IPS Battle : અનેક તપાસોમાં કલીનચીટ મળતા IPS મનીષસિંઘે સિનિયર IPS અભય ચુડાસમા સામે બાંયો ચઢાવી
IPS Battle : ગુજરાત પોલીસ વિભાગમાં નાના અધિકારીઓ વચ્ચે નાની લડાઈઓ ચાલતી આવે છે, પરંતુ આઈપીએસ અધિકારીઓની લડાઈ સપાટી પર અનેકવાર આવતી રહે છે. છેલ્લાં બે દસકામાં IPS Battle ના અનેક કિસ્સાઓ મીડિયામાં ચમકી ચૂક્યાં છે. હાલમાં આવી જ એક લડાઈ સામે આવી છે. જુનિયર આઈપીએસ મનીષસિંઘે (Manish Singh) બે દિવસમાં ગુજરાત પોલીસ એકેડમી કરાઈના એડી. ડીજીપી અભય ચુડાસમા (Abhay Chudasama) પાસેથી 7.92 લાખ રૂપિયાની વસૂલાત કરવાનો હુકમ કર્યો છે. રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનેલા મનીષસિંઘ કોણ છે અને તેમનો કરાઈ એકેડમી સાથે શું છે નાતો ? વાંચો આ અહેવાલમાં...
IPS Battle કેવી રીતે શરૂ થયું ?
વર્ષ 2013ની બેચના આઈપીએસ મનીષસિંઘ મહેસાણા એસપી (Mahesana SP) તરીકે ફરજ બજાવતા હતા ત્યારે કૉવિડ મહામારી દરમિયાન કડી પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ તરીકે કબજે લેવાયેલા વિદેશી દારૂની મોટાપાયે ચોરી થઈ હતી. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં પોલીસને કૉવિડ મહામારી દરમિયાન ભોજન પુરૂં પાડવાના 14.19 લાખ રૂપિયાના ખોટા બીલ મંજૂર કરવાના મામલે SP મનીષસિંઘ, DySP ભક્તિ ઠાકર અને બ્લીસ રિસૉર્ટના મનેજર વિજય પટેલ સામે ગુનો નોંધવા DGP ને રિપોર્ટ કરાયો હતો. મનીષસિંઘના વિવાદોને કારણે સરકારે મહેસાણા ખાતેથી રાતોરાત હટાવીને દાહોદ SRP ગ્રુપના કમાન્ડન્ટ તરીકે મુકી દીધા હતા. ગાંધીનગર રેન્જમાં નિયુક્ત થયેલા અભય ચુડાસમા પાસે મનીષસિંઘના કારનામાઓની ચાલતી તપાસ અને પ્રકરણ સામે આવતા તેમણે લાખો રૂપિયાના સરકારી નાણાની ઉચાપતનો કેસ નોંધવા રિપોર્ટ કર્યો હતો અને ત્યારથી જ અધિકારીઓ વચ્ચે IPS Battle ના બીજ રોપાયા હતા.
અભય ચુડાસમા પાસે લાખોની વસૂલાત કરવા મોટર ટ્રાન્સપોર્ટના SPએ પત્ર લખ્યો
IPS મનીષસિંઘે બે દિવસમાં લાખો રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવવા આદેશ કર્યો
અમદાવાદથી કરાઈ પોલીસ એકેડમી ખાતે આવવા/જવા માટે સરકારી ગાડીના ઉપયોગ પેટે વસૂલાત કાઢી
કરાઈ ખાતે રિઝર્વ રાખેલી બે બોલેરો કાર અન્ય સ્થળે… pic.twitter.com/DujTukfsLQ— Gujarat First (@GujaratFirst) August 18, 2025
SP એ Addl. DGP સામે રિકવરી કાઢી
ગુજરાત પોલીસ અકાદમી કરાઈ (Gujarat Police Academy Karai) ના આચાર્ય અભય ચુડાસમાએ 7.92 લાખ જેટલી રકમ બે દિવસમાં ભરી દેવા એસપી મોટર ટ્રાન્સપોર્ટે પત્ર લખ્યો છે. રાજ્ય પોલીસ વડા, કરાઈના આચાર્ય સહિત 5 અધિકારીઓને Manish Singh એ પત્ર મોકલી આપતા આઈપીએસ અધિકારીઓ વચ્ચેની લડાઈ સપાટી પર આવી ગઈ છે. અકાદમી ખાતે આવેલા સરકારી રહેઠાણમાં નહીં પરંતુ અમદાવાદ ખાતેના ખાનગી રહેઠાણમાં અભય ચુડાસમા રહેતા હોય અને કચેરી ખાતે આવવા-જવા સરકારી વાહનનો ઉપયોગ કરે છે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન આચાર્યએ અમદાવાદ-કરાઈ વચ્ચે અંદાજિત 3 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. જેથી પ્રતિ કિ.મી. રૂપિયા 11 લેખ સરકારમાં જમા કરાવી MT વિભાગને જાણ કરવા મનીષસિંઘે આદેશ કર્યો છે.
પોલીસ એકેડમી કરાઈ સાથે મનીષસિંઘનો જુનો નાતો
38 વર્ષીય મનીષસિંઘ ઉત્તરપ્રદેશના વતની છે અને તેમના પત્ની UP ખાતે આઈએએસ અધિકારી છે. વર્ષ 2013માં મનીષસિંઘને પ્રોબેશનલ તરીકે ખેડા જિલ્લાના આંતરસુંબા પોલીસ સ્ટેશનમાં મુકાયા હતા ત્યારે તેઓ સતત ત્રણેક મહિના ટેનિસ રમવા માટે સરકારી ગાડીમાં કરાઈ પોલીસ એકેડેમી ખાતે જતા હતા. રોજના 80 કિ.મી. જેટલો ગેરકાયદેસર પ્રવાસ કરનારા મનીષસિંઘ સામે આ મામલે તપાસ થતાં તેમની સામે ગુનો નોંધવા તત્કાલીન એસપી સચિન બાદશાહે (Sachin Badshah) ગાંધીનગર ખાતે રિપોર્ટ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, ડાકોર મંદિર ખાતેના બંદોબસ્ત દરમિયાન એક નાયબ મામલતદારને મનીષસિંઘે લાફો મારતા મામલો ગુનો નોંધવા સુધી પહોંચી ગયો હતો.
અનેક આરોપોમાં મનીષસિંઘને મળી કલીનચીટ
ગૃહ વિભાગે (Home Department Gujarat) ત્રણ વર્ષ અગાઉ મનીષસિંઘ સામે લાગેલા અનેક આરોપના તથ્ય તપાસવા બે નિવૃત્ત IPS અધિકારીઓને જવાબદારી સોંપી હતી. એસીબીના પૂર્વ ડાયરેક્ટર કેશવકુમાર (Keshav Kumar) સહિત બે અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ ગૃહ વિભાગને સોંપ્યો હતો. આ મામલે કેશવકુમારનો સંપર્ક કરવાનો Gujarat First એ પ્રયાસ કર્યો હતો, પરંતુ વાત થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યાનુસાર તમામ આરોપોમાં IPS Manish Singh ને કલીનચીટ મળી ગઈ છે. મનીષસિંઘ સામે નીચે મુજબના આરોપ લાગ્યા હતા.
- ડાંગ જિલ્લામાં એએસપી તરીકે મનીષસિંઘ ટીમ સાથે અન્ય રાજ્યોમાં તપાસના બહાને ગુજરાત છોડીને Delhi/UP ખાતે અનેક દિવસો સુધી ગેરકાયદેસર રોકાયા હતા.
- એટ્રોસિટીની ફરિયાદમાં પકડાયેલા આરોપીઓને જૂતાં ચટાડયા હોવાનો ગંભીર આરોપ તત્કાલીન મહેસાણા એસપી મનીષસિંઘ પર વર્ષ 2019માં લાગી ચૂક્યો છે.
- કડી પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલના વિદેશી દારૂની કથિત ચોરીના આરોપમાં તત્કાલીન મહેસાણા એસપી મનીષસિંઘ સામે આંગળી ચિંધાઈ હતી. કૉવિડ મહામારી દરમિયાન મહેસાણા જિલ્લામાં પોલીસને સેવાભાવી/ધાર્મિક સંસ્થાઓએ ભોજન આપ્યું હોવા છતાં લાખો રૂપિયાના ખોટા બીલો મુકવાનો આરોપ મનીષસિંઘ સામે હતો.
આ પણ વાંચો : Tiranga Yatra : તિરંગા યાત્રામાં સામેલ તમામ વિદ્યાર્થીઓને પાંચ માર્કસ આપવા ગુજરાત યુનિવર્સિટીનો આદેશ


