Chhotaudepur: અનાજ સંગ્રહ સ્ટોરેજ એટલે ‘મોહટી’, જાણો આદિવાસીઓની આ ઉત્તમ કળા વિશે
- ‘મોહટી’ને વાંસના ફાડચા કરીને કાંમળા તૈયાર કરાય છે
- એક મોહટી તૈયાર કરવામાં 3 થી 4 દિવસનો સમય લાગે છે
- નાની કાંમળી ઘડીને હાથવણાટથી મોહટી તૈયાર કરવામાં આવે છે
Chhotaudepur : ‘મોહટી’ એ આદિવાસીઓ માટે વર્ષની જરૂરિયાત પ્રમાણેનો અનાજ સંગ્રહ સ્ટોરેજ કહી શકાય. ગુજરાતના પૂર્વપટ્ટી વિસ્તારના આદિવાસીઓ લાંબા સમય સુધી સારી અવસ્થામાં અનાજ સંગ્રહ કરી રાખવા માટે વાંસમાંથી બનાવવામાં આવતી મોહટી (Mohati) અને હાટો(સાટો) તથા સારલી અને ટોપલાનો ઉપયોગ કરતા હોય છે.
ગુજરાત રાજ્યના આદિવાસી જિલ્લાઓ પૈકીના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તેમજ મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર ના પૂર્વપટ્ટીના આદિવાસી લોકો મોટેભાગે ખેતી કરી ને પોતાનુ ગુજરાન ચલાવે છે ,અહીં ના લોકો ખેતીની ઊપજ ધાન્ય પાકો જેવા કે મકાઈ, તુવેર, જુવાર,ડાંગર,અડદ,બાજરી,બટી,શામેલ,રાળો,ભેદી,કોદરા જેવી ધાન્ય પેદાશો ને લાંબા સમય સુધી સારી અવસ્થામાં સંઘરી રાખવા માટે મોહટીનો ઉપયોગ કરતા હોય છે.
મોહટી તૈયાર કરવામાં 3 થી 4 દિવસનો સમય લાગે છે
મોહટી વાંસમાંથી બનાવવામાં આવે છે, જે વાંસના ફાડચા કરીને કાંમળા તૈયાર કરવામાં આવે છે, ઉપયોગમાં લેવાતા વાંસના કામળા ને ગાય-બળદ કે ભેંસ ના મુત્ર માં કેટલાક સમય સુધી પલાળી રાખવા માં આવે છે. જેથી કરીને અનાજ સંગ્રહ માટે બનાવવામાં આવતી મોહટી લાંબા સમય સુધી સારી અવસ્થામાં રહે છે. ત્યારબાદ કામળામાંથી જરૂરિયાત પ્રમાણેની નાની કાંમળી ઘડીને હાથવણાટથી મોહટી તૈયાર કરવામાં આવે છે, એક મોહટી તૈયાર કરવામાં આશરે ત્રણથી ચાર દિવસનો સમય લાગી જતો હોય છે.
એકબાજુનો ડાંટો ખોલીને જરુરીયાત પ્રમાણે અનાજ નીકળી શકાતું
મોહટી તૈયાર કર્યા બાદ તેમાં અનાજ ભરતાં પહેલાં માટી અને છાણ નો ગારો બનાવી ને અંદર ના ભાગે લિપણ કરી લેવામાં આવે છે, જ્યારે તેમા જે તે અનાજ ભરવામાં આવે ત્યારે અનાજની સાથે ચૂલ્હાની સફેદ રાખ અને કડવા લીમડાના ડોરાં ભેળવીને ભરવામાં આવે છે. જેથી અનાજમા કોઈ પણ પ્રકારની જીવાતો નહીં પડે અને અનાજ લાંબા સમય સુધી સારી અવસ્થામાં સુરક્ષિત રીતે રહી શકે, ત્યારબાદ મોહટીનો મુખના ભાગને માટી-છાણ અને સાથે ડાંગર ના પરાળનો ઉપયોગ કરી ને લિપણ કરીને ડાંટો દઇ દેવાતો હોય છે, જ્યારે જરૂર પડે ત્યારે એક બાજુ નો ડાંટો ખોલીને જરુરીયાત પ્રમાણે અનાજ કાઢી શકાય.
આ વાંચો: Ahmedabad: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા મુદ્દે અમદાવાદમાં વિરોધ, ખોખરા સર્કલ ખાતે પ્રદર્શન
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજનાં વાલસિંગભાઈ રાઠવા જણાવે છે કે, આ વિસ્તારના મોટી ઉંમરના વડીલો ઓ પાસેથી મળતી માહિતી મુજબ પહેલાના સમયમાં જ્યારે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતી ત્યારે અગમચેતી રુપે મોહટીમાં ખાસ કરીને ડાંગર,ભેદી, બટી, શામેલ, રાળો અને કોદરા જેવા ધાન્ય પાકોને 40-50 વર્ષ સુધી પણ સારી અવસ્થામાં રાખી દુષ્કાળ જેવી સ્થિતિમાં પણ સુયોગ્ય વિકલ્પ થકી જીવન ટકાવી રાખવાનો આ ક્ષેત્રના આદિવાસીઓની આગવી સૂઝ અને અભિગમ રહ્યો છે.
આદિવાસીઓની આગવી સૂઝ અને અભિગમ
પહેલાના સમયે જ્યારે કોઈ બહારથી અજાણી વ્યક્તિ કે મહેમાનો આવે ત્યારે ઘરમાં કેટલી મોહટીઓ છે, અને કેટલી મોટી મોહટીઓ છે, તે જોઈને ઘરની આર્થિક સધ્ધરતા આંકી લેવાતી! આમ મોહટીએ આદિવાસીઓ માટે આર્થિક સધ્ધરતાનું પણ પ્રતિક બની રહે છે. તેમજ મોહટીએ આ વિસ્તારના આદિવાસી લોકો માટે અનાજને સાચવી રાખવા માટે એક લાંબા ગાળાના અને બિનખર્ચાળ કોલ્ડ સ્ટોરેજની ગરજ સારે છે. મોહટી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું એક આજીવિકાનું સાધન બની રહે છે.
આ વાંચો: Kutch: સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના Prix Versailles 2024 માં વૈશ્વિક સ્તરે માન્યતા
2000 કીલો જેટલું અનાજ સંગ્રહ કરી શકાતું છે
મોહટીની ખરીદી અને વેચાણ ખાસ કરીને દશેરા બાદ વધુ જોવા મળે છે. કારણ કે, દશેરા બાદ જ આ વિસ્તારના લોકો મકાઇ, અડધ, તુવર, જુવાર, બટી, રાળો, સામેલ, ભેદી, કોદરા અને ડાંગર જેવા ધાન્ય પાકોની તબક્કા વાર લણણી કરતા હોય છે. ખાસ કરીને છોટાઉદેપુર, ઝોઝ, રંગપુર (સ) તથા કવાંટના અઠવાડીક હાટમાં મોટી સંખ્યામાં લોકો મોહટીની લે-વેચ માટે આવતા હોય છે, એક મોહટીની કિંમત રૂપિયા 400/- થી લઇને રુપિયા 3000/- સુધી હોય છે, મોહટીની અંદર અંદાજે 100 કીલોથી લઇને 2000 કીલો જેટલું અનાજ સંગ્રહ કરી શકાતું હોય છે. આદિવાસીઓ દેવદિવાળી એ મોહટી પર દીવડા મુકીને ભારે આસ્થા સાથે અન્નદેવી કણી કણહેરીનું પૂજન કરતા હોયછે, અને પૂજન પાછળ ની માન્યતા એવી છે, જે મોહટી માંથી દાણા ખૂટે નહીં, ભર્યા ભંડાર રહે છે. આમ આદિવાસી લોકો અનાજ સડી ન જાય અને લાંબા સમય સુધી સારી અવસ્થામાં ટકી રહે તે માટેની વૈજ્ઞાનિક પદ્ધતિથી સાચવણીની અનોખી કોઠાસૂઝ ધરાવે છે જે સદીઓથી ઉપયોગ માં લે છે.
અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર
આ વાંચો: ગુજરાત સરકારે જાહેર કરેલા જંત્રીના દરનો વિરોધનો શૂર ઉઠ્યો, જાણો GIHED એ શું કહ્યું...


