Bharat Bandh : આવતીકાલે ભારત બંધનું એલાન, 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી
- 9 જુલાઇ આવતીકાલે ભારત બંધનું એલાન
- 10 કેન્દ્રીય વેપાર સંગઠનોની આવતીકાલે હળતાડ પર
- 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી
Bharat Bandh: દેશના 10 કેન્દ્રીય વેપાર સંગઠનોએ સંયુક્ત ધોરણે આવતીકાલે 9 જુલાઈ, 2025ના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. જેમાં બેન્કિંગ, કોલસા ખાણકામ, પોસ્ટ ઓફિસ, ઈન્સ્યોરન્સ કંપની અને પરિવહન જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોના 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે. સરકારની 'કોર્પોરેટ-તરફેણ, મજૂર-વિરોધી અને ખેડૂત-વિરોધી' નીતિઓનો વિરોધ કરતાં આ બંધનું એલાન કરવામાં આવ્યું છે. જો કે, શાળાઓ, કોલેજો અને ખાનગી ઓફિસો ખુલ્લી રહેશે, પરંતુ દેખાવોના કારણે ઘણા સ્થળો પર ટ્રાફિકની સમસ્યાઓ નડી શકે છે.
હડતાળની અસર: શું બંધ રહેશે?
બેન્કો અને વીમા: જાહેર ક્ષેત્રની બેન્કો અને વીમા કંપનીઓના કર્મચારીઓ હડતાળ પર રહેશે, જેના કારણે વ્યવહારો અને ચેક ક્લિયરન્સ પર અસર પડી શકે છે. બેન્ક યુનિયનો દ્વારા સેવાઓ આવતીકાલે બંધ રહેવાની અલગથી જાહેરાત થઈ નથી. પરંતુ હડતાળના આયોજકોનું કહેવું છે કે જાહેર ક્ષેત્ર અને સહકારી બેન્કોના કર્મચારીઓ તેમાં સામેલ છે. જેથી તેઓ બંધ પાળશે
ભારત બંધમાં સામેલ સંગઠન
- ઈન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC)
- સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU)
- ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)
- ટ્રેડ યુનિયન કોંગ્રેસ (TUC)
- સેલ્ફ એમ્પ્લોય્ડ વિમન્સ એસોસિએશન (SEWA)
- ઓલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ (AICCTU)
- હિન્દ મજદૂર સભા (HMS)
- લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF)
- યુનાઈટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (UTUC)
શું બેંકો બંધ રહેશે?
હડતાળને કારણે બેંકિંગ યુનિયનોએ સેવાઓમાં વિક્ષેપ પડવાની અલગથી પુષ્ટિ કરી નથી. પરંતુ હડતાળ આયોજકોના મતે, નાણાકીય સેવાઓ પ્રભાવિત થશે. હડતાળ આયોજકોએ જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રની બેંકો અને સહકારી બેંકિંગ ક્ષેત્રોના કર્મચારીઓ હડતાળમાં સામેલ છે. આનાથી ઘણા ક્ષેત્રોમાં શાખા સેવાઓ, ચેક ક્લિયરન્સ અને ગ્રાહક સપોર્ટ જેવી બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે.
શાળાઓ, કોલેજો-ઓફિસોનું શું થશે?
9 જુલાઈના રોજ શાળાઓ કોલેજો અને ખાનગી કચેરીઓ ખુલ્લી રહેવાની ધારણા છે. જોકે પરિવહન સમસ્યાઓના કારણે કેટલાક ક્ષેત્રોમાં કામકાજ પ્રભાવિત થઈ શકે છે. ઘણા શહેરોમાં ટ્રેડ યુનિયનો અને સહયોગી જૂથો દ્વારા વિરોધ માર્ચ અને શેરી પ્રદર્શનોને કારણે જાહેર બસો, ટેક્સીઓ અને એપ્લિકેશન-આધારિત કેબ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. આનાથી સ્થાનિક મુસાફરી અને લોજિસ્ટિક્સ કામગીરીમાં વિલંબ અથવા રદ થવાની સંભાવના છે.
શું રેલ સેવાઓ પર અસર પડશે?
9 જુલાઈના રોજ દેશવ્યાપી રેલ્વે હડતાળની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે દેશના ઘણા ભાગોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન અને રસ્તાઓ રોકાઈ શકે છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રેન સેવાઓ ખોરવાઈ શકે છે અથવા વિલંબિત થઈ શકે છે.રેલવે યુનિયનોએ ભારત બંધમાં ઔપચારિક રીતે ભાગ લીધો નથી. પરંતુ અગાઉ આવી હડતાળમાં રેલ્વે સ્ટેશનો નજીક અથવા પાટા પર પ્રદર્શન કરનારાઓ જોવા મળ્યા છે ખાસ કરીને એવા રાજ્યોમાં જ્યાં યુનિયનો મજબૂત હાજરી ધરાવે છે. આનાથી સ્થાનિક ટ્રેનોમાં વિલંબ થઈ શકે છે અથવા અધિકારીઓ દ્વારા સુરક્ષા પગલાંમાં વધારો થઈ શકે છે.
શું છે હડતાળનું કારણ ?
ટ્રેડ યુનિયનોનો દાવો છે કે, તેમની ચિંતાઓને સતત અવગણવામાં આવી રહી છે. તેમણે ગયા વર્ષે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને 17-મુદ્દાની માંગણીઓનો ચાર્ટર સુપરત કર્યો હતો, પરંતુ તેમનું કહેવું છે કે, તેનો કોઈ ગંભીર પ્રતિભાવ મળ્યો નથી. યુનિયન ફોરમે કહ્યું કે સરકારે દેશના કલ્યાણ રાજ્યના દરજ્જાને છોડી દીધો છે. તે વિદેશી અને ભારતીય કંપનીઓના હિતમાં કામ કરી રહી છે. આ નીતિઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે તેના પરથી સ્પષ્ટ થાય છે.