Vadodara : પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત, પરિવારે લગાવ્યો આરોપ
- પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત
- સ્વેટરના દોરા વડે આપઘાત કર્યો
- પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી
Vadodara : વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ કસ્ટડીમાં રહેલા એક આરોપીએ લોકઅપની અંદર જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે.
ઘટનાની વિગત
મૃતકની ઓળખ રમેશભાઈ છગનભાઈ વસાવા તરીકે થઈ છે, જેઓ વડોદરાના જીવન નગર વુડાના મકાનમાં રહેતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રમેશભાઈની તેમની પત્ની સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પત્નીને માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ મામલે BNS ની કલમ 176 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને કસ્ટડીમાં રાખ્યા હતા. રમેશભાઈએ લોકઅપની અંદર તેમણે પહેરેલા સ્વેટરના દોરાનો ઉપયોગ કરીને ફાંસો બનાવી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. લોકઅપ જેવા સુરક્ષિત ગણાતા સ્થળે આરોપીએ આ પગલું ક્યારે ભર્યું તે તપાસનો વિષય બન્યો છે.
Vadodara ના Panigate Police Station ના આરોપીએ લોકઅપમાં કર્યો આપઘાત | Gujarat First
વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના આરોપીનો આપઘાત
રમેશ વસાવાએ સ્વેટરના દોરા વડે લોકઅપમાં કર્યો આપઘાત
આરોપીના આપઘાતને લઈ પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી
પત્નીને માર મારવાના આક્ષેપ બાબતે અટક કરાઈ હતી… pic.twitter.com/soq1aJrEmN— Gujarat First (@GujaratFirst) January 21, 2026
લોકઅપમાં કેવી રીતે બની ઘટના?
DCP અભિષેક ગુપ્તાના જણાવ્યા અનુસાર, રમેશભાઈની સાથે લોકઅપમાં અન્ય 3 આરોપીઓ પણ હાજર હતા. આજે વહેલી સવારે 6:00 થી 6:15 ના સુમારે રમેશભાઈ વોશરૂમ જવાના બહાને ગયા હતા. ત્યાં તેમણે પોતાના સ્વેટર (હૂડી) માં રહેલી દોરીનો ઉપયોગ કરીને ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે અન્ય કેદીઓ અને ફરજ પરના પોલીસ કર્મચારીઓને આ બાબતની જાણ થઈ, ત્યારે તુરંત તપાસ કરતા ખબર પડી કે તેઓનું મૃત્યુ થઇ ચુક્યું છે.
પરિવારના આક્ષેપો
આ ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. મૃતકની બહેન લક્ષ્મીબેને પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, "ગઈકાલે સાંજે હું મારા ભાઈને જમવાનું આપવા આવી ત્યારે તે એકદમ સ્વસ્થ હતો. પોલીસે તેને પટ્ટે-પટ્ટે માર માર્યો છે અને તેના કારણે જ આ બન્યું છે." પરિવારે સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે અને જવાબદારો સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.
પોલીસનો બચાવ
DCP અભિષેક ગુપ્તાએ પરિવારના માર મારવાના આક્ષેપોને નકારતા જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં આ કિસ્સો માત્ર પારિવારિક ઝઘડાનો જ હતો અને પોલીસ દ્વારા કોઈ બળપ્રયોગ કરવામાં આવ્યો નથી. જો શરીર પર કોઈ ઈજાના નિશાન હશે તો તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ જશે.
તપાસની દિશા
ઉલ્લેખનીય છે કે, ઘટનાની ગંભીરતા જોતા PI અલ્પેશ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસને પારદર્શક બનાવવા SDMની હાજરીમાં પંચનામું કરાશે, મૃતદેહને પેનલ ડોક્ટરો દ્વારા વીડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, લોકઅપના CCTV ફૂટેજની બારીક તપાસ થશે અને FSL ટીમ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્ર કરીને સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Surendranagar: જેલમાં કેદીએ કેમ કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ? અગાઉ જેલના સિપાઈને આપી હતી ધમકી!


