Ahmedabad: રાષ્ટ્રીય શોક ભુલી ભાજપે કરી ઉજવણી, ફોટા-વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- રાષ્ટ્રીય શોક ભૂલી ભાજપે કરી ઉજવણી
- મણીનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ ભૂલ્યા રાષ્ટ્રીય શોક
- મંડળ અને વોર્ડ પ્રમુખની નિમણૂંક કરતા કરી ઉજવણી
- સોશિયલ મીડિયામાં ફોટા વિડિયો થયા વાયરલ
- અમુલ ભટ્ટે પોતાના કાર્યાલય આગળ ફટાકડા ફોડી અને ઢોલ નગાડા વગાડી કરી ઉજવણી
હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ડો. મનમોહન સિંહના નિધન પર દેશમાં રાષ્ટ્રિય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપના જ એક ધારાસભ્યએ ઉજવણી કરી રાષ્ટ્રિય શોકની અવગણના કરી છે. આનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ભાજપે રાષ્ટ્રીય શોક ભૂલી કરી ઉજવણી
ભારતના પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર, કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. 26મી ડિસેમ્બરને ગુરુવારે 92 વર્ષની વયે પૂર્વ વડા પ્રધાનનુ નિધન થયુ હતુ. ત્યારબાદ સરકારે સાત દિવસના શોકની જાહેરાત કરી હતી. શોક દરમિયાન તમામ સરકારી કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. ત્યારે ભાજપ સંગઠન પર્વમાં રાષ્ટ્રીય શોક ભૂલી ઉજવણી કરવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે.
ભાજપના પોકળ દાવાઓ
એક તરફ ભાજપ પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક હોવાનો દાવો કરે છે ત્યારે ભાજપના પોકળ દાવાઓ વચ્ચે રાષ્ટ્રીય શોક ભૂલી ભાજપના જ મણીનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટે ઉજવણી કરી હોવાનુ સામે આવ્યુ છે.
ઘટનાના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપના જ મણીનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટે મંડળ અને વોર્ડ પ્રમુખોની નિમણૂંક દરમિયાન ફટાકડા ફોડ્યા હતા અને ઢોલ-નગાડા વગાડી ઉજવણી કરી હતી. મંડળ અને વોર્ડ પ્રમુખની નિમણૂંક કરાતા આ ઉજવણી કરી હતી. આ વિવાદિત ઘટનાના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે અને લોકોમાં ભાજપના આ બેવડા વર્તાવને લઈને નારાજગી જોવા મળી રહી છે.
અણસમજુ કાર્યકર્તાઓએ ઉજવણી કરી: અમુલ ભટ્ટ
વિવાદ વધતા કેટલાક અણસમજુ કાર્યકર્તાઓએ ઉજવણી કરી હોવાનું ધારાસભ્ય અમુલ ભટ્ટે સ્વીકાર્યું હતુ. ઉજવણીનો કાર્યક્રમ થયો તે અંગે mlaએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી. જોકે કાર્યકરો આવ્યા, સ્વાગત કર્યું અને ફોટા પડાવ્યા તેનો સ્વીકાર કર્યો. અમુલ ભટ્ટે પોતાનો બચાવ કરતા કહ્યું કે, આ ઉજવણી કાર્યકરોએ ઉત્સાહમાં આવીને કરી હતી. તેમણે કહ્યું, મેં મારી ઓફિસે મળવા બોલાવ્યા હતા. અને ઓફિસની અંદર ફુલહારથી સન્માન કર્યું છે. ઓફિસની અંદર મીઠાઈ ખવડાવી સેલિબ્રેશન કર્યું છે બહાર કોઈ કાર્યક્રમ નથી કર્યો.
ફટાકડા અને ડીજેની હું ના પાડતો હતો: અમુલ ભટ્ટ
તેમણે કહ્યું, ફટાકડા અને ડીજેની હું ના પાડતો હતો. ડીજે લઈને આવ્યા ત્યારે પણ હું ના પાડતો હતો. કાર્યકરોને રસ્તા પર ઉજવણી કરવાની પણ મેં ના પાડી હતી.સામાન્ય જનતા પણ ભેગી થઈ હતી અને સેલિબ્રેશન કર્યું હતું.આગળ તેમણે કહ્યું, કોંગ્રેસ પાસે કોઈ પુરાવા હોય તો તેઓ કાર્યવાહી કરે. તેમણે કહ્યું, કોઈની લાગણી દુભાઈ હોય તો તેની હું માફી માંગુ છું. કોઈની મોતનો મલાજો ન જળવાય તેવો અમારો કોઈ આશય ન હતો.
આ પણ વાંચો: Ahmedabad: જમાલપુરમાં બેફામ કારચાલકે શાકભાજી વેચાણ કરતી મહિલાને કચડી


