VADODARA : હથિયાર પરવાના કૌભાંડનો રેલો જિલ્લામાં પહોંચ્યો, ત્રણ સામે તવાઇ
VADODARA : રાજ્યયમાં નકલી ડોક્યૂમેન્ટ્સના આધારે હથિયારનો પરવાનો મેળવવાનું સુનિયોજિત કૌભાંડ ખુલ્લી પડ્યું છે. જેની તપાસ એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં વડોદરા શહેર-જિલ્લા સુધી તપાસનો રેલો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા જિલ્લાના કરજણના ભાજપના કોર્પોરેટર, મંજુસરના ભાજપના અગ્રણી તથા શહેરના બાપોદ વિસ્તારના માટીના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિને શંકાના દાયરામાં રાખવામાં આવ્યા છે. અને એટીએસ દ્વારા ત્રણેયના નિવેદન લેવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સાથે જ તેમના હથિયાર જમા કરાવી લેવામાં આવ્યા છે. (THREE SUSPECTED IN BOGUS GUN LICENCE SCAM - VADDOARA)
ફાયદો ગન ડીલર અને સેંકડો લોકો દ્વારા લેવામાં આવ્યો
નકલી ડોક્યૂમેન્ટ્સના આધારે હથિયાર મેળવવાના કૌભાંડનો સુત્રધાર અને ગન ડીલર શૌકલઅલીના ઝડપાયા બાદથી નિતનવા ખુલાસા થઇ રહ્યા છે. ગેરકાયદેસર હથિયાર મેળવવા માટે નાગાલેન્ડ અને મણીપુર ના રહીશ હોવાના નકલી ડોક્યૂમેન્ટ્સ ઉભા કરવામાં આવતા હતા. બંને રાજ્યો નક્સલ પ્રભાવિત હોવાના કારણે હથિયારનો પરવાનો આસાનીથી મળી જતો હતો. આ હથિયારનો પરવાનો ઓલ ઇન્ડિયા કરાવી લેવામાં આવતો હતો. જેનો ફાયદો ગન ડીલર અને સેંકડો લોકો દ્વારા લેવામાં આવ્યો છે. રૂ. 5 થી 10 લાખ લઇને પ્રતિ વ્યક્તિ આ લાયસન્સ મેળવી આપવામાં આવતું હતું.
માથાભારે મુન્નો ભરવાડ હાલ જેલહવાલે છે
હાલ આ મામલાની તપાસ ગુજરાત એટીએસ કરી રહી છે. જેમાં અત્યાર સુધીની તપાસમાં રેલો વડોદરા શહેર અને જિલ્લા સુધી આવી પહોંચ્યો છે. કરજણના ભાજપના કોર્પોરેટર ગોકુલ ભરવાડ, મંજુસરમાં ભાજપના અગ્રણી વિજય વાઘેલા તથા શહેરના બાપોદ વિસ્તારમાં ભરત ભરવાદને શંકાના દાયરામાં રાખવામાં આવ્યા છે. આ સાથે ચોથો વ્યક્તિ ગોત્રીનો મુન્નો ભરવાડ છે, પરંતુ હાલ તે જેલહવાલે છે. ગોકુલ ભરવાડ, ભરત ભરવાડ અને વિજય વાઘેલા માટી ખનનના કામ સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક સુત્રોએ જણાવ્યું હતું.
ત્રણેયના નિવેદન નોંધવામાં આવ્યા
સુત્રોએ ઉમેર્યું કે, શુક્રવારે નંબર પ્લેટ વગરની કારમાં એટીએસના અધિકારીઓ આવ્યા હતા. ગેરકાયદેસર ડોક્યૂમેન્ટ્સના આધારે હથિયાર મેળવાર તત્વો પાસેથી તેમના હથિયાર જમા કરાવી લેવામાં આવ્યા છે. અને તેમના નિવેદન નોંધવામાં આવ્યા છે. આગામી સમયમાં તપાસના ભાગરૂપે ત્રણેયની અટકાયત કરવામાં આવે તો નવાઇ નહીં. આગામી સમયમાં વડોદરા શહેર-જિલ્લાના વધુ લોકો સુધી કૌભાંડની તપાસનો રેલો પહોંચે તેવી શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો --- VADODARA : આગમાં રૂ. 8 લાખનું નુકશાન, ટેલિકોમ કંપનીને નોટીસની તજવીજ