VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ એન્જિનિયરો વિરૂદ્ધ ACB માં તપાસ શરૂ
- ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બેજવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી
- એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સંપત્તિની વિગતો મેળવાઇ
- આવક કરતા વધારે સંપત્તિ મળી આવી તો કાર્યવાહી થશે
- માર્ગ અને મકાન વિભાગમાં કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ
VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટના (GAMBHIRA BRIDGE TRAGEDY) માં પ્રાથમિક કારણોસર બેજવાબદાર ઠરેલા ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ (SUSPENDED ENGINEER) કરી દેવામાં આવ્યા હતા. આ મામલે સસ્પેન્ડેડ એન્જિનિયરોની મિલકતોની તપાસ કરવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માંગ કરવામાં આવી હતી. જે અંગેની મંજુરી મળી જતા આજે વડોદરા એન્ટી કરપ્શન બ્યુરો (ANTI CORRUPTION BUREAU - VADODARA) ની ઓફિસે સસ્પેન્ડેડ પૈકી ત્રણ એન્જિનિયરો પોતાનો જવાબ લખાવવા માટે આવ્યા છે. આજથી સસ્પેન્ડેડ એન્જિનિયરો વિરૂદ્ધની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમો પણ જોડાઇ ગઇ છે. એસીબીની તપાસમાં આવનાર સમયમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા પત્ર લખવામાં આવ્યો
વડોદરાના પાદરા નજીક આવેલા મુજપુરાનો ગંભીરા બ્રિજનો એક ભાગ તાજેતરમાં તુટ્યો હતો. આ ઘટનામાં બ્રિજ પરથી પસાર થતા અનેક વાહનો મહી સાગર નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં 20 થી વધુ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના બાદ શરૂ કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સરકારના રોડ અને મકાન વિભાગના ચાર એન્જિનિયરો દોષિત ઠરતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ તમામની મિલકતોની તપાસ કરવા માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો.
તમામ સામે ભ્રષ્ટાચારનો આરોપ મુકવામાં આવ્યો
આજે વડોદરાની એન્ટી કરપ્શન બ્યુરો શાખા દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે સસ્પેન્ડ થયેલા એન્જિનિયરો વિરૂદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે. આજે કચેરીએ સસ્પેન્ડેડ ચાર પૈકી ત્રણ પોતાનો જવાબ લખાવવા માટે જરૂરી દસ્તાવેજોની ફાઇલો સાથે પહોંચ્યા છે. હાલ એન્ટી કરપ્શન બ્યુરોની કચેરી ખાતે યુ. સી. પટેલ, આર. ટી. પટેલ અને જે. વી. શાહ હાજર છે. તમામ સામે ભ્રષ્ટાચારનો આરોપ મુકવામાં આવ્યો છે. આ બાબતની તપાસ માટે ત્રણેય અહિંયા આવ્યા છે. તમામના કાર્યકાળ દરમિયા કયા પ્રકારે મિલકતો વસાવી છે, અને કોઇ શંકાસ્પદ લેવડ-દેવડ થઇ છે કે કેમ તેના પર એસીબીની ટીમો વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. તમામ સસ્પેન્ડેડ પૈકી એન્જિનિયર એન. એમ. નાયકાવાલાને નહીં બોલાવવામાં આવતા લોકો વચ્ચે તરહ તરહના સવાલોએ સ્થાન લીધું છે.
આ પણ વાંચો ---- VADODARA : છાણી સ્મશાનમાંથી લાકડા લઇ જવાતા વિરોધ, કોર્પોરેટર સાથે ઘર્ષણ