વડોદરા શહેરની વધતી જતી જરૂરિયાતોને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા અગાઉની 100 બસોના બદલે હવે કુલ 250 એસી ઈલેક્ટ્રિક બસો મંજૂર કરવામાં આવી છે. આ યોજનાના પ્રથમ ચરણમાં કુલ 130 બસો ફાળવવામાં આવનાર છે, જેના ભાગરૂપે આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ફર્સ્ટ એઈડ કિટની સુવિધા પણ ઉપલબ્ધ છે બસમાં
આ ઈલેક્ટ્રિક બસો ‘ઝીરો એિમશન’ ટેકનોલોજીથી સજ્જ હોવાથી શહેરના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે અને નાગરિકોને શુદ્ધ હવામાં મુસાફરીનો લાભ મળશે. આ તમામ બસો સંપૂર્ણ એર-કન્ડિશન્ડ અને અવાજરહિત હોવાથી મુસાફરી વધુ સુખદ અને આરામદાયક બનશે.
મુસાફરોની સુરક્ષા માટે બસોમાં સીસીટીવી કેમેરા, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, અકસ્માત સામે રક્ષણ માટે ફાયર એક્સટિંગ્વિશર અને ફર્સ્ટ એઈડ કિટની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ બસો વ્હીલચેર એક્સેસિબલ છે
દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે પ્રાધાન્ય સીટો તેમજ મહિલાઓ માટે ખાસ 'પિન્ક સીટ્સ' અનામત રાખવામાં આવી છે. પસંદગીની બસોમાં હાઈડ્રોલિક લિફ્ટ અને રેમ્પની સુવિધા પણ આપવામાં આવી છે.
તદુપરાંત આધુનિક મુસાફરી માટે ડિજિટલ ટિકિટિંગ, લાઈવ ટ્રેકિંગ માટે જી.પી.એસ. સિસ્ટમ અને એનાઉન્સમેન્ટ માટે 'પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ' કાર્યરત રહેશે. નાગરિકો રોકડ ઉપરાંત યુપીઆઈ, ટિકિટિંગ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટિકિટ મેળવી શકશે.
વડોદરાના જાહેર પરિવહન માળખામાં નૂતન ઊર્જાનો સંચાર થયો છે
બસોના સુચારૂ સંચાલન માટે ગોત્રી, સયાજીગંજ, નિઝામપુરા, સયાજીપુરા અને મકરપુરા ખાતે ખાસ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજ્યમંત્રી ડો. મનીષાબેન વકીલ, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકાની આ પર્યાવરણપ્રેમી પહેલ માત્ર મુસાફરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આવનારી પેઢીને દૂષણમુક્ત વાતાવરણ આપવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. આ એસી ઈલેક્ટ્રિક બસોના આગમનથી વડોદરાના જાહેર પરિવહન માળખામાં નૂતન ઊર્જાનો સંચાર થયો છે.
આ પણ વાંચો : Vadodara : iNDEXTb એ સ્થાપ્યો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ, CM ભૂપેન્દ્રભાઈ પટેલે એનાયત કર્યું પ્રમાણપત્ર