જાણો શું છે જ્ઞાન સહાયક યોજના.. શા માટે થઇ રહ્યો છે તેનો વિરોધ અને શું છે વિરોધકર્તાઓ સામે સરકારની દલીલ ?
રાજ્યમાં જ્ઞાન સહાયક મુદ્દે વિવાદ થંભી નથી રહ્યો.. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માગ સાથે વિરોધનો વંટોળ ઉભો થયેલો છે. રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.. ચાલો આપને જણાવીએ કે જ્ઞાન સહાયક યોજના છે શું ..અને શા માટે તેનો આટલો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પ્રવાસી શિક્ષક યોજના જેવી જ યોજના પરંતુ પગાર તેના કરતા વધારે
સરકારે 25 હજાર જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે.. 5 હજાર ખેલ સહાયકની ભરતી કરવાની જાહેરાત કરાઇ છે. આ સહાયકોને પગાર તરીકે પ્રાથમિક વિભાગમાં 21 હજાર રૂપિયા માસિક પગાર મળશે, માધ્યમિક વિભાગમાં 24 હજાર રૂપિયા માસિક પગાર મળશે જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં 26 હજાર રૂપિયા માસિક પગાર મળશે. આ ભરતી 11 મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત હશે .. શાળા વ્યવસ્થાપન સમિતિ જ્ઞાન સહાયકો સાથે કરાર કરશે.
પ્રાથમિક વિભાગમાં TET-2 પરીક્ષામાં પાસ ઉમેદવાર અરજી કરી શકે છે.. માધ્યમિક વિભાગમાં TAT(S) પાસ ઉમેદવાર અરજી કરી શકે છે.. આ ઉમેદવારોની વય મર્યાદા 40 વર્ષની રહેશે
વિરોધ કેમ ?
જ્ઞાન સહાયકના ઉમેદવારોને કોઈ સેવા વિષયક હક્ક-દાવો આપવામાં નહીં આવે... ઉપરાંત 11 મહિનાનો સમય પૂરો થતા કરાર આપોઆપ રદ થઇ જશે.. ઉમેદાવારોની માંગ છે કે કાયમી ભરતી કરવામાં આવે.. કરાર આધારિત ભરતી ન કરવામાં આવે.. . ઉમેદવારો કહી રહ્યા છે કે શિક્ષકોની હાલ મોટી સંખ્યામાં ઘટ હોવા છતા શા માટે કાયમી ભરતી કરવામાં નથી આવી રહી અને માત્ર કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરવામાં આવી રહી છે.
શું છે સરકારની દલીલ ?
સરકારનું કહેવુ છે કે એવું નથી કે કાયમી ભરતી નહીં આવે. કાયમી ભરતી તેના કેલેન્ડર પ્રમાણે આવવાની જ છે અને જે લોકો જ્ઞાન સહાયક તરીકે જોડાશે તેમને પણ કાયમી ભરતીમાં તક મળવાની જ છે.


