હવે પ્રિપેઇડ કાર્ડ રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકાશે, દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા ઘરે-ઘરે સ્માર્ટ મીટર લગાડવાની કવાયત શરૂ
અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત
હવે મોબાઈલ ની જેમ વીજળીના વપરાશ માટે પણ પ્રિપેઈડ કાર્ડ વાપરવામાં આવશે,મોબાઈલ માટે નહિ પરંતુ સ્માર્ટ મીટર માટે વપરાશે સીમ કાર્ડ, સ્માર્ટ મીટરમાં મોબાઈલની જેમ પ્રિપેઈડ કાર્ડ રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકાય તેવી સુવિધા દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા ઊભી કરાઇ છે.
૭ જિલ્લામાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડાશે
વીજ ધારકો હવે પ્રિપેઇડ કાર્ડથી વીજળી ખરીદી ઉપયોગ કરી શકશે, દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા ટૂંક સમયમાં ડિજિટલ મીટરના સ્થાને ૭ જિલ્લામાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડવા કવાયત શરૂ કરાઇ છે. આ અંગે ડીજીવીસીએલ ના એમ. ડી યોગેશ ચૌધરી એ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત વીજકંપની આગામી ટૂંક સમયમાં ડિજિટલ મીટરના સ્થાને ૭ જિલ્લામાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડાશે. ડીજીવીસીએલના કાર્યક્ષેત્રના સાત જિલ્લાના ૩૬ લાખ વીજગ્રાહકો પૈકી પ્રથમ ફેસમાં ૧૮ લાખ એટલે કે ૫૦ ટકા વીજગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવાની ઝુંબેશ હાથ ધરાશે.તેમાં પણ સુરત અને તાપી જિલ્લાથી શરૂઆત કરી તબક્કાવાર રીતે નવસારી,નર્મદા વલસાડ સહિતના જિલ્લાઓના તમામે તમામ વીજ ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાડાશે. આ સ્માર્ટ મીટરમાં મોબાઈલની જેમ પ્રિપેઇડ કાર્ડ રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકાય તેવી સુવિધા છે. એટલે કે આવનારા દિવસોમાં પ્રિપેઇડ કાર્ડથી વીજળી ખરીદી ઉપયોગ કરવાની નીતિ અમલમાં મૂકવામાં આવશે.
મોબાઈલ એપ્લિકેશનથી વીજળીની માહિતી
વધુમાં તેમણે કહ્યું હતું કે સ્માર્ટમીટર લાગી ગયા બાદ વીજગ્રાહકો મોબાઈલ કંપનીઓની જેમ વપરાશ અંગેની મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી માહિતી મેળવી શકશે. રોજેરોજ કેટલા યુનિટ વપરાયા તે અંગેની માહિતી મેળવી શકાશે. આ ઉપરાંત પ્રિપેઈડ મીટર અંગેની સિસ્ટમ લાગુ થયા બાદ કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવ્યું તેમાંથી કેટલા રૂપિયા જમા છે. તેમજ મોબાઈલ એપ્લિકેશનથી રિચાર્જ પણ કરાવી શકાશે.
સ્માર્ટ મીટર લગાડવા મુદ્દે ટેન્ડર ઈશ્યૂ
હાલમાં રાજ્યની ચારે ચાર વીજકંપનીના વીજ ગ્રાહકો પૈકી પ૦ ટકા વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવા મુદ્દે ટેન્ડર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. આ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંભવતઃ જૂન ૨૦૨૩ પછી ગમે ત્યારે સ્માર્ટ મીટર લગાડવાનો આરંભ કરી દેવાશે. સ્માર્ટ મીટરમાં વીજચોરી કરનારાઓની માહિતી તો મળી જશે. પરંતુ શિળાયો. ઉનાળો અને ચોમાસાની સિઝનમાં કયા વિસ્તારમાં કેટલો વીજલોડની જરૂરિયાત છે. તેની સચોટ માહિતી મળી રહેશે. જેથી કરીને સિઝન બદલાઈ ત્યારે વીજલોડ મેન્ટેન કરવામાં ડીજીવીસીએલને સરળતા રહેશે.




