Tana-Riri Mahotsav : તાના-રીરીની કલા,સમર્પણ અને ત્યાગને અંજલિ
Tana-Riri Mahotsav 2025
- 22 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ **
- બે દિવસના કાર્યક્રમમાં સાંજે સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે
Tana-Riri Mahotsav : મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના હસ્તે 22 નવેમ્બરે કરવામાં આવશે. આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવશે. 22 અને 23 નવેમ્બર સુધીના બે દિવસીય કાર્યક્રમમાં સાંજના સમયે શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકસંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના બીજા દિવસે ગુજરાત સરકારના વન, પર્યાવરણ અને માર્ગ પરિવહન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
Tana-Riri Mahotsav : વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને અંજલિ
ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરી - આ બે નામ ગુજરાત સંગીતના ઇતિહાસમાં અમર છે. સંગીત પ્રત્યેના તેમના અદ્વિતીય સમર્પણ અને ત્યાગને કારણે તેઓ સંગીતની કલાધારિણી બહેનો તરીકે પૂજાય છે. તેમની આ સંગીત સમ્રાજ્ઞીઓની યાદમાં, દર વર્ષે વડનગરના તેમના સમાધિ સ્થળ ખાતે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
Tana-Riri Mahotsav-મહોત્સવનો પ્રારંભ અને સન્માન
વડનગરની આ ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)દ્વારા આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત, સંગીત ક્ષેત્રે યોગદાન આપનાર કલાકારોને સન્માનવા માટે વર્ષ 2010માં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડની પણ શરૂઆત કરવામાં આવી હતી.
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સંગીત નાટક અકાદમી દ્વારા દર વર્ષે આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
સંગીતની ભવ્ય પ્રસ્તુતિઓ: બે દિવસીય કાર્યક્રમ
આ બે દિવસીય સંગીત સમારોહમાં દેશભરના પ્રખ્યાત કલાકારો દ્વારા શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકસંગીતની રસપ્રદ પ્રસ્તુતિ કરવામાં આવશે:
પ્રથમ દિવસ (સાંજે 6.30 વાગ્યે)
- શાસ્ત્રીય ગાયન: સુશ્રી કલાપિની કોમકલી
શાસ્ત્રીય વાદન: શ્રી નિલાદ્રી કુમાર
લોકસંગીત: સુશ્રી ઇશાની દવે
બીજો દિવસ
- શાસ્ત્રીય ગાયન: ડૉ. સુભદ્રા દેસાઇ
શાસ્ત્રીય વાદન: શ્રી નિનદ અધિકારી અને તેમની ટીમ
લોકસંગીત: શ્રી પાર્થ ઓઝા અને તેમની ટીમ
તાના-રીરીનો અમર ત્યાગ
તાના અને રીરીએ સંગીતની શક્તિનું એક અવિસ્મરણીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્યારે સંગીત સમ્રાટ તાનસેને દીપક રાગ છેડ્યો, ત્યારે તેમના શરીરમાં તીવ્ર દાહ ઉત્પન્ન થઈ હતી. આ દાહને શાંત કરવા માટે, માત્ર તાના અને રીરી જ મલ્હાર રાગ ગાવા સક્ષમ હતા. તેમણે સફળતાપૂર્વક રાગ ગાઈને તાનસેનને રાહત આપી. જોકે, પોતાની કલાના સન્માન અને ત્યાગ ખાતર, આ સંગીત કલાધારિણી બહેનોએ આત્મબલિદાન આપ્યું હતું, જે તેમને સંગીત જગતમાં અમર બનાવે છે.
આ મહોત્સવ માત્ર એક સંગીત સમારોહ નથી, પરંતુ સંગીતના ઇતિહાસમાં અમર થયેલી તાના-રીરીની કલા, સમર્પણ અને ત્યાગને આપેલી એક ગૌરવશાળી અંજલિ છે.
આ પણ વાંચો : Tana-Riri Mahotsav : મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.


