MLA Yogesh Patel Biography: 8 ચૂંટણી, એક પણ હાર નહીં! ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલની અદભૂત રાજકીય સફર
Yogesh Patel Political Journey: વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું અવસાન થયું છે. લાંબા સમયથી બિમારીનો સામનો કરી રહેલા યોગેશભાઈ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર વડોદરા અને ગુજરાતના રાજકીય વર્તુળોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
રાજકીય કારકીર્દીની શરૂઆત
વર્ષ 1990માં જનતા પાર્ટીમાંથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. ત્યારબાદ 1995માં તેઓ ભાજપમાં જોડાયા અને પક્ષના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું.
વિધાનસભાનો ઈતિહાસ
તેઓ કુલ 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જેમાં રાવપુરા બેઠક પરથી 5 વાર અને માંજલપુર બેઠક પરથી 3 વાર વિજય મેળવીને તેમણે રેકોર્ડ સર્જ્યો હતો.
એક પણ હાર નહીં!
યોગેશભાઈ પટેલની રાજકીય કારકિર્દીની સૌથી મોટી વિશેષતા તેમની 'અજેય' છબી છે. પોતાના સમગ્ર રાજકીય જીવનમાં તેઓ ક્યારેય કોઈ ચૂંટણી હાર્યા નથી, જે તેમની લોકપ્રિયતા અને જનસંપર્કની સાબિતી આપે છે.
અપવાદરૂપ ટિકિટ
વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપ દ્વારા નિર્ધારિત ઉંમરના માપદંડોને બાજુ પર રાખીને પક્ષે તેમના પર ભરોસો મૂક્યો હતો, જે તેમની સ્વીકાર્યતા દર્શાવે છે.
લોકસેવા અને આધ્યાત્મિકતા
યોગેશભાઈનું વ્યક્તિત્વ બહુમુખી હતું. તેઓ માત્ર રાજકીય નિર્ણયો જ નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક કાર્યોમાં પણ અગ્રેસર હતા. તેમને લોકો કાકાના હુલામણા નામથી બોલાવતા હતા.
સામાજિક યોગદાન
તેઓ 'સત્યમ સુંદરમ ચેરિટેબલ ટ્રસ્ટ'ના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા હતા, જેના માધ્યમથી અનેક સેવાકીય કાર્યો થયા છે.
ધાર્મિક આસ્થા
વડોદરાની ઓળખ સમાન સુરસાગર તળાવના મધ્યમાં બિરાજમાન 'સર્વેશ્વર મહાદેવ'ની સ્થાપના કરવામાં તેમનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે.
ઐતિહાસિક ભૂમિકા
તેઓ ગુજરાતના યાદગાર 'નવનિર્માણ આંદોલન'ના સક્રિય આંદોલનકારી રહ્યા હતા. વિદ્યાર્થીકાળથી જ તેઓ અન્યાય સામે લડવાની વૃત્તિ ધરાવતા હતા.
યોગેશભાઈ પટેલના જીવનના અવિસ્મરણીય અંશો
આંદોલનકારી નેતા
વર્ષ 1978 માં દૂધના ભાવમાં થયેલા 10 પૈસાના વધારા સામે ઉઠેલો તેમનો અવાજ સમગ્ર વડોદરામાં ગાજ્યો હતો. અમદાવાદી પોળથી શરૂ થયેલું આ આંદોલન 235 દૂધ કેન્દ્રો સુધી પહોંચ્યું હતું. આ સંઘર્ષ દરમિયાન તેઓ ગંભીર રીતે દાઝી ગયા હોવા છતાં લોકોના હિત માટે મક્કમ રહ્યા હતા. વિદ્યાર્થીકાળમાં તેમણે 'વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ' બનાવી શિક્ષણમાં થતી લૂંટ સામે લડત આપી હતી, જેની ગુંજ દિલ્હી સુધી સંભળાઈ હતી અને સરકારે ફી નિયમન કાયદો લાવવો પડ્યો હતો.
ફરાસખાનાના વ્યવસાયથી રાજકારણ સુધી
મૂળ ફરાસખાનાનો વ્યવસાય કરનાર યોગેશભાઈના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્વામીજીએ તેમને કોટી અને ટોપી આપી ચૂંટણી લડવા પ્રેરણા આપી હતી. આ સ્વામીજીની ભેટને તેઓ વર્ષો સુધી પોતાના માટે શુભ માનીને ચૂંટણી સમયે સાથે રાખતા હતા.
મેનકા ગાંધી સાથેના આત્મીય સંબંધો
યોગેશભાઈના રાજકીય અને સામાજિક કદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમના મેનકા ગાંધી સાથે ખૂબ જ ગાઢ સંબંધો હતા. જ્યારે સંજય ગાંધીના અવસાન બાદ મેનકા ગાંધી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે યોગેશભાઈએ તેમને વડોદરા લાવી નવું બળ પૂરું પાડ્યું હતું. તેમના આ સાથથી પ્રભાવિત થઈને મેનકા ગાંધી તેમને પોતાના ભાઈ સમાન ગણતા અને રક્ષાબંધન પર ખાસ રાખડી મોકલતા હતા.
પ્રભાવશાળી નેતા
વડોદરામાં રાવપુરા હોય કે માંજલપુર, બંને વિસ્તારોના સર્વાંગી વિકાસમાં યોગેશભાઈનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેઓ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમની કામ કરવાની શૈલી અને વાણીમાં રહેલો પ્રભાવ તેમને અન્ય નેતાઓથી અલગ પાડતા હતા.તેમનું નિધન એ માત્ર ભાજપ માટે જ નહીં, પરંતુ સમગ્ર વડોદરાના લોકો માટે એક મોટી ખોટ છે.
MLA Yogesh Patel : કોણ હતા વડોદરાના માંજલપુરના ધારાસભ્ય સ્વ. યોગેશભાઈ પટેલ? | Gujarat First #YogeshPatel #Manjalpur #Vadodara #ProtemSpeaker #MSUniversity #BJPLeader #GujaratAssembly #Biography #OmShanti #VadodaraPolitics #GujaratFirst pic.twitter.com/dM4dDOJqiD
— Gujarat First (@GujaratFirst) June 2, 2026
આ પણ વાંચો: Vadodara News: ભાજપના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન


