Gandhinagar : સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામત કામોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સઘન સમીક્ષા કરી
- નાગરિકોની સમસ્યાનાં નિવારણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સતત ખડેપગે
- સી.એમ. ડેશબોર્ડની વીડિયો વોલ મારફતે માર્ગો-પુલોના મરામત કામોની સઘન સમીક્ષા કરી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને આકરા શબ્દોમાં કડક સૂચના આપી
- ખરાબ રસ્તા-પુલ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- જનતા સંપૂર્ણ જાગૃત છે એટલું સમજી લેજો, તેમની રજૂઆતોનું ત્વરિત નિવારણ લાવો : CM
- મરામત કામની સાઈટનું વિઝિટ કરીને સમીક્ષા કરવા મુખ્યમંત્રીનાં આદેશ
- જન્મદિવસે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેશબૉર્ડનાં માધ્યમથી સતત બેઠક કરી
Gandhinagar : રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમ જ ગામો, નગરો-મહાનગરોનાં રસ્તાને થયેલા નુકસાન બાદ તેમના દુરસ્તી કાર્ય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ખડેપગે છે. CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યભરમાં માર્ગો-પુલોનાં મરામતનું કામ 24X7 યુદ્ધનાં ધોરણે શરૂ કરાવ્યું છે. મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોનાં મરામતોનાં કામોની સમીક્ષા સી.એમ. ડેશબોર્ડની વીડિયો વોલ મારફતે હાથ ધરી હતી અને અધિકારીઓને આકરા શબ્દોમાં કડક સૂચના પણ આપી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે. ભવ્ય ઉજવણી કરવાને બદલે મુખ્યમંત્રીએ નાગરિકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ડેશબૉર્ડનાં માધ્યમથી સતત બેઠકો યોજી હતી.
અધિકારીઓને આકરા શબ્દોમાં મુખ્યમંત્રીની કડક સૂચના
રાજ્યના મુખ્ય માર્ગો, રસ્તા, પુલોને ચોમાસા દરમિયાન થયેલા નુકસાન બાદ નાગરિકોને પડતી હાલાકીને દૂર કરવા માટે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ખડેપગે છે. તેમણે સી.એમ. ડેશબોર્ડની વીડિયો વોલ મારફતે રાજ્યભરનાં માર્ગો-પુલોનાં મરામત કામોની સઘન સમીક્ષા કરી. સાથે જ અધિકારીઓને આકરા શબ્દોમાં મુખ્યમંત્રીએ કડક સૂચના પણ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં માર્ગો-પુલો, નાળા, કોઝ-વે વગેરેની પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનાં (Pre-monsoon Activity) ભાગરૂપે જે ચકાસણી કરવામાં આવી હતી તે સંદર્ભની મરામત સૂચનાઓનું પાલન થવામાં કોઈ ક્ષતિ કે કચાશ ન રહે તે સુનિશ્ચિત કરીએ.
નાગરિકોની રજૂઆતોનું તરત જ નિવારણ લાવવા અધિકારીઓને તાકીદ
મુખ્યમંત્રીએ રોડ રસ્તાની દુરસ્તી કામગીરી અંગે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને ત્વરાએ માર્ગો પૂર્વવત વાહનવ્યવહાર યોગ્ય થાય એટલું જ નહિં, નાગરિકોની રજૂઆતોનું તરત જ નિવારણ આવે અને માર્ગ મરામત અગ્રતાએ હાથ ધરાય તે માટે અધિકારીઓને કડક શબ્દોમાં સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આ બેઠકમાં ઈજનેરો, અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે, નાની-નાની વસ્તુની પણ કોઈ ફરિયાદ ન આવે. તેમ જ જાહેર જનતાને કોઈ તકલીફ ન પડે તેવા ધ્યેય સાથે મરામત કામોને અગ્રતા અપાય તે આવશ્યક છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું કે, જનતા સંપૂર્ણ જાગૃત છે એટલું સમજી લેજો. નાગરિકોની રજૂઆતોનું ત્વરિત નિવારણ લાવો.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, માર્ગ-મકાન વિભાગના 24X7 કંટ્રોલરૂમ, ગુજમાર્ગ એપ્લિકેશન તથા જે મહાનગરપાલિકાઓની મોબાઇલ એપ છે તે એપ, વોટ્સએપ, વેબસાઈટ અને હેલ્પલાઇન નંબર, સિટી સિવિક સેન્ટર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર આવતા નાગરિકોની બધી જ રજૂઆતોનું ઝડપથી સંતોષકારક દુરસ્તી કામ હાથ ધરાય તે માટે સંબંધિત અધિકારીઓ મોનિટરિંગ કરે. નાગરિકોની ફરિયાદના ત્વરિત નિવારણ માટે શહેરી ક્ષેત્રોમાં જે મિકેનિઝમ કાર્યરત છે તે અન્વયે મહાનગરોમાં નાગરિકોની મળેલી 15,424 ફરિયાદોમાંથી 12,023 નો પોઝિટિવ નિકાલ થઈ ગયો છે તેની વિગતો શહેરી વિકાસ અગ્ર સચિવ એમ. થેન્નારસને (M. Thennarasan) આપી હતી.
‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા 10,767 થી વધીને 28,449 થઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇ-નગર પોર્ટલ (e-Nagar portal) પર આવતી રજૂઆતોનાં સંદર્ભમાં નિયમિત ફોલોઅપ અને ફિલ્ડ ચેક માટે નિષ્ણાંત એજન્સીની મદદથી નિવારણ લાવવા પણ સૂચનો કર્યા હતા. માર્ગ-મકાન વિભાગે કાર્યરત કરેલી ‘ગુજમાર્ગ’ (Gujmarg) એપ્લિકેશન પર મળેલી 3,632 ફરિયાદોમાંથી 99.66 ટકાનું નિવારણ લાવી દેવાયું છે. આ વિગતો માર્ગ મકાન સચિવ પટેલિયાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળના પ્રયત્નો અને બહોળી પ્રસિધ્ધી તેમ જ નાગરીકોનાં હકારાત્મક પ્રતિસાદનાં કારણે છેલ્લા 3 દિવસમાં ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા 10,767 થી વધીને 28,449 થઈ છે. આમ, નવા 17,682 નાગરિકો (164 % નો વધારો) દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. રાજય સરકાર આ એપ્લિકેશનનો લોકો લાભ લઈ શકે તે માટે સતત પ્રચાર અને પ્રસાર કરી રહી છે.
મરામત કામની સાઈટ વિઝિટ કરી સમીક્ષા કરવા આદેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે મરામત કામો હાથ ધરાય તેનું સતત મોનિટરિંગ અધિકારીઓ, સંબંધિત મહાનગરો તથા જિલ્લા તંત્રવાહકો દ્વારા ફિલ્ડ વિઝીટ કરીને થાય તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. માર્ગ-મકાન વિભાગે જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને જે પુલ વાહનવ્યવહાર માટે બંધ કર્યા છે, તેના સ્ટ્રક્ચર્સની પૂરતી ચકાસણી થાય અને મરામત કામમાં ક્વોલિટી જળવાય તેની ખાતરી કરવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ઉપરાંત, રાજ્ય સરકારે તમામ પુલોની ત્વરિત સમીક્ષા કરીને યોગ્ય મરામત માટે તત્કાલ કામગીરીના આદેશો આપ્યા છે તેનું પણ અવશ્ય પાલન થાય તેની ખાતરી કરવા તેમણે સૂચનાઓ આપી હતી. આવા પુલો પરનાં વાહનવ્યવહારને જો ડાયવર્ટ કરવામાં આવ્યા હોય તો વૈકલ્પિક રૂટ પણ સેઈફ એન્ડ સિક્યોર હોય અને વાહનોની અવર-જવરને કારણે ટ્રાફિક જામ ન થાય તે માટેની વ્યવસ્થાઓ ચકાસી લેવા CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સૂચન કર્યું હતું.
આ પણ વાંચો - NHAI: મુસાફરોની સલામતી, સેવાઓની ગુણવત્તા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે તંત્ર પ્રતિબદ્ધ
નાગરિકોને કોઈ અગવડ ન પડે તે જ આપણો ધ્યેય : CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીએ સૌ અધિકારીઓને એવી પણ તાકીદ કરી હતી કે મરામત કામ સતત ચાલતું રહે અને નાગરિક જીવનમાં કોઈ અગવડ ન પડે તે જ આપણો ધ્યેય છે. આ હેતુસર વરસાદ ન હોય તેવા બધા જ દિવસોએ વધારાનો મેનપાવર કામે લગાડીને પણ માર્ગો-પુલો ઝડપથી પૂર્વવત અને મોટરેબલ બનાવવાના કાર્ય આયોજનને પ્રાયોરિટી આપવા તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ રિપેરિંગ કામો માટેનું પૂરતું મટિરિયલ કપચી, ડામર, મશીનરી અને વ્હાઈટ ટોપિંગ માટેની વ્યવસ્થાઓ દરેક જિલ્લા, નગરો-મહાનગરો રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગનાં (Roads and Buildings Department) સંકલનમાં રહીને યોગ્ય પદ્ધતિએ કરે તેવું માર્ગદર્શન પણ આપ્યું હતું. તેમણે ખાસ કરીને નેશનલ હાઇવેનાં જે પુલો-માર્ગો ક્ષતિગ્રસ્ત થવાથી આંતરરાજ્ય વાહન વ્યવહારને અસર પડી છે તેવા માર્ગો ઝડપથી મરામત કરીને પૂર્વવત કરવા એન.એચ.એ.આઇ. ના ફિલ્ડ ઓફિસરોને સૂચનાઓ આપી હતી.
ટોલ-ફ્રી નંબર 1033 24x7 સેવારત
એન.એચ.એ.આઈ.નાં અધિકારીઓએ જણાવ્યું કે, તેમના હસ્તકના જે 33.78 કિ.મી.નાં માર્ગોની મરામતનું કામ હાલ ચાલી રહ્યું છે તે 30 મી જુલાઈ સુધીમાં પૂરું કરી દેવાશે. તેમણે ભારત સરકારે નેશનલ હાઈવેને સ્પર્શતી રજૂઆતો અને સમસ્યાઓનાં ત્વરિત નિવારણ માટે નાગરિક-કેન્દ્રિત એપ્લિકેશન રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ ડિઝાઇન કરવામાં આવી છે તેની વિગતો આપતાં કહ્યું કે, જ્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રવાસ કરતા લોકો તાત્કાલિક સ્થિતિ, માર્ગમાં ખામી કે પછી અન્ય સેવા સંબંધિત સમસ્યા જણાય તો તરત જ સંપર્ક કરી શકે તે માટે 24x7 સેવારત ટોલ-ફ્રી નંબર 1033 પણ કાર્યરત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Gujarat Monsoon: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ અંગે આગાહી સામે આવી
17 મ.ન.પા. અંતર્ગત આવતા રોડ-રસ્તાનાં સમારકામની મોટાભાગની કામગીરી પૂર્ણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં માર્ગ-મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો, રિજિયોનલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો પેચ વર્ક અને પોટ હોલ્સ પુરવાની કામગીરી સહિતની મરામત કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ સ્થળ પર જઈને કરે છે તે સંદર્ભમાં પણ સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાતમાં (Gujarat) રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાનાં મળીને માર્ગોનું જે કુલ નેટવર્ક છે, તેમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર 47 ટકા પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત, અત્યાર સુધીમાં કુલ 63% થી વધુ પોટ હોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યની કુલ 17 મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડ-રસ્તાનાં સમારકામની મોટા ભાગની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.
વિવિધ વિભાગનાં અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા
મુખ્ય સચિવ પંકજ જોશી (Pankaj Joshi), મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ (M. K. Das), સલાહકાર એસ. એસ. રાઠૌર, શહેરી વિકાસ અગ્ર સચિવ એમ. થેન્નારસન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ (Avantika Singh) અને સચિવ ડૉ. વિક્રમ પાંડે (Dr. Vikram Pandey) તથા માર્ગ મકાન સચિવ પટેલિયા અને સંબંધિત અધિકારીઓ ગાંધીનગરથી તથા જિલ્લા વહીવટી તંત્ર, નગરો-મહાનગરોનાં સ્થાનિક સત્તા તંત્રનાં વાહકો વીડિયો કોન્ફરન્સથી આ સમીક્ષામાં જોડાયા હતા અને પોતાનાં વિસ્તારોની કામગીરીની વિગતો પૂરી પાડી હતી.