Bhavnagar: પુરપાટ ઝડપે આવતી કારે મહિલાને મારી ટક્કર, 15 કલાક બાદ પણ ડ્રાઈવર પોલીસ પકડથી દૂર
- ભાવનગર (Bhavnagar) શહેરમાં ફરી એક વખત બેદરકાર રફ્તારે જીવ લીધો
- વાઘાવાડી રોડ પર પુરપાટ ઝડપે દોડી રહેલી થાર કારના ચાલકે પાછળથી ટક્કર મારી
- અકસ્માતમાં 38 વર્ષીય સોનલબેન ગોસ્વામીનું દુઃખદ અવસાન થયું
- મૃતક મહિલા સ્વામિનારાયણ મંદિરે પગપાળા દર્શન કરવા જઈ રહ્યા હતા
- ઘટનાનો સ્પષ્ટ CCTV વીડિયો સામે આવ્યો
- સોનલબેનના પરિવારજનો દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
ભાવનગર (Bhavnagar) શહેરમાં ફરી એક વખત રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. જેમાં વાઘાવાડી રોડ પર પુરપાટ ઝડપે દોડી રહેલી થાર કારના ચાલકે પાછળથી ટક્કર મારી ભયંકર અકસ્માત સર્જ્યો હતો, જેમાં 38 વર્ષીય સોનલબેન ગોસ્વામીનું દુઃખદ અવસાન થયું હતું.
Bhavnagar માં બેદરકાર ડ્રાઇવિંગનો ભોગ બની 38 વર્ષીય મહિલા
મળતી માહિતી મુજબ મૃતક મહિલા સ્વામિનારાયણ મંદિરે પગપાળા દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ત્યારે અકસ્માત બાદ તે જ થાર ચાલકે વધુ એક ચાલકને પણ ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો છે. જેમાં કાર ચાલકની પુરપાટ ઝડપ સ્પષ્ટ જોઈ શકાય છે. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં થાર કારનો નંબર GJ 14 BG 58 હોવાનું સામે આવ્યું છે કાર ચાલક અકસ્માત બાદ થાર લઈને સ્થળ પરથી ભાગી ચૂક્યો છે.
પોલીસની કામગીરી પર સવાલ
સોનલબેનના પરિવારજનો દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પરંતુ 15 કલાક વીતી ગયા છતાં, નિલમબાગ પોલીસ હજી સુધી થાર ગાડી કે તેના ચાલક સુધી પહોંચી શકી નથી જેથી આ મામલે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. લોકોની માંગ છે કે આરોપીને તાત્કાલિક ઝડપીને કડક સજા કરવામાં આવે, જેથી રસ્તા પરની આવી બેદરકારીને અંકુશ આવે.
આ પણ વાંચો: Mehsana જિલ્લામાં 341 કિશોરીઓ બની ગર્ભવતી!


