Chief Minister Bhupendra Patel દ્વારા સંવેદના સ્પર્શી નિર્ણય, જાણો કોને મળશે લાભ
- ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠકમાં નિર્ણય
- VCEને સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દીઠ 20 રૂપિયા ચુકવાશે
- ગ્રામ્યમાં કમિશન બેઝ પર કામ કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો અભિગમ
Chief Minister Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ. તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, વી.સી.ઈ.ને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યુનતમ રૂપિયા 20 ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે
ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારમાં મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામકક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે. ૭/૧ર, ૮-અ અને હકકપત્રની નકલ, ખેડુત રજીસ્ટ્રેશન, વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી, જન્મ-મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવાના ફોર્મ ભરવા જેવી સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામજનોને ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) દ્વારા આપવામાં આવે છે.
વિવિધ યોજનાઓની ડેટાએન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે
આ ઉપરાંત, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) ને વિવિધ યોજનાઓની ડેટાએન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં યુનિટદીઠ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.) ને કમિશન પેટે ચુકવવાની થતી રકમ સબંધિત વિભાગ દ્વારા નિયત કરવામાં આવે છે. આના કારણે જુદીજુદી કામગીરી અને જુદાજુદા વિભાગો દ્રારા નિયત કરવામાં આવતી મહેનતાણાની રકમ અલગ અલગ ધોરણે કરવામાં આવતી હોવાથી મહેનતાણામાં સમાનતા જળવાતી નથી.
વી.સી.ઇ.ને યુનિટ દિઠ ન્યુનતમ રૂ. 20નું મહેનતાણું આપવાનું રહેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આ વિષય આવતાં તેમણે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલી 12મી ગવર્નિંગ બોડીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી વી.સી.ઈ.ના મહેનતાણામાં સમાનતા માટે તત્કાલ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીના આ દિશા નિર્દેશોને પગલે પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે કે હવે કોઈપણ કામગીરી માટે વી.સી.ઇ.ને યુનિટ દિઠ ન્યુનતમ રૂ. 20નું મહેનતાણું આપવાનું રહેશે. એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ વી.સી.ઈ.ને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ પણ કરવાની રહેશે.
આ પણ વાંચો: Porbandar: ગોડાઉનમાં ફાયર સેફ્ટીના બાટલામાં થયો બ્લાસ્ટ, એકનું મોત


