વેનેઝુએલામાં 20થી વધુ દેશોના 2,000થી વધુ બચાવકર્મીઓ મેદાને
વેનેઝુએલામાં સર્જાયેલી વિનાશક દુર્ઘટના બાદ સમગ્ર વિશ્વ મદદ માટે એકજૂટ થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીને વેગ આપવા માટે અત્યાર સુધીમાં 20થી વધુ દેશોના 2,000થી વધારે બચાવકર્મીઓ પહોંચી ચૂક્યા છે અને સતત બચાવ કાર્યમાં જોડાયેલા છે. શનિવાર સુધીમાં જ 17 વિશેષ વિમાનો મારફતે 1,600થી વધુ વિદેશી રેસ્ક્યુ ટીમના સભ્યો વેનેઝુએલા પહોંચ્યા હતા, જેમાં અમેરિકા, મેક્સિકો, બ્રાઝિલ, ફ્રાન્સ અને અલ સાલ્વાડોર સહિત અનેક દેશોના અનુભવી નિષ્ણાતો સામેલ છે. બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ભારે મશીનો, થર્મલ અને સાઉન્ડ ડિટેક્શન સિસ્ટમ જેવા આધુનિક સાધનો તેમજ સ્નિફર ડોગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કાટમાળ નીચે ફસાયેલા લોકોને ઝડપથી શોધી સુરક્ષિત બહાર કાઢી શકાય.
લા ગ્વાઇરામાં કાટમાળ હટાવી રહ્યા છે લોકો
આ ભૂકંપમાં સૌથી વધુ નુકસાન 'લા ગ્વાઇરા' (La Guaira) રાજ્યમાં થયું છે. અહીંના દ્રશ્યો અત્યંત હ્રદયદ્રાવક છે. સ્થાનિક લોકો પોતાના સ્વજનો અને પાડોશીઓને બચાવવા માટે સરકારી મદદની રાહ જોયા વિના માત્ર ફાવડા, દોરડા અને ઘણી જગ્યાએ તો પોતાના ખુલ્લા હાથે જ કાટમાળ હટાવી રહ્યા છે. લોકો તૂટેલી અને જોખમી ઈમારતો પર ચડીને પોતાના પરિવારજનોના નામ પોકારી રહ્યા છે, એ આશામાં કે ક્યાંકથી કોઈ જીવતો અવાજ સંભળાય. ધૂળની ડમરીઓ, આકરી ગરમી અને મૃતદેહોમાંથી આવતી દુર્ગંધ વચ્ચે પણ આ લોકો હિંમત હાર્યા વિના રાત-દિવસ બચાવ કાર્ય કરી રહ્યા છે.
સરકારી તંત્રની નિષ્ફળતા અને લોકોનો આક્રોશ
જ્યારે આફત મોટી હોય ત્યારે વહીવટી તંત્રની ઝડપ ખૂબ જ મહત્વની બની જાય છે, પરંતુ અહીં સરકાર અને પ્રશાસનની ધીમી કામગીરીથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનો સીધો આરોપ છે કે સેના, પોલીસ અને પ્રશાસન આટલી મોટી આફતનો સામનો કરવા માટે બિલકુલ તૈયાર ન હતા. સ્થાનિક મહિલા, મિલાડી રોમેરોએ જણાવ્યું હતું કે, રાતના સમયે કાટમાળ નીચે ઘણા લોકો જીવતા હતા, અમે તેમના અવાજ સાંભળ્યા હતા. પરંતુ સમયસર મદદ ન મળવાને કારણે તેઓને બચાવી શકાયા નહીં.
યેસન માર્કાનો નામના યુવકે તો એવો પણ આરોપ લગાવ્યો કે કેટલાક સરકારી અધિકારીઓ માત્ર સ્થળ પર આવ્યા, ફોટો પડાવ્યા અને ચાલ્યા ગયા. જ્યારે બીજી તરફ સ્થાનિક લોકો છેલ્લા 3 દિવસથી સતત જીવના જોખમે રાહત કાર્ય કરી રહ્યા છે. લોકોનો ગુસ્સો એટલી હદે વધી ગયો હતો કે એક જગ્યાએ રોષે ભરાયેલા નાગરિકોએ સરકારી ખોદકામ મશીનને જ રોકી દીધું હતું, કારણ કે અધિકારીઓ કોઈ નક્કર મદદ કર્યા વિના જ પાછા ફરી રહ્યા હતા. ભૂકંપ પછીની શરૂઆતની અમૂલ્ય ક્ષણોમાં સરકારી મદદનો અભાવ લોકો માટે અસહ્ય બની ગયો છે.
60 લાખ લોકો પ્રભાવિત
સંયુક્ત રાષ્ટ્ર (UN)ની રાહત એજન્સીઓના જણાવ્યા મુજબ, કોઈપણ ભૂકંપ પછીના પહેલા 48થી 72 કલાક બચાવ કાર્ય માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ સમયગાળામાં જો કાટમાળમાં ફસાયેલા વ્યક્તિને શ્વાસ લેવા પૂરતી હવા અને થોડું પાણી મળતું રહે, તો તેના બચવાની શક્યતા અમુક દિવસો સુધી જળવાઈ રહે છે. પરંતુ હવે આ સમય પૂરો થવા આવ્યો છે, જેના કારણે ચિંતામાં વધારો થયો છે.
ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM)ના પ્રાથમિક અંદાજ મુજબ, સમગ્ર દેશમાં 60 લાખથી વધુ લોકો આ દુર્ઘટનાથી પ્રભાવિત થયા છે. સૌથી વધુ અસર રાજધાની કરાકાસમાં જોવા મળી રહી છે, જ્યાં અંદાજે 20 લાખ લોકો ઘરવિહોણા બન્યા છે અથવા સીધી રીતે આપત્તિની ઝપેટમાં આવ્યા છે. મોટી સંખ્યામાં પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે, જ્યારે અનેક વિસ્તારોમાં રહેઠાણ, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ અને અન્ય મૂળભૂત સુવિધાઓ પર ગંભીર અસર થતાં માનવતાવાદી પડકારો વધુ ગંભીર બન્યા છે.
આ પણ વાંચો : Venezuela Earthquake Video : સાચા પ્રેમની અદભુત મિસાલ! ભૂકંપમાં પોતાનો જીવ જોખમમાં મૂકી પત્ની માટે ઢાલ બન્યા વૃદ્ધ પતિ