ચંદ્રયાન-3ની સફળતા પછી બ્રિક્સ સમેંલનમાં છવાઇ ગયા PM મોદી, ચારે તરફથી અભિનંદનની વર્ષા
બુધવારે બ્રિક્સ સમિટ દરમિયાન ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતા પછી, વિશ્વભરના નેતાઓએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. મોટાભાગના નેતાઓ પીએમ મોદીને મળ્યા અને મિશનની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા. આમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ સામેલ હતા.
ભારતીય ડાયસ્પોરામાં અદભૂત ઉત્સાહ
વડાપ્રધાન મોદી પણ ચંદ્રયાન મિશનની સફળતાથી ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. પ્રધાનમંત્રીએ મિશનની સફળતા પર દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય મૂળના સમુદાયના ઉત્સાહની પણ પ્રશંસા કરી હતી. તેમણે ટ્વીટ કર્યું કે તે જોહાનિસબર્ગમાં પણ ચંદ્રયાન-3ની સફળતાનો ઉત્સાહ અનુભવી રહ્યા છે. ભારતની સિદ્ધિ પર દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય મૂળના સમુદાયનો ઉત્સાહ જોઈને આનંદ થાય છે. વડાપ્રધાને જોહાનિસબર્ગની એક હોટલમાં ભારતીય મૂળના લોકોને મળતા તેમના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા.
ભારતે ઈતિહાસ રચ્યો
જણાવી દઈએ કે ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોનું ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું છે. મિશનનું લેન્ડર વિક્રમ બુધવારે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. રોવર પ્રજ્ઞાન પણ લેન્ડર વિક્રમમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.
પીએમ મોદીએ ઈસરોના ચેરમેનને ફોન કરીને અભિનંદન પાઠવ્યા
ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈ 2023 ના રોજ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. બુધવારે ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરતાની સાથે જ સમગ્ર ભારત આનંદથી ઉછળી પડ્યું હતું. ભારતની આ સિદ્ધિની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી.
મિશનની સફળતા બાદ પીએમ મોદીએ જોહાનિસબર્ગથી ઈસરોના ચેરમેન એસ સોમનાથને ફોન કરીને મિશનની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે જો શક્ય હશે તો તેઓ ટૂંક સમયમાં ઈસરોના હેડક્વાર્ટરમાં આવશે અને સમગ્ર ટીમને મળશે. વડાપ્રધાન હાલમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે.






