Bhavnagar ના મેયર ઉષાબેન તલરેજા પદ સંભાળતા જ આવ્યા વિવાદમાં, કોંગ્રેસે ફટકારી લીગલ નોટિસ
Bhavnagar Mayor Controversy: ભાવનગરના નવા મેયર ઉષાબેન તલરેજા પદભાર સંભાળતાની સાથે જ મોટા વિવાદમાં ઘેરાયા છે. કોંગ્રેસના નગરસેવક કિશન મેર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લીગલ નોટિસ ફટકારવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ વિવાદના મૂળમાં મેયરની ચૂંટણી પ્રક્રિયા અને તેમની વ્યક્તિગત માહિતી અંગેના ગંભીર આક્ષેપો છે.
Bhavnagar ના મેયર ઉષાબેન તલરેજા પદ સંભાળતા જ આવ્યા વિવાદમાં
ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજાની વરણી થયાના થોડા દિવસોમાં જ કોંગ્રેસ આક્રમક મુડમાં આવી ગઈ છે. કોંગ્રેસના નગરસેવક કિશન મેરે મનપા કમિશનરને લીગલ નોટિસ આપીને આક્ષેપ કર્યો છે કે મેયરની ચૂંટણી પ્રક્રિયા એકતરફી અને પક્ષપાતભરી રહી હતી. આ અંગે ચૂંટણી સમયે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ નોટિસમાં કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ દ્વારા મેયર સામે ઉઠાવવામાં આવ્યા આ પ્રશ્નો
કોંગ્રેસ દ્વારા મેયર સામે બે મુખ્ય અને ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પ્રથમ આક્ષેપ મુજબ, તેમને કોર્ટ દ્વારા એક વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હોવા છતાં, ઉમેદવારી પત્રક કે સોગંદનામામાં આ હકીકત છુપાવવામાં આવી છે. બીજા આક્ષેપમાં ચાર સંતાનો હોવાના વિવાદ અંગે મેયરને પૂછવામાં આવ્યું છે કે, તેઓ જનતા સમક્ષ પોતાના બાળકોની જન્મતારીખ અને સ્કૂલના પુરાવા કેમ જાહેર કરતા નથી? કોંગ્રેસનું કહેવું છે કે મેયરનું પદ ગૌરવ અને ગરિમાયુક્ત હોય છે, તેથી પદની પ્રતિષ્ઠા જળવાય તે માટે મેયરે આ તમામ સવાલોના જવાબ આપવા જોઈએ.


