ખેડાના ઝેરી સિરપકાંડ બાદ રાજ્યભરમાં ફેલાયેલા નેટવર્કને મૂળમાંથી નેસ્તનાબૂદ કરનારી દ્વારકા જિલ્લા પોલીસ ટીમની Home Department એ કદર કરી
Home Department : મધ્યપ્રદેશમાં થયેલા કફ સિરપકાંડ જેવો જ એક કાંડ વર્ષ 2023ના અંતમાં ખેડા જિલ્લામાં થયો હતો. ઝેરી સિરપ ગટગટાવનારા પ્યાસીઓ પૈકી કુલ 7 લોકોના મોત થતાં સિરપકાંડ ભારે ચર્ચા/વિવાદમાં આવ્યો હતો. ગુજરાત સરકારમાં ફેલાયેલા ભ્રષ્ટાચારના પાપે થયેલાં ઝેરી સિરપકાંડમાં ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ તેમજ નશાબંધી અને આબકારી વિભાગની સંડોવણી સામે આવી હતી. સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુકત દવા/સિરપ અને આર્યુવેદના નામે રાજ્યભરમાં ફેલાયેલાં નશાના કારોબાર પર દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ધ્યાન કેન્દ્રીત કર્યું અને તેને જડમૂળથી ખલાસ પણ કરી દીધું. IPS થી લઈને હેડ કૉન્સ્ટેબલ કક્ષા સુધીના 21 અધિકારી/કર્મચારીઓની ગૃહ વિભાગે (Home Department Gujarat) કદર કરી તેમને પ્રશસ્તિ પત્ર તેમજ લાખોના રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.
Home Department વિશેષ કામગીરીની કરે છે સરાહના
ડિસેમ્બર-2024માં અમદાવાદની સરખેજ પોલીસ ટીમ (Sarkhej Police Team) તેમજ ડીસીપી સ્કવૉડે તાંત્રિક નવલસિંહ ચાવડાને પકડી એક ડઝન હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. તાંત્રિક સહિતના આરોપીઓને પકડી માનવ કંકાલ શોધી કાઢનારી પોલીસ ટીમના 10 સભ્યોને 4.15 લાખના રોકડ પુરસ્કાર/પ્રશસ્તિ પત્ર આપવા Gujarat Home Department એ ગત ઑગસ્ટ મહિનામાં જાહેરાત કરી હતી. ભૂતકાળમાં ગૃહ વિભાગ વિશેષ કામગીરી કરનારી અનેક પોલીસ ટીમ અને અધિકારી/કર્મચારીઓને લાખો રૂપિયાના પુરસ્કાર આપી ચૂકી છે. અત્રે નોંધનીય છે કે, 2 લાખ રૂપિયાથી વધુ રકમના રોકડ પુરસ્કાર આપવાની સત્તા માત્ર ગૃહ વિભાગ પાસે છે.
સિરપકાંડ પહેલાંથી જ દ્વારકા પોલીસે કામ આરંભી દીધું હતું
જુલાઈ-2023ના અંતમાં દ્વારકા એલસીબી પીએસઆઈ બી. એમ. દેવમુરારી (PSI B M Devmurari) અને તેમની ટીમે ખંભાળિયા શહેરમાંથી 'કાલ મેઘાસવ' નામની સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુકત દવાની 4 હજાર બોટલનો જથ્થો ભરેલી આઈસર પકડી. તપાસમાં નશાબંધી વિભાગનું પ્રમાણપત્ર અયોગ્ય હોવાનું તેમજ GST નંબર ખોટા હોવાની તેમજ દવામાં ઈથેનોલ (આલ્કોહોલ) ભેળવતા હોવાની વિગતો સામે આવી હતી. અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારમાં Dwarka LCB ની ટીમે રેડ કરતા ફેકટરીમાંથી 840 લિટર ઈથેનોલ (Ethanol) સીટ્રીક એસિડ સહિતના પદાર્થો મળી આવતા સૂત્રધાર ભરત નકુમ સહિત ત્રણની ધરપકડ કરી હતી. બીજા કિસ્સામાં ખંભાળિયાના ઈન્ચાર્જ પીઆઈ એન. એચ. જોષી (PSI N H Joshi) એ 15,624 બોટલો પકડી અકરમ બાનવા, તેના ભાગીદાર ચિરાગ થોભાણી અને પંજાબના સપ્લાયર પંકજ ખોસલાની ધરપકડ કરી હતી. પંજાબમાં નારાયણી હર્બલના નામે નશાયુક્ત સિરપ બનાવતા પંકજ ખોસલાના યુનિટમાંથી પોલીસને 6500 લિટર ઈથેનોલ મળી આવ્યું હતું. જ્યારે સેલવાસામાં નશાયુક્ત સિરપ બનાવી રાજ્યભરમાં નશાનો કારોબાર કરતી ટોળકીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પકડી હતી. ઓખા મરીન પોલીસ સ્ટેશન (Okha Marin Police Station) માં નોંધાયેલા કેસમાં નામચીન સુનિલ કક્કડ, HGP કંપનીના ફેકટરી ઈન્ચાર્જ, AMB ફાર્માના મુખ્ય વહીવટકર્તા સહિત 8 શખ્સોની ધરપકડ કરી હતી. 700 કરોડની છેતરપિંડીના કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલા સાંઈ ઈન્ફો સિસ્ટમ (SIS) ના સુનિલ કક્કડ (Sunil Kakkad) કેસનો સૂત્રધાર નીકળ્યો હતો. દ્વારકા જિલ્લા પોલીસે રાજ્ય તેમજ રાજ્ય બહાર ચાલતી ત્રણ સિરપ ફેક્ટરીના શટર પડાવી દીધાં હતાં.
નશાબંધી વિભાગનો અધિકારી ભાગીદાર નીકળ્યો
નશાયુક્ત સિરપના કરોડોનો કારોબાર બેરોકટોક ચાલે તે માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Food and Drugs Department Gujarat) સહિત અન્ય વિભાગોના અધિકારીઓ સાથે ગોઠવણ કરનારા નશાબંધી વિભાગના એક અધિકારીનું નામ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ગાંધીનગર નશાબંધી ભવન (Nashabandhi Bhavan) માં બેસતા સેટિંગબાજ અધિકારીના આર્શીવાદથી નાયબ નિરીક્ષક મેહુલ ડોડીયા (Mehul Dodiya) રાજ્યના સિરપ માફિયાઓની કંપનીમાં રીતસરનો ભાગીદાર બની ગયો હતો. દ્વારકા પોલીસે મેહુલ ડોડીયાને આરોપી જાહેર કર્યો અને તેની સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો તે પહેલાં વિદેશ નાસી છૂટ્યો હતો. અત્રે નોંધનીય છે કે, નશાબંધી ભવનમાં બેસતા ભ્રષ્ટ અધિકારીઓ સાથે ગોઠવણ કરીને તેણે સરકારી નોકરીમાંથી રાજીનામું પણ આપી દીધું હતું.
કોને મળશે રોકડ પુરસ્કાર અને કોને પ્રશસ્તિ પત્ર ?
રાજ્ય પોલીસ વડાએ Home Department Gujarat ને નશાયુક્ત સિરપના કારોબારને મૂળથી ખતમ કરનારી દ્વારકા જિલ્લા પોલીસ ટીમને પુરસ્કૃત કરવા ગત ઑગસ્ટ મહિનામાં પત્ર લખ્યો હતો. જેના આધારે તત્કાલિન એસપી નિતેશ પાંડેય (Nitesh Pandey), એએસપી રાઘવ જૈન (Raghav Jain) અને એસડીપીઓ ડૉ. હાર્દિક પ્રજાપતિ (Hardik Prajapati) ને પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે. જ્યારે પીઆઈ કે.કે.ગોહિલ (PI K K Gohil), પીઆઈ ટી.સી.પટેલ (PI T C Patel) અને પીએસઆઈ બી.એમ.દેવમુરારીને 1-1 લાખના રોકડ પુરસ્કાર અપાશે. પીએસઆઈ એમ.આર.સવસેટા, એન.એચ.જોષી અને આર.આર.જરૂને 70-70 હજાર તેમજ વાયરલેસ પીએસઆઈ એસ.વી.કાબલીયાને 50 હજારનો પુરસ્કાર અપાશે. એએસઆઈ દુદાભાઈ લુવા, જયદેવસિંહ જાડેજા, હે.કૉ. સહદેવસિંહ જાડેજા, કિશોરભાઈ મેર, હેમંતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, ડાડુભાઈ જોગલ, યોગરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા અને ડ્રાઈવર HC વિશ્વદીપસિંહ જાડેજાને 30-30 હજારના રોકડ પુરસ્કાર આપવા Home Department એ મંજૂરી આપી છે.
આ પણ વાંચો - Income Tax Inspector ની નોકરીની લાલચ આપી ઠગ ટોળકીએ ભારતની પ્રથમ સ્માર્ટ સ્કુલનાં શિક્ષિકા પાસેથી 9.20 લાખ ખંખેરી લીધા