. મહિસાગર નદી નજીક અગાઉ યોજાયેલી મોકડ્રિલ પછી આ મહત્વપૂર્ણ પગલું વધુ વિસ્તૃત સ્વરૂપે લીધું છે – જેથી વડોદરા જિલ્લાના તમામ જળાશયો નજીક માનવજીવન સુરક્ષિત રહે અને ભવિષ્યમાં દુર્ઘટનાઓનો ભય ઘટાડવો શક્ય બને.
આ પણ વાંચો --- Rashifal 7 June 2025 : આ રાશિના જાતકોને આજે જીવનસાથીનો મળશે સહયોગ