Gujarat : ફેક્ટરી માલિક, કૉન્ટ્રાક્ટરો અને બિલ્ડરો માટે આ જાણકારી મહત્વની, અસ્થાયી કામદારોની નોંધણી નહીં કરાવો તો...
Gujarat : અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે (G S Malik Ahmedabad CP) તાજેતરમાં એક ખાસ નિર્દેશ જારી કર્યો છે. જેમાં અમદાવાદ પોલીસ કમિશનરના તાબાના વિસ્તારમાં આવતા તમામ ઔદ્યોગિક અને ખાનગી એકમોએ સ્થળાંતરિત કામદારો/અસ્થાયી કામદારોની વિગતોની નોંધણી ફરજિયાત બનાવી છે. ગુજરાત પોલીસના સિટિઝન પોર્ટલ (Citizen Portal Gujarat) પર અસ્થાયી કામદારોની નોંધણી રાજ્યભરમાં ફરજિયાત છે. સ્થળાંતરિત કામદારને નોકરી પર રાખવામાં આવે તેના 7 દિવસની અંદર તેની માહિતી આપવી જરૂરી છે.
Gujarat ના શહેરો અને જિલ્લામાં પણ જાહેરનામું અમલી છે
રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં આવેલા ઔદ્યોગિક અને ખાનગી એકમોમાં ઉપરોક્ત જાહેરનામું અમલી છે. Gujarat માં આવેલાં તમામ પોલીસ કમિશનરેટ (Commissionerate of Police) માં કમિશનર અને જિલ્લાઓ સ્થાનિક કલેક્ટર સમયાંતરે જાહેરનામા અમલી કરે છે. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ ૧૬૩ છે, જે શાંતિ અને સુરક્ષા જાળવવા માટે લાગુ કરવામાં આવે છે. રાજ્યમાં શાંતિ અને સલામતી માટે જરૂરી હોય તેવા મામલાઓમાં જેમને અધિકાર અપાયો છે તેવા ઉચ્ચ અધિકારીઓ વિશેષ નિર્દેશ જારી કરી શકે છે.
Gujarat Police ને જાહેરનામાથી શું ફાયદો ?
ભૂતકાળ તેમજ વર્તમાનમાં હત્યા, લૂંટ અને અપહરણ જેવા ગંભીર ગુનાઓના અનેક કિસ્સાઓમાં અસ્થાયી કામદારોની સંડોવણી સામે આવી ચૂકી છે. પોલીસ તપાસમાં સ્થળાંતરિત/અસ્થાયી કામદારની ભૂમિકા સામે આવે ત્યારે તેની જરૂરી માહિતીનો અભાવ હોવાથી ગુનાનો ભેદ ઉકેલવો પડકારજનક બને છે. માલિકે નોકરી પર રાખેલા મજૂર, ડ્રાઇવર, રસોઈયો, ચોકીદાર કે માળીની માહિતી મેળવેલી હોય તો આવા તત્વો ગુનો કરતા ડરશે અથવા તો ક્રાઈમ કર્યા બાદ આરોપીને ઓળખવા/પકડવા માટે પોલીસને આસાની રહેશે.
Citizen Portal Gujarat પર શું નોંધ કરાવવાની છે ?
તમામ ઔદ્યોગિક એકમો, બાંધકામ બિલ્ડરો, કાપડ અને હીરા ઉદ્યોગ સંચાલકો તેમજ ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ તેમના સ્થળાંતરિત કર્મચારીઓની સંપૂર્ણ વિગતો સિટીઝન પોર્ટલ વેબસાઇટ પર ઑનલાઈન નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લિકેશન (Citizen First Gujarat Police) પર નોંધણી કરાવી શકાય છે. નોંધણી માટે જરૂરી માહિતીમાં યુનિટનું નામ, સરનામું અને ફોન નંબર, કર્મચારીનું પૂરું નામ, વર્તમાન અને કાયમી સરનામું, નિમણૂકની તારીખ અને કર્મચારીની ભલામણ કરનાર વ્યક્તિની વિગતો. આ ઉપરાંત અસ્થાયી કામદારના ઓળખ પુરાવા તરીકે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અને ફોટોગ્રાફ આપવો જરૂરી છે. અત્રે નોંધનીય છે કે, આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 223 હેઠળ સજાને પાત્ર રહેશે.
આ પણ વાંચો: Punjab પૂર પ્રભાવિત લોકોની સહાય, 700 ટનથી વધુ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ભરેલી ટ્રેનને CMએ લીલીઝંડી આપી


