તાજેતરમાં ઉત્તરાખંડ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોએ આ જ સંદેશ ખૂબ જ સરળ રીતે સમજાવ્યો છે. વીડિયોમાં એક નાનો વાંદરો એક વ્યક્તિ પાસેથી મોબાઇલ ફોન છીનવી લે છે તે પછી તેની માતા આવે છે અને તે તેના બાળક પાસેથી મોબાઈલ લઇને તે વ્યક્તિને પરત કરે છે જેની પાસેથી તેના બાળકે છીનવ્યો હતો. આ સામાન્ય લાગતું દૃશ્ય હકીકતમાં દરેક માતા-પિતા માટે એક મોટો પાઠ લઈને આવે છે.
બાળકો માટે માતા-પિતા જ હોય છે પ્રથમ શિક્ષક
બાળક જન્મે ત્યારથી જ પોતાની આસપાસની દુનિયા નિહાળવાનું શરૂ કરે છે. શરૂઆતમાં તે ભાષા સમજતું નથી, પરંતુ ચહેરાના હાવભાવ, અવાજ, વર્તન અને દૈનિક ક્રિયાઓમાંથી ઘણું બધું શીખવા લાગે છે. માતા-પિતા સમયસર ઊઠે છે, વડીલોનું સન્માન કરે છે, ઘરમાં સૌ સાથે પ્રેમથી વાત કરે છે અને જવાબદારીપૂર્વક જીવન જીવે છે તો બાળક પણ ધીમે-ધીમે એ જ ગુણો અપનાવવા લાગે છે. બીજી તરફ જો ઘરમાં સતત ઝઘડા, ગુસ્સો, ખોટી ભાષા અથવા મોબાઇલનો અતિશય ઉપયોગ જોવા મળે તો તેની અસર પણ બાળકના સ્વભાવમાં દેખાઈ શકે છે.
માત્ર સલાહ નહીં, વર્તન પણ હોવું જોઈએ આદર્શ
ઘણા માતા-પિતા બાળકોને કહેતા હોય છે કે મોબાઇલ ઓછો વાપરો, સમયસર અભ્યાસ કરો અથવા સૌનું સન્માન કરો. પરંતુ જો માતા-પિતા પોતે જ કલાકો સુધી ફોનમાં વ્યસ્ત રહેતા હોય અથવા પોતાની જ વાતનું પાલન ન કરતા હોય, તો બાળક માટે એ સલાહનો ખાસ અર્થ રહેતો નથી. બાળકો શબ્દો કરતાં વર્તનને વધારે મહત્વ આપે છે. તેઓ વિચારતા નથી કે શું કહેવામાં આવ્યું છે, પરંતુ શું કરવામાં આવી રહ્યું છે. તેથી માતા-પિતાએ પોતાની આદતો પર પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ જેટલું બાળકોને આપતી સલાહ પર આપે છે.
વાંદરાના વીડિયોમાં છુપાયેલો જીવનનો મોટો પાઠ
ઉત્તરાખંડ પોલીસ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં મોટો વાંદરો પોતાના બચ્ચાને શીખવે છે કે કોઇની પણ ચીજ છીનવીને ભાગવું ન જોઇએ. તે પોતાના બાળક પાસેથી મોબાઈલ લઇને તે વ્યક્તિને પરત કરે છે જેનો મોબાઈલ હોય છે. નાનો વાંદરો કોઈ પ્રશ્ન પૂછતો નથી, કોઈ સૂચના લેતો નથી. તે માત્ર પોતાની માતાને ધ્યાનથી જુએ છે અને તેની જેમ જ વર્તવાનો પ્રયાસ કરે છે. આ દૃશ્ય બતાવે છે કે શીખવાની પ્રક્રિયા માત્ર માણસોમાં જ નહીં પરંતુ પ્રાણીજગતમાં પણ નિરીક્ષણ દ્વારા થાય છે. આ જ કારણ છે કે બાળક પોતાના ઘરના વાતાવરણમાંથી સૌથી વધુ પ્રભાવિત થાય છે.
બાળકોમાં સારા ગુણો લાવવા માટે માતા-પિતાએ શું કરવું જોઈએ?
બાળકો જવાબદાર, સંસ્કારી અને આત્મવિશ્વાસી બને તે માટે માત્ર તેમને શીખામણ આપવી પૂરતી નથી, પરંતુ માતા-પિતાએ પોતાના દૈનિક જીવનમાં પણ સારા વર્તનનું ઉદાહરણ પૂરું પાડવું જરૂરી છે. સમયનું મહત્વ સમજવું અને તેનું પાલન કરવું, મોબાઇલ અને ટીવીનો મર્યાદિત ઉપયોગ કરવો, પરિવાર સાથે નિયમિત સમય પસાર કરવો તેમજ વડીલો પ્રત્યે આદર અને સૌજન્યપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવો જેવી આદતો બાળકો પર સકારાત્મક અસર કરે છે. એટલું જ નહીં, પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવાની તૈયારી અને દરેક પરિસ્થિતિમાં શાંત તથા હકારાત્મક અભિગમ રાખવાની ટેવ પણ બાળકના વ્યક્તિત્વના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે માતા-પિતા પોતાના વર્તનથી યોગ્ય ઉદાહરણ રજૂ કરે છે, ત્યારે બાળકો સ્વાભાવિક રીતે તે જ મૂલ્યો અને સંસ્કારોને પોતાના જીવનમાં અપનાવવા લાગે છે.
મોબાઇલની આદતથી પણ સાવચેત રહેવું જરૂરી
આજના સમયમાં સ્માર્ટફોન જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. પરંતુ બાળકો સૌથી પહેલાં માતા-પિતાને ફોન વાપરતા જ જુએ છે. જો ઘરમાં સતત દરેક વ્યક્તિ મોબાઇલમાં વ્યસ્ત રહેતી હોય તો બાળક માટે પણ એ સામાન્ય બાબત બની જાય છે. તેથી ઘરમાં 'નો મોબાઇલ ટાઈમ' જેવી આદત વિકસાવવી, પરિવાર સાથે ભોજન સમયે ફોન દૂર રાખવો અને બાળકો સાથે રમવા કે વાત કરવા માટે સમય કાઢવો ખૂબ જરૂરી બની જાય છે.
સારા સમાજની શરૂઆત ઘરમાંથી જ થાય છે
દરેક બાળક ભવિષ્યનો જવાબદાર નાગરિક છે. જો ઘરમાં તેને પ્રેમ, સન્માન, શિસ્ત અને જવાબદારીનો માહોલ મળશે તો તે જ મૂલ્યો સમાજમાં પણ આગળ વધશે. બાળકોને માત્ર સારી વાતો શીખવવી પૂરતી નથી. તેમને એ વાતો જીવંત ઉદાહરણ રૂપે પણ દેખાડવી પડે છે. માતા-પિતાના દરેક શબ્દ, દરેક નિર્ણય અને દરેક આદત બાળક માટે એક પાઠ સમાન હોય છે.
આ પણ વાંચો : Viral Video : દારૂ પી ને છાકટી બનેલી છોકરીએ રસ્તો માથે લીધો, જુઓ વીડિયો