ટેરિફ અનિશ્ચિતતા વચ્ચે RBI નો મોટો નિર્ણય, Repo Rate 5.50 ટકા પર યથાવત્ રાખ્યો
- ટેરિફ અનિશ્ચિતતા વચ્ચે RBIનો મોટો નિર્ણય
- RBIએ Repo Rate 5.50 ટકા પર યથાવત્ રાખ્યો
- રેપો રેટમાં ઘટાડો ન થતાં લોન સસ્તી નહીં થાય
- આ વર્ષે ત્રણ વખત વ્યાજ દરમાં કર્યો હતો ઘટાડો
- 2025-26માં GDP 6.5 ટકા રહેવાનો અંદાજ
Repo Rate : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વૈશ્વિક ટેરિફ અનિશ્ચિતતાઓ અને આર્થિક પડકારોના સમયમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રેપો રેટ (Repo Rate) ને 5.5 ટકા પર સ્થિર રાખ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 4 ઓગસ્ટ, 2025થી શરૂ થયેલી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી. આ નિર્ણયનો અર્થ એ છે કે લોનના વ્યાજદરોમાં તાત્કાલિક ઘટાડો થવાની શક્યતા નથી, જે ગ્રાહકો અને ઉદ્યોગો માટે નોંધપાત્ર અસર ધરાવે છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં RBI એ GDP વૃદ્ધિનો અંદાજ 6.5 ટકા રાખ્યો છે, જે અર્થતંત્રની સ્થિરતા અને સંભવિત જોખમો વચ્ચે સંતુલન દર્શાવે છે. આ નિર્ણય વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ અને ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આર્થિક સ્થિરતા પર ધ્યાન
RBI એ આ વર્ષે ફેબ્રુઆરી, એપ્રિલ અને જૂનમાં રેપો રેટ (Repo Rate) માં કુલ 1.00 ટકાનો ઘટાડો કર્યો હતો, જેમાં ફેબ્રુઆરી અને એપ્રિલમાં 0.25 ટકા અને જૂનમાં 0.50 ટકાનો ઘટાડો સામેલ હતો. જોકે, ગવર્નર મલ્હોત્રાએ જણાવ્યું કે આ ઘટાડાની અસર હજુ સંપૂર્ણ રીતે અર્થતંત્રમાં જોવા મળી નથી, જેના કારણે હાલ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવાયો. MPC એ તેનું તટસ્થ વલણ જાળવી રાખ્યું છે, જે ફુગાવા અને આર્થિક વૃદ્ધિ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ દર્શાવે છે. ગવર્નરે ઉલ્લેખ કર્યો કે ચોમાસુ સારી રીતે આગળ વધી રહ્યું છે જે અર્થતંત્રને વેગ આપશે, પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ હજુ ધીમો અને અસમાન છે, જે આગામી સમયમાં પડકારો ઉભા કરી શકે છે.
Tariff અનિશ્ચિતતા વચ્ચે RBIનો મોટો નિર્ણય । Gujarat First@RBI #RBIUpdate #RepoRateUnchanged #MonetaryPolicy #Tariff #TariffsOnIndia #gujaratfirst pic.twitter.com/WQIqH6JK9x
— Gujarat First (@GujaratFirst) August 6, 2025
Repo Rate માં ફેરફાર નહીં અને ફુગાવાનો નવો અંદાજ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ, ફુગાવાને લઈને રાહતના સમાચાર છે, RBI એ કહ્યું કે આગામી સમયમાં ફુગાવામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 26 માટે ફુગાવાનો અંદાજ 3.7% થી ઘટાડીને 3.1% કર્યો છે. જણાવી દઇએ કે, RBI એ ચાલુ નાણાકીય વર્ષ માટે છૂટક ફુગાવાનો અંદાજ ઘટાડીને 3.1 ટકા કર્યો છે, જે અગાઉના 3.7 ટકાના અંદાજ કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે. MPCનું કહેવું છે કે ફુગાવો અગાઉના અંદાજ કરતાં ઓછો રહ્યો છે, જેનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં વધઘટ છે. જોકે, નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ફુગાવો વધવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને RBI એ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. ગવર્નરે ઉલ્લેખ કર્યો કે વૈશ્વિક ટેરિફ અનિશ્ચિતતાઓ અને ભૂ-રાજકીય તણાવ આર્થિક વૃદ્ધિ માટે જોખમો ઉભા કરી શકે છે, જેના કારણે મેક્રો-ઇકોનોમિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રેપો રેટ સ્થિર રાખવો જરૂરી બન્યું.
SDF અને MSF દરોમાં પણ સ્થિરતા
RBI એ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) દરને 5.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) દરને 5.75 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયો બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટીનું સંચાલન કરવા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે મહત્વપૂર્ણ છે. ગવર્નરે જણાવ્યું કે દેશમાં ચોમાસાની સકારાત્મક પ્રગતિ ખેતી અને ગ્રામીણ અર્થતંત્રને ટેકો આપશે, જે આગામી સમયમાં આર્થિક વૃદ્ધિને વેગ આપી શકે છે. જોકે, ઔદ્યોગિક ક્ષેત્રમાં ધીમી પ્રગતિ અને વૈશ્વિક પડકારો આર્થિક નીતિઓને જટિલ બનાવી રહ્યા છે.
આ પણ વાંચો : Gold Price Today: સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ


