Rajdeepsinh Ribda : ગુનાખોરી તરફ ધકેલવા તેમજ પરિવારથી દૂર કરવા માટે રાજદીપ રીબડા જવાબદાર હોવાનું હાર્દિક જાડેજાનું તારણ
Rajdeepsinh Ribda : રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાના પ્રકરણમાં 8 વર્ષ પહેલાં થયેલાં ઝઘડા/હુમલાને કારણભૂત માનવામાં આવે છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ (Rajkot Rural Police) ની તપાસ/પૂછપરછમાં રિમાન્ડ દરમિયાન રિઢા ગુનેગાર હાર્દિકે કેટલીક ચોંકાવનારી વાતો કરી છે. વિદ્યાર્થીકાળમાં કરેલી મારામારીના પ્રકરણમાં બાહુબલી મનાતા અનિરૂદ્ધસિંહ રીબડાના પુત્ર રાજદીપે હાર્દિકસિંહ જાડેજાને માફી માગ્યા બાદ માર માર્યો હોવાની તેમજ તેની માતાને મારી હોવાથી વેરનો બદલો લેવા એક શરૂઆત થઈ છે. હાર્દિકસિંહ જાડેજા (Hardiksinh Jadeja) એ રાજકોટના ધર્મેન્દ્ર ઝાલા ઉર્ફે પિન્ટુ ખાટડી અને રીબડાના રાજદીપસિંહ જાડેજા (Rajdeepsinh Jadeja) ની હત્યા કરવા કેમ ખુલ્લી ચેલેન્જ ફેંકી ? વાંચો આ અહેવાલમાં...
Rajdeepsinh Ribda ને ડરાવવા રૂપિયા ક્યાંથી આવ્યા ?
જુલાઈ-2022માં રાજકોટ શહેર ખાતે 4 હજારની લેણદેણમાં હાર્દિક જાડેજા અને દીપ લાઠીયાએ યુવાનની હત્યા કરી હતી. જે કેસમાં જેલવાસ ભોગવતા હાર્દિકે વર્ષ 2024માં પેરોલ મેળવીને જમ્પ કરી હતી. ગળાના કેન્સરની બિમારીથી પીડાતી વિધવા માતાની સારવાર માટે રૂપિયાની જરૂર હોવાથી હાર્દિકે સાગર વ્યાસ (રહે. રાજકોટ) પાસેથી સુરત શહેરમાં એક ક્રાઇમ કરવા પેટે 3 લાખ લીધા હતા. નવેમ્બર-2024માં સુરત શહેરમાં મુસ્તકીમ ઝુનઝુનનીયા (મૂળ રહે. ધોરજી, જિ. રાજકોટ)નું અપહરણ કરી 20 લાખથી વધુ રકમની ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) હાર્દિક અને તેની ટોળકીએ લૂંટી લીધી હતી. 3 લાખ પૈકી 2 લાખ રૂપિયા માતાની સારવાર માટે આપી એક લાખ રૂપિયા લઈને હાર્દિક ઉત્તરપ્રદેશ ચાલ્યો ગયો હતો અને ત્યાં કેટલાંક ગુનેગારોના સંપર્કમાં આવ્યો હતો. વર્ષ 2025ની શરૂઆતમાં હાર્દિકની માતાનું નિધન થયું હતું. માતાના નિધન બાદ હાર્દિકે Rajdeepsinh Ribda અને Pintu Khatdi ને 8 વર્ષ જુની વાતને લઈને નિશાના પર મુક્યા હતા. હાર્દિકે રાજદીપ રીબડા પર ફાયરિંગ કરવા પોતે તેમજ માણસો પાસે રેકી પણ કરાવી હતી. ગત જુલાઈ મહિનાની રાતે રાજદીપસિંહ જાડેજાના ઘર પર ફાયરિંગ કરવા મોકલેલા શખ્સો પાછા પડતા તેમણે હાર્દિકનો સંપર્ક કર્યો હતો અને હાર્દિકે અનિરૂદ્ધસિંહ રીબડા (Aniruddhsinh Ribda) ના પરિવારની માલિકીના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવા સૂચના આપી હતી. અત્રે નોંધનીય છે કે, તમારા પર પણ હુમલો થઈ શકે છે તેવું દર્શાવવા હત્યા કર્યા વિના ફાયરિંગ કરવા હાર્દિકે તેના માણસોને સૂચના આપી હતી.
Rajdeepsinh Ribda કેમ હાર્દિકના નિશાના પર ?
અનિરૂદ્ધસિંહ જાડેજા રીબડા અને આસપાસના કેટલાંક વિસ્તારમાં બાહુબલીની છાપ ધરાવે છે. જાડેજા પરિવાર સામે પડવાની સામાન્ય ગુનેગારમાં હિંમત પણ નથી. રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં પોલીસે અનિરૂદ્ધ જાડેજા અને રાજદીપ જાડેજાને ગત એપ્રિલ મહિનાના અંતમાં આરોપી બનાવતા તેઓ ધરપકડથી બચવા ફરાર થઈ ગયા. પિતા-પુત્રની ગેરહાજરીનો લાભ અને રાજકોટમાં બદલાયેલા સમીકરણોનો ફાયદો ઉઠાવીને હાર્દિક જાડેજા મેદાનમાં આવ્યો હોવાની ચર્ચા છે.
હાર્દિક બદલો લેવા કેમ તત્પર છે ?
રાજકોટની રાજકુમાર કૉલેજ (Rajkumar College Rajkot) માં અભ્યાસ દરમિયાન હાર્દિકસિંહ જાડેજાએ જય પોપટ નામના યુવકને માર માર્યો હતો. આ મામલે આઠેક વર્ષ અગાઉ રાજદીપસિંહ જાડેજાએ હાર્દિકને વાડી પર બોલાવી માફી મગાવી હતી. માફી માગ્યા બાદ હાર્દિકના ઘરે ગયેલા ગુંડાઓએ તેને તથા તેની માતાને માર માર્યો હતો. હાર્દિકને પેટમાં ચપ્પાનો ઘા પણ મારવામાં આવ્યો હતો. જો કે, આ મામલે રાજકોટ શહેર પોલીસ (Rajkot City Police) ના ચોપડે કોઈ નોંધ નથી, પરંતુ હાર્દિકના પેટમાં ઘાનું નિશાન છે. Rajdeepsinh Ribda માટે કામ કરતા ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે પિન્ટુ ખાટડીની હુમલામાં મુખ્ય ભૂમિકા હોવાનું હાર્દિકે પોલીસને રિમાન્ડ દરમિયાન જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, હાર્દિક જાડેજા સગીર વયની ઉંમરથી જ ગુનાખોરીના રવાડે ચઢી ગયો હતો. હાર્દિક સામે એક પછી એક ગુનાઓ નોંધાતા તેના પિતા હરદેવસિંહ જાડેજાએ વર્ષ 2018માં તેને ઘરમાંથી કાઢી મુક્યો હતો. ચારેક વર્ષ અગાઉ હાર્દિકના પિતાનું નિધન થયું છે. વિદ્યાર્થીકાળમાં બનેલી ઘટનામાં રાજદીપસિંહ જાડેજાએ ભજવેલી ભૂમિકા અને પરિવાર પર થયેલા હુમલાએ તેની દિશા અને દશા બદલી નાંખી હોવાથી તેના માટે જવાબદાર શખ્સોને સબક શિખવાડવા હાર્દિક જાડેજાએ ફાયરિંગ કરાવ્યું અને ખુલ્લેઆમ ધમકીઓ પણ આપી.
આ પણ વાંચો : BZ Group : 6 હજાર કરોડના કથિત કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇકોર્ટે આપ્યા જામીન, 122 કરોડ ચૂકવવાના બાકી


