ભરૂચમાં નર્મદા નદીમાં ઘોડાપુરનો ઇતિહાસ 176 વર્ષ જૂનો છે, નર્મદા ડેમની સપાટી 138.68 મીટર થતા પુર સિમિત થયા
અહેવાલઃ દિનેશ મકવાણા ભરૂચ
સરોવર નર્મદા ડેમ ભરૂચમાં પુર માટે નિમિત્ત નહિ પણ પુરને અટકાવવા હમેશા દીવાલ બનીને ખડે પગે રહ્યો છે એટલે જ એ ગુજરાતની જીવાદોરી અને લાઈફ લાઈન કહેવાય છે. વિરોધ વંટોળ તો રહેવાના જ છે પણ વાત આજે ભરૂચમાં પુરની કલ આજ અને કલની છે.
વર્ષ 1887 થી 1936 સુધી 50 વર્ષમાં ભરૂચમાં નર્મદા નદીમાં 15 લાખ ક્યુસેકના પુર આવી ચુક્યા છે.
વર્ષ 1848 થી ભરૂચ નર્મદા નદીમાં પુરનું સાક્ષી છે જ્યારે નર્મદા ડેમ કે સરદાર સરોવર નર્મદા ડેમની પરિકલ્પના પણ ન હતી. વર્ષ 1887 થી 1936 સુધી 50 વર્ષમાં ભરૂચમાં નર્મદા નદીમાં 15 લાખ ક્યુસેકના પુર આવી ચુક્યા છે. જોકે ત્યારે અંગ્રેજોનું શાસન હતું અને કોઈ કોંગ્રેસ કે હાલ ની ભાજપ સરકાર પર રેલના માછલાં ધોઈ શકે તેમ ન હતું. વર્ષ 1937 થી 67 સુધીના 30 વર્ષમાં 15 લાખ ક્યુસેક કરતા વધુ ના પુર ભરૂચમાં નોંધાઇ ચુક્યા છે જેને અનેક ખાનાખરાબી અને માનવ હાની સર્જી છે. ત્યારે ભરૂચ અને હાલ નો નર્મદા જિલ્લો એક જ હતા.
આ ઐતિહાસિક રેલના પાણી ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે 41.50 ફૂટ નોંધાયા હતા
જોકે ભરૂચ માટે સૌથી ભયાનક નર્મદા નદીમાં પુરની તવારીખ ઇતિહાસમાં 1970 ની મહારેલ રહી છે. જેમાં 3 દિવસ સુધી તબાહીનું મંજર સર્જાયુ હતું. આ ઐતિહાસિક રેલના પાણી ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે 41.50 ફૂટ નોંધાયા હતા. તે સમયના 236 ગામના 2.15 લાખ લોકો પ્રભાવિત થયા હતા. જેમાં 355 લોકો અને 1972 પશુઓના મોત થયા હતા જે ભરૂચ, ગુજરાત અને ભારતના ઇતિહાસમાં નોંધાયેલું છે. ત્રણ દિવસ સુધી રહેલા રેલના આ ભયંકર પ્રકોપમાં જુના ભરૂચના કતોપોર ખાતે પાણીની સપાટી 15 ફૂટ વહી રહી હતી. આટલું ઓછું હોય તેમ વાવાઝોડા સાથે 2 દિવસમાં તે સમયે 18 ઇંચ વરસાદ ભરૂચમાં ખાબકી ચૂકતા સર્વત્ર તબાહી સર્જી હતી.
ડેમની ઊંચાઈ વધાર્યા બાદ મહત્તમ ભરૂચમાં ગોલ્ડનબ્રિજે સપાટી પાછલાં વર્ષોમાં 35 ફૂટ સુધી સ્પર્શી છે.
નર્મદા ડેમના નિર્માણ બાદ સપાટી 121.98 મીટર થતા પુરના પાણી 12 લાખ ક્યુસેક સુધી કંટ્રોલમાં આવ્યા હતા. જે બાદ ડેમની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર થઈ 30 દરવાજા મુકાતા 8 લાખ ક્યુસેક સુધી છેલ્લા 5 વર્ષમાં પાણી નર્મદા નદીમાં છોડાયા છે. ડેમની ઊંચાઈ વધાર્યા બાદ મહત્તમ ભરૂચમાં ગોલ્ડનબ્રિજે સપાટી પાછલાં વર્ષોમાં 35 ફૂટ સુધી સ્પર્શી છે.
આ વખતે ઇતિહાસ સર્જાશે ?
હવે ઇતિહાસ રચાયો છે સદીઓ પછી ડેમની ઊંચાઇ 138.68 મીટર કરી 30 દરવાજા મુક્યા બાદ 8 લાખ ક્યુસેકની રેલ આવી હતી. આ વખતે અગાઉના તમામ વર્ષોના રેકોર્ડ તોડી નદીમાંથી 18 લાખ ક્યુસેકની સુનામી નદીમાં ઠલવાવા જઈ રહી છે. જેનું ભરૂચ જિલ્લા અને આજની યુવા પેઢી પહેલીવાર સાક્ષી બનશે.
પ્રાચીન માન્યતાઓ
ભરૂચમાં પ્રાચીન સમયમાં પુરના પાણીને જોવાથી પાપ લાગતું હોવાની માન્યતા પર્વત્તી હતી. જેથી લોકો નર્મદામાં પુર સમયે તેના પાણી જોવા કિનારે જતા ન હતા.પહેલા પુરમાં દૂધ અને કંકુ ચઢાવી પાણી ઓસરવા પ્રાર્થના કરાતી. નર્મદા નદીમાં આવતા પુરમાં લોકો રેવાને શાંત પડવા તેમજ પુરના પાણી ઓસરે તે માટે નદીમાં કંકુ અને દૂધ ચઢવતા હતા. કેટલાક શ્રીફળ નાળિયેર પણ અર્પણ કરતા હતા.
નર્મદા નદીમાં પ્રતિવર્ષ ઠલવાઇ રહ્યો છે લાખો ટન સુધી કાપ
અમરકંટકથી અરબી સમુદ્ર સુધી નર્મદા નદીમાં પ્રતિ વર્ષ લાખો ટન કાપ ઠલવાઇ રહ્યો છે. જોકે પાછલા કેટલાય વર્ષોથી નદીમાં ડ્રેજિંગ થયું નથી. કાપ હટાવવાની પ્રક્રિયા હાથ નહિ ધરાતાં પ્રતિવર્ષ પુરના પાણી સમસ્યા સર્જી રહ્યા છે. જો કાપ દૂર કરાઇ તો પુરની અસર ઓછી થવા સાથે વધુ પાણીનો નદીમાં સંગ્રહ થઈ શકે છે




