Ahmedabad : સિવિલ હોસ્પિ.માં 7 માસમાં 500 દર્દીની 'લિથોટ્રિપ્સી' થી પથરીની પેઇનલેસ સારવાર
- સિવિલ હોસ્પિટલાં 7 મહિનામાં 500 દર્દીની કિડની, પેશાબની નળીમાં રહેલ પથરી દૂર કરાઈ (Ahmedabad)
- 500 પૈકીનાં 84 % દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણપણે પથરી દૂર થઇ
- 145 દર્દીઓમાં 10 mm, 200 માં 10-15 mm, 155 માં તેનાથી પણ મોટી પથરી હતી
- ખાનગી હોસ્પિટલમાં 10-15 હજારનો ખર્ચ, સિવિલમાં નજીવા દરે અને આયુષ્માન કાર્ડ હેઠળ નિ:શુલ્ક
Ahmedabad : લિથોટ્રીપ્સી શરુ થયાનાં 7 મહીનામાં 500 દર્દીઓની કિડની તેમ જ પેશાબની નળીમાં રહેલી પથરીને કોઈ પણ કાપા વિના સર્જરી વગર દૂર કરાઈ. ખાનગી હોસ્પિટલમાં અંદાજે રૂ. 10 થી 15 હજારનાં ખર્ચે થતી લિથોટ્રિપ્સી (lithotripsy) ટ્રીટમેન્ટ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) નજીવા દરે અને આયુષ્માન કાર્ડ હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ છે.
આ પણ વાંચો - Junagadh : ગીરમાં વરસાદનો આનંદ માણતા સિંહ પરિવારનો Video વાઇરલ!
7 મહિનામાં 500 દર્દીઓની કિડની, પેશાબની નળીમાં રહેલ પથરી દૂર કરાઈ
સિવિલ હોસ્પિટલનાં યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહે (Dr. Shrenik Shah) વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલનાં (Civil Hospital) યુરોલોજી વિભાગ દ્વારા છેલ્લા 7 મહિનામાં લિથોટ્રિપ્સીથી ઓપરેશન વગર 500 દર્દીઓની કિડની તેમ જ પેશાબની નળીમાં રહેલી પથરી દૂર કરવામાં આવી છે. તમામ દર્દીઓ પીડારહિત સામાન્ય જીવનશૈલીમાં પાછા ફર્યા છે, જેમાં 84 % દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણપણે પથરી દૂર થઇ. જ્યારે 16 % કિસ્સામાં 2 વાર લિથોટ્રિપ્સી કરી પથરી દૂર કરવામાં આવી, જેમાં 3 વર્ષથી લઇ 80 વર્ષ સુધીનાં દર્દીઓની પથરીની તકલીફ દૂર કરાઇ. આ 500 દર્દીઓમાં 340 પુરુષ દર્દી તેમ જ 160 સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે.
145 દર્દીઓમાં 10 mm, 200 માં 10-15 mm, 155 માં તેનાથી પણ મોટી પથરી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 145 દર્દીઓમાં 10 mm (મિલીમીટર) સાઇઝની, 200 દર્દીઓમાં પથરીની સાઇઝ 10 થી 15 mm તેમ જ 155 દર્દીઓ એવા હતા જેમની પથરીની સાઇઝ 15 mm કરતાં પણ વધારે હતી. કુલ 500 દર્દીઓમાંથી 240 દર્દીઓમાં પથરી કિડનીમાં હતી, જ્યારે 135 દર્દીમાં મૂત્રવાહિનીનાં શરૂઆતનાં ઉપરના પેલ્વીસના ભાગમાં તથા 125 દર્દીઓમાં પથરી મૂત્રવાહિનીનાં ઉપરના ભાગમાં હતી. આ તમામ 500 દર્દીઓની સંપૂર્ણપણે પથરી દૂર થઈ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો - Bhavnagar : માઢીયા ગામમાં સરકારી માધ્યમિક શાળામાં 5 વર્ષથી વીજળી જ નથી ?
ડો. શ્રેણીક શાહે આ પદ્ધતિથી સારવારનાં દર્દીઓ માટે ફાયદા વર્ણવતા જણાવ્યું હતું કે, આ સારવારમાં...
* શરીર પર કોઇ કાપો મૂકવામાં આવતો નથી.
* દર્દીની તકલીફમાં ઝડપી સુધારો થાય છે અને દર્દીઓ 1 થી 2 કલાકમાં પોતાની રોજિંદા સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરી શકે છે.
* ઓછો દુખાવો, ચેપનું ઓછું જોખમ અને કોઈ મોટી તકલીફ હોતી નથી.
સિવિલ હોસ્પિટલનાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ (Dr. Rakesh Joshi) જણાવ્યું હતું કે, પ્રાઈવેટ હોસ્પિટલમાં લિથોટ્રીપ્સીની (lithotripsy) સારવારનો અંદાજિત ખર્ચ જે રૂ. 10 થી 15 હજાર થાય છે. તે સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad) ખૂબ જ નજીવા દરે અને આયુષ્માન કાર્ડ હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવે છે. વધુમાં વધુ પથરીનાં દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ આ સેવાનો લાભ લેવા ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું. કિડની તેમ જ મૂત્રમાર્ગમાં રહેલી પથરીની ઓપરેશન વગર સારવાર માટે અમદાવાદ સિવિલ મેડિસિટીની 1200 બેડ હોસ્પિટલમાં આવેલા યુરોલોજી વિભાગમાં સંપર્ક કરવાનો રહેશે.
અહેવાલ : સંજય જોશી, અમદાવાદ
આ પણ વાંચો - Navsari : સાપુતારામાં જામી પ્રવાસીઓની ભીડ, અનેક ધોધ તેમજ ઝરણા થયા જીવંત