Vadodara : મનપાના નવા મેયર કોણ બનશે ? SC અનામત બેઠક પરથી 3 ઉમેદવાર વિજયી બન્યા
- Vadodara મનપામાં SC કેટેગરીના કોર્પોરેટર બનશે નવા મેયર
- વડોદરામાં SC અનામત બેઠક પરથી 3 ઉમેદવાર વિજયી
- વોર્ડ 8માંથી અજય ડાભી બન્યા છે વિજેતા
- વોર્ડ 12માંથી સમીર વાઘેલા, વોર્ડ 18માંથી ચેતન પરમારની જીત
- SC કેટેગરીના ત્રણેય કોર્પોરેટર મેયર પદ માટે પ્રબળ દાવેદાર
Vadodara : વડોદરા મહાનગરપાલિકાના (corporation) પરિણામો (election) ભાજપની (bjp) તરફેણમાં આવ્યા છે. 76 પૈકી 69 બેઠકો ભાજપને ફાળે ગઈ છે, તો નવી ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હશે અને કોને પદ મળશે તેને લઈ ચર્ચાએ જોર પકડયું છે. સમીર વાઘેલા RSSના પૂર્વ સંઘચાલકના નજીકના ગણાય છે તો અજય ડાભી પ્રદેશ ભાજપ SC મોરચામાં મંત્રી છે તો ચેતન પરમાર પૂર્વ મેયર નિલેશ રાઠોડના ખાસ ગણાય છે.
SC પુરુષ અનામતમાં ત્રણના નામો ચર્ચામાં
મેયર પદ માટે એસસી પુરુષ અનામત બેઠક છે, જેથી પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે એસસી પુરુષ મેયર બનશે. હાલમાં જીતેલા સભ્યોમાં આ પદ માટે 3 ઉમેદવારો બંધ બેસે છે, જેમાં સૌથી પહેલું નામ વોર્ડ 12માંથી જીતેલા સમીર વાઘેલાનું ચર્ચાઈ રહ્યું છે. તો અન્ય કોર્પોરેટરોના નામ પણ ચર્ચામાં ચાલી રહ્યાં છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, શહેરના વિકાસની કમાન કોને સોંપવામાં આવે છે, વડોદરા શહેરમાં અગાઉ પિન્કી સોની મેયર પદ પર હતા.
જાણો કોણ છે સમીર વાઘેલા
સમીર વાઘેલાની વાત કરવામાં આવે તો તેઓ પૂર્વ સંઘચાલકના નજીકના વ્યકિત ગણવામાં આવે છે અને તેઓ 15 વર્ષ અગાઉ શિક્ષણ સમિતિના સભ્ય બન્યા હતા, તો ભાજપે જયારે સમીર વાઘેલાને કોર્પોરેટરની ટિકિટ આપી તે વખતથી લોકોના મુખે એવી ચર્ચા છે કે તેઓ મેયર પદના દાવેદાર છે.
જાણો કોણ છે અજય ડાભી
અજય ડાભીની વાત કરવામાં આવે તો તેઓ વોર્ડ નંબર 8માંથી જીતેલા છે અને વોર્ડ નંબર 8માં સૌથી વધુ મેળવીને તેઓ જીત્યા હતા, અજય ડાભી પ્રદેશ એસસી મોરચામાં મંત્રી તરીકે અને અગાઉ શહેર એસસી મોરચામાં પ્રમુખ રહી ચુક્યા છે.
જાણો કોણ છે ચેતન પરમાર
ચેતન પરમારની વાત કરવામાં આવે તો ચેતન પરમાર એ પૂર્વ મેયર નિલેશ રાઠોડના અંગત માનવામાં આવે છે.તેઓ વોર્ડ 18માંથી ચૂંટણી જીત્યા છે.વોર્ડ 18માં તેઓ સૌથી વધુ મતથી જીત્યા છે.
આ પણ વાંચો : વડોદરા માટે DyCM હર્ષભાઈ સંઘવીએ કરોડોના વિકાસકામો અને AI સુરક્ષા કવચની આપી મોટી ભેટ


