અમદાવાદમાં ‘રમશે બાળક ખીલશે બાળક’ અભિયાનને મળ્યો ઉમંગભર્યો પ્રતિસાદ
Ahmedabad News : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ‘રમશે બાળક ખીલશે બાળક’ અભિયાન અંતર્ગત એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) હાજરી આપી બાળકો સાથે રમકડાંના સંગ્રહમાં ભાગ લીધો હતો. આરોહી ટ્વિન્સ સોસાયટીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકો દ્વારા જૂના રમકડાં સ્વેચ્છાએ એકત્રિત કરવામાં આવ્યા, જે આગળ જઇને ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવામાં આવશે. આ અભિયાનની શરૂઆત અમિતભાઈ શાહે (Amit Shah) કરી હતી અને તેનો મુખ્ય હેતુ બાળકોમાં શેરિંગ અને કરુણાની ભાવના વિકસાવવાનો છે. મુખ્યમંત્રીએ આ પહેલને ખૂબ સંવેદનશીલ અને સામાજિક રીતે ઉપયોગી ગણાવી હતી, તેમજ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો આંગણવાડી (Anganwadi) સુધી રમકડાં પહોંચાડવામાં મદદરૂપ બને છે. તેમણે ઉમેર્યું કે ઘણા બાળકો ખુશીથી પોતાના રમકડાં આપી રહ્યા હતા, જ્યારે કેટલાક ભાવુક થયા ત્યારે તેમને રમકડાં પાછા પણ આપવામાં આવ્યા હતા. આ અભિયાન દ્વારા બાળકોમાં ‘શેરિંગ ઇઝ કેરિંગ’ની ભાવના મજબૂત થાય છે અને સમાજમાં સહાનુભૂતિ તથા એકતા વધે છે.


