કોવિડ મહામારી અને નોકરી ગુમાવવાનું સંકટ
આ પ્રેરણાદાયી કિસ્સો મુંબઈની જાણીતી કન્ટેન્ટ ક્રિએટર આરાધના ચેટર્જી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. આરાધનાએ જ્યારે મનસુખ કાકાને રસ્તાના કિનારે ખૂબ જ કાળજીપૂર્વક નાસ્તાના પેકેટ ગોઠવતા જોયા, ત્યારે તેમણે કાકા સાથે વાતચીત કરી. આ મુલાકાત દરમિયાન કાકાના જીવનનો જે સંઘર્ષ સામે આવ્યો, તે કોઈપણ વ્યક્તિની આંખો ભીની કરી દે તેવો છે. મનસુખ કાકાના જીવનમાં આ વળાંક અચાનક આવ્યો હતો. આ પહેલાં તેઓ ઘણા વર્ષો સુધી એક સાડીની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતા હતા. પરંતુ વર્ષ 2020માં આવેલી કોવિડ-19 મહામારીએ તેમની જિંદગી બદલી નાખી.
રોગચાળા દરમિયાન તેમની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને લાંબી બીમારીના કારણે તેમણે આખરે નોકરી છોડવી પડી હતી. આ કપરા સમયમાં સ્થિતિ એટલી ગંભીર હતી કે મનસુખ કાકાની સંભાળ રાખવા માટે તેમના પુત્રને પણ પોતાની નોકરી ગુમાવવી પડી હતી. પરંતુ સાચા હીરોની ઓળખ મુશ્કેલ સમયમાં જ થાય છે. બીમારીમાંથી સ્વસ્થ થયા પછી મનસુખ કાકાએ ઘરે બેસી રહેવાને બદલે ફરીથી બેઠા થવાનું નક્કી કર્યું. પોતાના પરિવાર કે પુત્ર પર બોજ બનવાના બદલે તેમણે પોતાના આત્મનિર્ભર બનવાના સંકલ્પને વળગી રહીને ઘરની નજીક જ એક નાનો સ્ટોલ શરૂ કર્યો.
બહેનનો સાથ અને 20 પ્રકારના સ્વાદિષ્ટ નાસ્તા
મનસુખ કાકાની આ નવી સફરમાં તેમનો પરિવાર પણ એક મજબૂત સ્તંભ બનીને ઊભો રહ્યો. તેમના આ સ્ટોલની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વેચાતી તમામ વસ્તુઓ સંપૂર્ણપણે શુદ્ધ અને ઘરે બનાવેલી હોય છે. મનસુખ કાકાની બહેન દરરોજ ઘરે જ પોતાના હાથે બધી વાનગીઓ તાજી તૈયાર કરે છે. તેમના સ્ટોલ પર ખાખરા, ચકલી, મમરા અને ફરસાણ સહિત લગભગ 20 અલગ-અલગ પ્રકારના પરંપરાગત નાસ્તા ઉપલબ્ધ હોય છે. ઘરે તૈયાર થયેલા આ નાસ્તાને વ્યવસ્થિત પેક કરીને સ્ટોલ પર લાવવામાં આવે છે, જેને કાકા ગ્રાહકો સુધી પહોંચાડે છે.
12 કલાકનો કઠોર પરિશ્રમ અને માત્ર 300 રૂપિયાની કમાણી
આ વાર્તાનો સૌથી વધુ સ્પર્શી જાય તેવો ભાગ તેમની દૈનિક મહેનત અને તેની સામે થતી સીમિત આવક છે. 82 વર્ષની ઉંમરે, જ્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ હોય છે, ત્યાં મનસુખ કાકા દરરોજ અંદાજે 12 કલાક સુધી રસ્તાના કિનારે ગ્રાહકોની રાહ જોતા બેસે છે. આટલી આકરી મહેનત પછી પણ તેમની સરેરાશ દૈનિક કમાણી માત્ર 300 રૂપિયા જેટલી જ થાય છે. આ આર્થિક ખેંચતાણ છતાં તેમની શિસ્ત અને પ્રામાણિકતા અદભુત છે. તેઓ દિવસભરના નાનામાં નાના વેચાણ અને ખર્ચનો હિસાબ પોતાની એક નાની ડાયરીમાં ખૂબ જ કાળજીપૂર્વક નોંધે છે. તેમની આ શિસ્તબદ્ધ જીવનશૈલી નવી પેઢી માટે ખરેખર શીખવા જેવી છે.
શિષ્ટાચાર અને વ્યવહાર જે દિલ જીતી લે
સોશિયલ મીડિયા પર યુઝર્સનું ધ્યાન મનસુખ કાકાની કમાણી ઉપરાંત તેમની રહેણીકહેણી પર પણ ગયું. વીડિયોમાં જોઈ શકાય છે કે આટલી ઉંમરે રસ્તા પર કામ કરવા છતાં કાકા હંમેશાં એકદમ સ્વચ્છ, ઇસ્ત્રી કરેલા કપડાં પહેરે છે. તેમનો શર્ટ હંમેશાં વ્યવસ્થિત ઇન (Tuck-in) કરેલો હોય છે. ગ્રાહકો સાથે વાત કરતી વખતે તેમના ચહેરા પરની નમ્રતા અને આદરભાવ એ વાતનો પુરાવો છે કે ગરીબી ક્યારેય સંસ્કાર અને શિષ્ટાચારને નડતી નથી.
આ પણ વાંચો : Life decisions and situations : જીવવાની કુંજી: સભાનતા અને કરુણા