ઇડરના ગોલવાડામાં ઢોર ચરાવતા પશુ માલિકની હત્યા કરનાર એક પરિવારના 6ને આજીવન કેદ
- ઇડરના ગોલવાડામાં ઢોર ચરાવતા પશુ માલિકની હત્યા કરનાર એક પરિવારના 6ને આજીવન કેદ
- 15 વર્ષ અગાઉ કુહાડી અને લાકડીથી હુમલો કરી મોત નિપજાવ્યું હતું
ઇડર તાલુકાના ગોલવાડા ગામની સીમમાં ૧૫ વર્ષ અગાઉ એક માલધારી પોતાના પશુઓ ચરાવતો હતો. ત્યારે ગામના એક જ પરિવારના ૬ જણાએ લાકડી અને કુહાડીથી માથામાં ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. જે અંગેની ફરિયાદ તત્કાલિન સમયે ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે ગુનાની તપાસ કરી ચાર્જશીટ ઇડર કોર્ટમાં રજૂ કરી હતી. જે અંગેનો કેસ ગુરૂવારે ચાલી જતાં ઇડરના એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટના ન્યાયાધીશે ૬ જણાને આજીવન કેદની સજા તથા રૂપિયા ૨૫ હજારનો દંડ અને મૃતકના પરિવારને રૂપિયા ૧ લાખ વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.
આ અંગે ઇડરના સરકારી વકીલના જણાવ્યા મુજબ ગત તા.૧૭-૧૦-૨૦૧૦ના સવારના સુમારે ગોલવાડા ગામના કલાબેન અને વિરમભાઇ માવજીભાઇ રબારી સાથે થયેલા ઝઘડાની અદાવત રાખીને ગોલવાડા ગામના ૬ જણાએ એકસંપ થઇ આવી વિરમભાઇ રબારી ઢોર ચરાવતા હતા. ત્યારે એકલતાનો લાભ લઇ આ ૬ જણાએ ચોરીછુપીથી આવી વિરમભાઇ રબારી ઉપર લાકડી તથા કુહાડીથી માથામાં હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેમનું મોત નિપજયું હતુ. ત્યારબાદ મૃતકના પરિવારજનોએ તત્કાલિન સમયે ગોલવાડાના એકજ પરિવારના ૬ જણા વિરૂધ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ઇડર પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ કર્યા બાદ તેની ચાર્જશીટ ઇડર કોર્ટમાં રજૂ કરી હતી.
ત્યારબાદ ગુરૂવારે આ કેસ ઇડરની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ એમ.વાય. રાધનપુરવાલાએ સરકારી વકીલની દલીલો અને દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખી હુમલો કરનાર એક જ પરિવારના ૬ જણાને ખુનના ગુનામાં કસુરવાર ઠરાવી આજીવન કેદ એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યો હતો તથા ૬ જણાને રૂપિયા ૨૫ હજારનો દંડ ફટકાર્યો, ઉપરાંત મૃતક વિરમભાઇના પરિવારને રૂપિયા ૧ લાખ વળતર પેટે ચૂકવી આપવા ચુકાદામાં ન્યાયાધીશે નોંધ્યુ છે.
કોને આજીવન કેદ થઇ (તમામ રહે. ગોલવાડા, તા.ઇડર)
- હેમરાજભાઇ માલાભાઇ રબારી
- અમૃતભાઇ સોમાભાઇ રબારી
- રાજુભાઇ સોમાભાઇ રબારી
- દિનેશભાઇ હેમરાજ રબારી
- ભરત હેમરાજ રબારી
- જયરામ હેમરાજ રબારી
આ પણ વાંચો-હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની આક્રમકતા સામે સત્તાધારી પક્ષ નત:મસ્તક


