SITના પ્રારંભિક અહેવાલ બાદ સામુહિક રાજીનામા પડ્યાના અહેવાલ
અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં થયેલી કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહેલી એસઆઈટી (SIT) ના પ્રારંભિક અહેવાલમાં કરવામાં આવેલી કડક ભલામણો બાદ આ સામૂહિક રાજીનામા પડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે પ્રથમ દિવસથી જ સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ કરવાના આદેશ આપ્યા હતા, જેના કારણે સમગ્ર તપાસ એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ હતી. આ અગાઉ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આંતરિક ફરિયાદના આધારે જ અયોધ્યાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર પ્રથમ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી ચૂકી છે.
મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે આપી હતી કડક સૂચના
સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, એસઆઈટીના પ્રારંભિક અહેવાલમાં વહીવટી અને નાણાકીય ક્ષતિઓ તરફ આંગળી ચિંધવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ધાર્મિક આસ્થાના આ કેન્દ્રમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં, અને જવાબદારો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
એસઆઈટી દ્વારા નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ અને વિવિધ કલમો હેઠળ નોંધાયેલો ગુનો
હાલમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ કથિત નાણાકીય અનિયમિતતાઓની ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓ દ્વારા શંકાસ્પદ લોકોના બેંક ખાતાઓ, સ્થાવર-જંગમ સંપત્તિઓ, મોબાઈલ કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR) અને કથિત નાણાકીય લેણદેણના તમામ દસ્તાવેજોની પૂરજોશમાં પડતાલ કરવામાં આવી રહી છે. આ મામલે ગુરુવારે જ રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ઉચાપત અને ગુનાહિત ષડયંત્રની વિવિધ કલમો હેઠળ કુલ આઠ નામાંકિત લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.
SIT ના પ્રાથમિક તપાસ બાદ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી
એફઆઈઆરમાં રામ શંકર યાદવ ઉર્ફે ટીનુ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, કરુણેશ પાંડે, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા અને સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવના નામ સામેલ છે. એસઆઈટીનો પ્રાથમિક અહેવાલ ગૃહ વિભાગના અપર મુખ્ય સચિવને સોંપવામાં આવ્યા બાદ તરત જ પોલીસ પ્રશાસન દ્વારા આ આકરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
કૃષ્ણ મોહનની સત્તાવાર ફરિયાદ પાછળનું અસલી બેકગ્રાઉન્ડ
આ સમગ્ર નાણાકીય કૌભાંડનો પર્દાફાશ કરનારી સત્તાવાર ફરિયાદ ટ્રસ્ટના નવા નિયુક્ત સભ્ય કૃષ્ણ મોહન દ્વારા દાખલ કરવામાં આવી છે. કૃષ્ણ મોહનની પૃષ્ઠભૂમિ ખૂબ જ પ્રતિષ્ઠિત અને વહીવટી અનુભવથી સભર રહી છે. મૂળ હરદોઈના વતની કૃષ્ણ મોહને 1970 ના દાયકામાં લખનૌ યુનિવર્સિટીમાંથી એમએસસી (M.Sc.) ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં અંદાજે છ વર્ષ સુધી વૈજ્ઞાનિક તરીકે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું.
મહારાષ્ટ્ર કેડરના અધિકારી તરીકે આપી હતી સેવા
ત્યારબાદ તેઓ ભારતીય વન સેવા (IFS) માં પસંદગી પામ્યા હતા અને મહારાષ્ટ્ર કેડરના વરિષ્ઠ અધિકારી તરીકે લાંબો સમય સેવાઓ આપી હતી. વર્ 2012 વર્ષમાં નિવૃત્ત થયા બાદ તેઓ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યા હતા. ફેબ્રુઆરી 2025માં ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલના દુઃખદ અવસાન બાદ, સપ્ટેમ્બર 2025માં કૃષ્ણ મોહનની શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય તરીકે સત્તાવાર પસંદગી કરવામાં આવી હતી . તેમની આ વહીવટી કુશળતાના કારણે જ તેમણે મંદિરમાં ચાલતી આંતરિક નાણાકીય ખામીઓને પકડી પાડી સત્તાવાર ફરિયાદ દાખલ કરી હતી.
આ પણ વાંચો : Ketan Agarwal Murder Case: 'સિયાને પણ કિલ્લા પરથી ધક્કો આપી દો', આરોપી દીકરીના પિતાનું રૂંવાડા ઉભું કરતું નિવેદન!