31

ગુજરાતમાં 182 બેઠકો પૈકી 27 બેઠકો આદિવાસી વિસ્તારની છે. જેમાંથી હાલ માત્ર 13 બેઠકો જ કોંગ્રેસ પાસે છે, ત્યારે કોંગ્રેસ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ આદિવાસી બેઠકો પર જીત હાંસલ કરી શકે તે માટે કોંગ્રેસ આદિવાસી વિસ્તારના મુદ્દા લઈને આદિવાસી પ્રજા પાસે જશે.
કોંગ્રેસના આદિવાસી આગેવાનોની જગદીશ ઠાકોરની આગેવાનીમાં બુધવારના રોજ વિધાનસભા હોલમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, તુષારભાઈ ચૌધરી, અશ્વિન કોટવાલ, સી.જે. ચાવડા સહિતના આગેવાનો તેમજ આદિવાસી વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
એક સમય એવો હતો કે જ્યારે આદિવાસી બેઠકો પર કોંગ્રેસનું પ્રભુત્વ હતું. પરંતુ સમયાંતરે કોંગ્રેસ તેની આદિવાસી વોટબેંક ગુમાવતી રહી, ત્યારે હાલ કોંગ્રેસ ફરી એક વખત આદિવાસી પ્રજાને આકર્ષે તે માટે આવનારા સમયમાં અંબાજીથી ઉમરગામ સુધીની પદયાત્રા યોજશે સાથે જ અદિવાસી વિસ્તારના પ્રશ્નો જેવા કે જંગલની જમીન, બેરોજગારી, સરકારી યોજનાનો ભાગ અદિવસી બને તેને લઈને ખાસ અભિયાન ચલાવવામાં આવશે. તેમજ વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન પણ અદિવાસી વિસ્તારની સમસ્યાઓ મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે.