Vadodara: વાઘોડિયા GIDC માં કંપનીમાં બનેલી દુર્ઘટના બાદ ધરણા, જાણો પરિવારે શું કરી માંગ?
- Vadodara ની વાઘોડિયા GIDCની ખાનગી કંપનીમાં ગંભીર દુર્ઘટના
- ‘મંગલમ કાસ્ટિંગ’ કંપનીમાં ક્રેનનો ભાગ તૂટી પડ્યો
- ગુલાબસિંહ પરમાર નામના શ્રમિકનું નીપજ્યું મોત
- મૃતકના પરિજનો સાથે ગ્રામજનોએ ગેટ પર ધરણા શરૂ કર્યા
Vadodara Worker Death Case:વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. વાઘોડિયાની મંગલમ કાસ્ટિંગ (Mangalam Casting) નામની કંપનીમાં કામકાજ દરમિયાન ક્રેનનો એક ભાગ અચાનક તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ગુલાબસિંહ પરમાર (Gulabsingh Parmar) નામના એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ક્રેન નીચે આવી જવાથી તેમનો પગ કપાઈ ગયો હતો. કમનસીબે ગંભીર રીતે ઘવાયેલા આ શ્રમિકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
એકાએક ક્રેનનો એક હિસ્સો નીચે પડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા GIDCમાં આવેલી મંગલમ કાસ્ટિંગ કંપનીમાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ક્રેન (Crane) નો એક હિસ્સો નીચે પડ્યો હતો. ત્યાં કામ કરી રહેલા શ્રમિક ગુલાબસિંહ પરમાર આ દુર્ઘટનાની ચપેટમાં આવી ગયા હતા. ક્રેનનો વજનદાર ભાગ તેમના શરીર પર પડતા તેમનો પગ શરીરથી અલગ થઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં પડેલા શ્રમિકને જોઈને કંપનીના અન્ય કામદારોમાં દોડધામ મચી ગઈ હતી.
સારવાર દરમિયાન કરુણ મોત
દુર્ઘટના બાદ તરત જ ઈજાગ્રસ્ત શ્રમિકને કંપનીના સત્તાધીશો અને સાથી કર્મચારીઓ દ્વારા નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત અત્યંત નાજુક જણાતા ડોક્ટરોએ તેમને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે રિફર કર્યા હતા. પરંતુ કમનસીબી એવી હતી કે સયાજી હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં ગુલાબસિંહે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
Vadodara : અચાનક ભારે ભરખમ ક્રેન શ્રમિક પર પડી અને પગ કપાઈ ગયો! | Gujarat First
વાઘોડિયા GIDCની ખાનગી કંપનીમાં ગંભીર અકસ્માત
‘મંગલમ કાસ્ટિંગ’ કંપનીમાં ક્રેનનો ભાગ તૂટી પડ્યો
ગુલાબસિંહ પરમાર નામના શ્રમિકનું નીપજ્યું મોત
કામગીરી સમયે ઘટના બનતા શ્રમિકનો પગ કપાયો
સારવાર અર્થે લઈ જતા… pic.twitter.com/HZpFVGBQO9— Gujarat First (@GujaratFirst) December 19, 2025
Vadodara: પરિવાર અને ગ્રામજનોના ધરણા
શ્રમિકના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. દુર્ઘટના બાદ કંપનીમાં હાલ કામકાજ ઠપ કરી દેવામાં આવ્યું છે. મૃતક શ્રમિકના પરિવારને ન્યાય મળે અને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં લોકો કંપનીના ગેટ પર ધરણા પર બેસી ગયા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સુરક્ષાના સાધનોના અભાવે આ દુર્ઘટના ઘટી છે.
પોલીસ બંદોબસ્ત તહેનાત
ઘટનાને પગલે વાઘોડિયા જીઆઈડીસી વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. રોષે ભરાયેલા ટોળાને કાબૂમાં લેવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને કંપનીના ગેટ પર ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને ક્રેન તૂટવા પાછળના કારણો અને કંપનીની બેદરકારી અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Surat: નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો! PI અને વકીલ 3 લાખની લાંચ લેતા ઝડપાયા


