બિપોરજોયની શરુ થઇ ગઇ અસર.! જાણો ક્યાં ક્યાં કેવી અસર...!
બિપોરજોય વાવાઝોડું હવે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બન્યું છે ત્યારે વહિવટીતંત્ર પણ ઓછામાં ઓછું નુકશાન થાય તે માટેના આગોતરા પગલાં લઇ રહ્યું છે. દરિયા કાંઠાના જીલ્લામાં રાજ્યના 9 મંત્રીઓ પહોંચી ગયા છે અને તંત્ર સાથે સંકલન કરીને કામગિરી કરી રહ્યા...
11:46 AM Jun 12, 2023 IST
|
Vipul Pandya
બિપોરજોય વાવાઝોડું હવે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બન્યું છે ત્યારે વહિવટીતંત્ર પણ ઓછામાં ઓછું નુકશાન થાય તે માટેના આગોતરા પગલાં લઇ રહ્યું છે. દરિયા કાંઠાના જીલ્લામાં રાજ્યના 9 મંત્રીઓ પહોંચી ગયા છે અને તંત્ર સાથે સંકલન કરીને કામગિરી કરી રહ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે.
PM MODI એક્શનમાં
બિપોરજોય વાવાઝોડાને લઈ PM MODI એક્શનમાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ બપોરે 1 વાગે વાવાઝોડાની સ્થિતી અંગે તેઓ માહિતી મેળવશે. PM MODI રાજ્ય સરકાર સાથે અગત્યની બેઠક યોજશે અને અત્યાર સુધી લેવાયેલા પગલાંની માહિતી મેળવશે. બિપોરજોય વાવાઝોડાને લઈ કેન્દ્ર સરકાર સતર્ક થઇ ગઇ છે અને આજે વાવાઝોડાને લઈ કેન્દ્ર સરકારની સમીક્ષા બેઠક યોજાઇ રહી છે જેમાં ગુજરાતના મુખ્ય સચિવ સહિત અધિકારી જોડાશે અને સંભવિત સ્થિતિને પહોંચી વળવા તૈયારીની સમીક્ષા કરશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બિપોરજોય અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાં બદલાઇ ચુક્યું છે જેના પગલે કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્ય સરકાર સતર્ક
બીજી તરફ બિપોરજોય વાવાઝોડાને લઈ સરકાર પણ સતર્ક થઇ ગઇ છે અને મંત્રી ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયાએ બેઠક યોજીને કચ્છ જિલ્લામાં સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. વાવાઝોડાના પગલે કચ્છ જિલ્લામાં 3 દિવસ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સંભવિત સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે.
રાજ્યના 9 બંદર પર અતિ ભયજનક 9 નંબરના સિગ્નલ
બિપોરજોય અત્યંત ખતરનાક બનતા રાજ્યના 9 બંદર પર અતિ ભયજનક 9 નંબરના સિગ્નલ લગાવાયા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બંદરો જખૌ, માંડવી, મુન્દ્રા, કંડલા તથા નવલખી, જામનગર, સલાયામાં 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ઓખા બંદરે પણ 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
દરિયામાં કરંટ જોવા મળ્યો
અતિ ભારે પવનના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે અને ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દીવાલ ધસી પડી હોવાના અહેવાલ છે. મંદિરની નિર્માણાધિન દિવાલ તોડી મંદિરમાં દરિયાના પાણી ઘૂસ્યા છે.
દ્વારકામાં દિવાલ ધરાશાયી
દ્વારકામા બિપોરજોય વાવાઝોડાની વધારે અસર જોવા મળી રહી છે અને દ્વારકાના ભડકેશ્વર દરિયા કિનારે દરિયાઈ મોજાના કારણે ભેખડ ખસી પડી છે. દરિયામાં ભારે કરંટ હોવાથી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને તેના કારણે કિનારા પરની ભેખડ ધસી પડી છે. ભારે પવનના કારણે દરિયા કિનારા વિસ્તારમાં લોકોને ના જવાની તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડાયા
સાયકલોનની સંભવિત અસરને લઈને ક્ચ્છ જિલ્લામાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ સ્થળોએ શેલ્ટર હોમની વ્યવસ્થા ગોઠવાઈ છે અને દરિયા કિનારેથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તમામ મોરચે વહિવટી તંત્ર સજ્જ છે. કચ્છના કંડલા અને મુન્દ્રા અને માંડવી બંદર પર પણ 9 નંબરના સિગ્નલ લગાવાયા છે.
Next Article