VADODARA : નોનવેજ કચરાનો આડેધડ નિકાલ કરનારા પર તંત્રનો સપાટો
- પાણીગેટ ભદ્ર કચેરી પાસે પાલિકાની કાર્યવાહી
- ઇંડા અને નોનવેજના કચરાનો નિકાલ કરનારને પકડ્યા
- દંડ વસુલી ફરી આવું નહીં કરવા કડક શબ્દોમાં ચેતવણી આપી
VADODARA : વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ઇંડા અને નોનવેજના કચરાનો આડેધડ નિકાલ કરવામાં આવતો હોવાની ઘટના સપાટી પર આવી હતી. આ અંગેની ફરિયાદ પાલિકા તંત્ર સુધી પહોંચતા જ વોર્ડ કક્ષાએ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે બાદ ઇંડા અને નોનવેજના કચરાનો આડેધડ નિકાલ કરનારા 6 વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેને પગલે સ્થાનિકોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. તો બીજી તરફ આ પ્રકારે કચરાનો આડેધડ નિકાલ કરનારાઓમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો હતો.
સ્થાનિકો જોડે અવાર-નવાર ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવતી
શહેરને ચોખ્ખુ ચણાક બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે. છતાં કેટલાક વિસ્તારોમાં લોકો સુધરવાનું નામ નહીં લેતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં પાણીગેટ ભદ્ર કચેરીનો સામે આવ્યો છે. અહિંયા ઇંડા અને નોનવેજની લારી ચલાવતા શખ્સો દ્વારા ઇરાદાપૂર્વક રીતે ઇંડા અને નોનવેજના કચરાનો આડેધડ નિકાલ કરવામાં આવતો હતો. જેને પગલે સ્થાનિકો જોડે અવાર-નવાર ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવતી હતી.
રૂ. 1,100 નો દંડ વસુલવામાં આવ્યો
આખરે આ અંગેની ફરિયાદો પાલિકા તંત્ર સુધી પહોંચતા વોર્ડ કક્ષાએ ટીમો કામે લાગી હતી. વોર્ડ 14 ની ટીમ દ્વારા વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 6 શખ્સો કસુરવાર જણાતા તેમની પાસેથી રૂ. 1,100 નો દંડ વસુલવામાં આવ્યો છે. સાથે જ આ પ્રકારની ભૂલનું પુનવર્તન નહીં કરવાનું સુચન કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીને પગલે સ્થાનિકોમાં ભારે ખુશીની લાગણી વ્યાપી છે, તો બીજી તરફ બેદરકાર વેપારીઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : બે મહિના પહેલા તૈયાર કરાયેલા રોડ પર ભૂવો પડતા આશ્ચર્ય