ભાવ, રાગ અને તાલનો અદ્ભુત સંગમ, અમદાવાદમાં 'ભારત કુલ ફેસ્ટિવલ' નું સફળ આયોજન
- Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી ખાતે 'ભારત કુલ ફેસ્ટિવલ'
- બ્રાન્ડ ભારતમાં મીડિયાની ભૂમિકા પર એક ચર્ચા
- ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ થયા સામેલ
- બ્રાન્ડ ભારતમાં મીડિયાની ભૂમિકા પર આપી વિશેષ સમજ
- હકારાત્મક અને નકારાત્મક ઊર્જા વિશે વિસ્તારથી સમજાવ્યું
- દેશહિતમાં સર્વોપરી રહેવું તે જ ભૂમિકાઃ ડૉ. વિવેકકુમાર ભટ્ટ
- રાષ્ટ્ર પ્રથમના ઉદ્દેશ્ય સાથે ચાલવું જરૂરીઃ ડૉ. વિવેકકુમાર ભટ્ટ
Ahmedabad:ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને યુવાનોમાં કલા-સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા 'ભારત કુલ ફેસ્ટિવલ'નું બીજા વર્ષે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ (Gujarat University Campus) ખાતે યોજાયેલો આ ત્રિદિવસીય મહોત્સવ કલાપ્રેમીઓ માટે ભાવ, રાગ અને તાલના સંગમ સાથેનો એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો હતો.
સંસ્કૃતિ અને સંગીતનો અદ્ભુત સમન્વય
'ભારત કુલ ફેસ્ટિવલ' નું મુખ્ય આકર્ષણ ભાવ, રાગ અને તાલ પર કેન્દ્રિત હતું. આ ત્રણ દિવસ દરમિયાન સંગીત, નૃત્ય અને અન્ય કળા સ્વરૂપોના અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કલાકારોએ ભારતીય શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતની પ્રસ્તુતિઓ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, જેનાથી યુનિવર્સિટીનું વાતાવરણ કલામય બની ગયું હતું.
બ્રાન્ડ ભારતમાં મીડિયાની ભૂમિકા: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટનું પ્રેરક વક્તવ્ય
ત્રિદિવસીય ફેસ્ટિવલના ત્રીજા અને અંતિમ દિવસે 'બ્રાન્ડ ભારતમાં મીડિયાની ભૂમિકા' વિષય પર એક વિશેષ વક્તવ્યનું આયોજન થયું હતું. આ સેશનમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) નું વક્તવ્ય મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. ડૉ. વિવેકકુમાર ભટ્ટે સમજાવ્યું હતું કે મીડિયામાં આવતાં સમાચારો લોકો બે પરિપ્રેક્ષ્યથી જુએ છે, એક નકારાત્મક અને બીજો સકારાત્મક. તેમણે સતયુગથી કળિયુગ સુધીની વાત કરીને સમજાવ્યું હતું કે જગતમાં બે ઊર્જા કામ કરે છે – નકારાત્મક અને સકારાત્મક. તેમણે કહ્યું કે, ઇતિહાસ કહે છે કે સકારાત્મક ઊર્જા પર કામ કરો તો વૃદ્ધિ થાય છે. તેથી, બ્રાન્ડ ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત રાખવું હોય તો મીડિયાએ સકારાત્મકતા પર વધારે ફોકસ કરી દેશને મજબૂત કરવો જોઈએ. જ્યારે વિશ્વ કક્ષાની વાત આવે ત્યારે રાષ્ટ્ર ભાવના પ્રથમ હોવી જોઈએ.
'મીડિયામાં હરીફાઈ ન હોવી જોઈએ'
ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટે વધુમાં કહ્યું કે મીડિયામાં ક્યારેય હરીફાઈ ન હોવી જોઈએ. તેમણે સમાચારોના ફેક્ટ ચેકને લઈને કહ્યું કે, હાલ લોકોને માત્ર 30 સેકન્ડમાં બધી માહિતી જોઈએ છે, જેથી ફેક્ટ ચેક કરવું ઘણીવાર શક્ય થતું નથી. આ માટે તમામે જવાબદાર બનવું પડશે. મીડિયા અને દર્શક બંનેએ. તેમણે બ્રાન્ડ ભારતની વાત કરતાં ખૂબ જ કાળજીપૂર્વક કોઈ પણ કન્ટેન્ટને શેર કરવા પર ભાર મૂક્યો, જેથી ભારતને નુકસાન ન થાય.
'AI સામે સમજશક્તિ જ જરૂરી'
Social Mediaમાં વ્યૂઝની સ્પર્ધા ન હોવી જોઈએ: Dr. Vivek Kumar Bhatt નું Brand Bharat પર દમદાર વક્તવ્ય@vishvek11 #GujaratUniversity #BharatKulFestival #DrVivekKumarBhatt #GujaratFirst #MediaRole #BrandBharat #SocialMedia #FakeNews #Ahmedabad pic.twitter.com/LLkJqI73NU
— Gujarat First (@GujaratFirst) December 14, 2025
આગળ વધતી ટેક્નોલોજી વિશે વાત કરતાં ડૉ. વિવેકકુમાર ભટ્ટે કહ્યું કે AI (Artificial Intelligence) જે રીતે આગળ વધી રહ્યું છે, તેને ચેક કરવાનું કોઈ ટૂલ નથી. જો તમે AI અંગે જાણો છો, તો તેને પકડી શકો છો, પણ સામાન્ય લોકો હજુ પણ આવા AI કન્ટેન્ટને પારખી શકતા નથી. તેમણે કહ્યું કે ટેક્નોલોજી તો આગળ વધી રહી છે, પણ તેનું ફેક્ટ ચેક એટલું જ જૂનું થઈ રહ્યું છે, જેથી સમજશક્તિથી જ કામ કરવું પડશે. ડૉ. વિવેકકુમાર ભટ્ટે ઇન્ટરનેટ પર જતાં ડેટાને લઈ કહ્યું કે જેટલો ડેટા સાચો અપલોડ કરવામાં આવશે, તેટલી જ AI સાચી માહિતી આપશે. તેમણે ઓથેન્ટિક કન્ટેન્ટ ઇન્ટરનેટ પર શેર કરવા પર ભાર મૂક્યો.
મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત સહ્યા
ઉલ્લેખનીય છે કે આ ફેસ્ટિવલે માત્ર મનોરંજન પૂરું પાડ્યું નથી, પરંતુ યુવાનોને દેશની કલા, સંસ્કૃતિ અને મીડિયાના મહત્ત્વ વિશે જ્ઞાન આપવાનું પણ કાર્ય કર્યું છે. ગુજરાત મીડિયા ક્લબનું આ આયોજન ગુજરાતમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના બની રહ્યું છે. આ ચર્ચામાં દિવ્ય ભાસ્કરના વેબ એડિટર મનિષ મહેતા, કુમાર મનિષ, મલ્હાર દવે અને ડો. દિપક મશરુ પણ જોડાયા હતા. સેશનમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત કૂલ ફેસ્ટિવલ એ ભારતીય સંસ્કૃતિ, કલા, આધ્યાત્મિકતા અને સનાતન ધર્મના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આયોજિત એક સાંસ્કૃતિક ઉત્સવ છે. આ ફેસ્ટિવલનું મુખ્ય ધ્યેય યુવા પેઢીને ભારતની પ્રાચીન પરંપરાઓ, કલા, સંગીત, સાહિત્ય અને ધાર્મિક મૂલ્યો સાથે જોડવાનું છે, જેથી તેઓ પોતાની સાંસ્કૃતિક વિરાસતને સમજી અને અપનાવી શકે.
આ પણ વાંચોઃ Jamnagar: કડકડતી ઠંડીમાં પણ ઉત્સાહ, સાયકલોથોનમાં 2500થી વધુ લોકોએ ભાગ લીધો


