VADODARA : વરસાદ બાદ મોડી રાત સુધી લોકો લાઇટની વાટ જોતા રહ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં ગતસાંજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જે બાદ લોકોને ગરમી અને અકળામણવાળા માહોલમાંથી મુક્તિ મળી હતી. તો બીજી તરફ કેટલીક જગ્યાઓએ વરસાદ બાદથી ગુલ થયેલી વિજળી દુરસ્ત થવામાં ઘણી વાર લાગી હતી. બરહાનપુરામાં સ્થાનિકોએ વિજ કંપનીમાં ફોન કર્યો તો, 15 મીનીટમાં લાઇટ આવશે તેવો જવાબ મળતો હતો. આમ કરતા હકીકતે તો મધરાત સુધીનો સમય વિતી જવા પામ્યો હતો. તેવામાં લાઇટની વાટ જોતા જોતા કેટલાય ઘરોમાં ચુલ્હા પણ સળગ્યા ન્હતા, તેવું જાણવા મળી રહ્યું છે.
વધુ કમર કસવી પડશે
વડોદરામાં ગતસાંજે વરસેલા વરસાદે લોકોને ગરમીથી રાહત તો અપાવી જ છે, તેની સાથે પાલિકા અને વિજ કંપની દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંગે કરવામાં આવેલા દાવાઓને પણ પોકળ સાબિત કર્યા છે. પાલિકા અને વિજ કંપની બંનેએ વરસાદ સમયે લોકોની સુવિધા સાચવવા માટે હજી વધુ કમર કસવી પડશે. આ વચ્ચે ગતસાંજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદથી શહેરના અનેક વિસ્તારોમાં લાઇટ ગુલ થઇ હતી. અને મોડી રાત્રે પરત પણ આવી હતી. પરંતુ આ સિલસિલો બરહાનપુરા વિસ્તારના લોકો માટે લાંબો ચાલ્યો હતો.
મધરાત સુધીનો સમય વિતી ગયો
સુત્રોના જણાવ્યા અનુસાર, બરહાનપુરા વિસ્તારમાં અનેક જગ્યાઓએ વિજળી ગુલ થઇ હતી. જે અંગે સ્થાનિક વિજ કંપનીની કચેરીએ પુછતા તેમણે 15 મીનીટમાં લાઇટ આવી જશે, તેવા જવાબો આપ્યા હતા. જેના ભરોસે સ્થાનિકો દ્વારા બેસી રહેતા મધરાત સુધીનો સમય વિતી ગયો હતો. પરંતુ લાઇટ આવી ન્હતી. કેટલાક ઘરોમાં ચુલ્હા પણ સળગ્યા ન્હતા. આખરે વિજ કચેરીએ જઇને સ્થિતી જાણવાનો પ્રયત્ન કરતા કર્મચારીઓ પણ લાઇટ આવવાના સાચા સમયથી અવગત ન હોવાનું સામે આવ્યું હતું. જો કે, મોડે મોડે વિજ પુરવઠો દુરસ્ત થયો હતો.
આ પણ વાંચો -- VADODARA : શહેરમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી, 1 નું મોત


