Rajkot ગોંડલમાં પતિ બન્યો હેવાન, પત્નીને છરીનાં ઘા ઝીંકી રહેંસી નાખી
- પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ
- ઉશ્કેરાયેલા પતિએ પત્નીને છરીનાં ઘા મારી દીધા
- હત્યારા દિનેશને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો
Rajkot Crime : ગોંડલમાં ઘરેલુ હિંસાને લઈને વધુ એક મામલો સામે આવ્યો છે. ગોંડલમાં સિવિલ હોસ્પિટલની સામે નદીનાં ખાડામાં માતાજીનાં માંડવાના પ્રસંગમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. સમાજમાં તે મારુ નાક કપાવ્યું હવે હું તારુ નાક કાપીશ તેવુ કહી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને છરીનાં ઘા મારી દીધા હતા. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં પત્નીને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. પરંતુ તેણીની હાલત વધુ ગંભીર હોય તેણીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી. જ્યાં તેણીનુ મોત નિપજ્યું છે. બનાવનાં પગલે એ'ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ આનંદ ડામોર ઘટના સ્થળે દોડી જઇ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા. નાશી છુટેલા હત્યારા દિનેશને ગણતરીની કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો છે. હાલ ઓરોપીની પુછપરછ ચાલી રહી છે. શંકાનાં કારણે પત્નીની હત્યા કર્યાનુ બહાર આવ્યુ છે.
તે મારુ નાક કપાવ્યું હવે હું તારુ નાક કાપીશ
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલનાં વોરાકોટડા રોડ પંચપીરની દરગાહ પાસે રહેતી મનિષાબેન દિનેશભાઈ ડાભી ઉ.24 ગત રાત્રે તેના પતિ દિનેશભાઈ ડાભી સાથે સિવિલ હોસ્પિટલની સામે નદીનાં ખાડામાં માતાજીનાં માંડવાનો પ્રસંગ હોય ત્યાં આવ્યા હતા. ત્યાં અન્ય પરિવારજનો પણ હાજર હતા. ત્યારે મનિષાબેન પંદર દિવસ પહેલા તેનાં કૌટુંબિક માસીયાઇ ભાઇને ત્યાં અમદાવાદ જતી રહી હોય તે વાત ઉખડતા બન્ને પતિ પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે ઉશ્કેરાયેલા દિનેશે છરી કાઢી પત્નીને કહ્યું, તારાં માસીયાઇ ભાઇ પાસે જઈ તે સમાજમાં મારુ નાક કપાવ્યુ છે. હવે હું તારું નાક કાપીશ. છરી જોઇને મનિષા ભાગવા લાગી દરમિયાન દિનેશે મનિષાની પીઠમાં છરીનાં ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
આ પણ વાંચો : Rajkot: ‘મારી પાછળ કોઈએ લોકો મોકલ્યા હતા’ મહાકુંભ યાત્રા વિવાદ અંગે નયનાબેન પેઢડિયાનો આરોપ
દિનેશ મનોમન ધુંધવાતો રહેતો હતો
સમગ્ર મામલો એમ છે કે, પંદર દિવસ પહેલા મનિષા અને દિનેશ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. તેથી મનિષા રિસાઈને સંતાનોને લઇને દુરના માસીયાઇ ભાઇના ઘરે અમદાવાદ જતી રહી હતી. બે ત્રણ દિવસ બાદ મનિષાએ દિનેશને ફોન કરી તેડી જવા કહ્યું હતું. તેથી દિનેશ મનિષાને ગોંડલ ઘરે તેડી લાવ્યો હતો. પણ પત્નિ સાથે થયેલા ઝઘડા બાદ મનિષા અમદાવાદ જતી રહી હોય તે બાબતે દિનેશ મનોમન ધુંધવાતો રહેતો હતો. માતાજીનાં માંડવાના પ્રસંગમાં આ વાત ફરી ઉખડતા ધુંધવાયેલા દિનેશે મગજ પરનો કાબુ ગુમાવી દીધો અને પત્નિને છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દઇ રહેંસી નાખી હતી.
મનિષાએ પાંચ વર્ષ પહેલા દિનેશ સાથે પ્રેમલગ્ન કર્યા હતા
મૃતક મનિષાનાં પરીવારજનોના જાણવ્યા અનુસાર, મનિષાએ ભંગારની ફેરી કરતા દિનેશ સાથે પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન જીવનથી તેમને એક દિકરો અને એક દિકરી એમ બે સંતાનો છે. છેલ્લા કેટલાક દિવસોથી દિનેશ તેની પત્ની પર શંકા કરી ઝઘડો કરતો હતો. આખરે આ ઝઘડો હત્યામાં પરિણમ્યો છે.
શંકાના કારણે થયેલા ઝઘડામાં બે બાળકોએ માતૃછાયા ગુમાવી પડી છે. અને પિતા જેલ હવાલે થતા બન્ને બાળકો નિરાધાર બન્યા છે. હાલ પોલીસે આરોપી દિનેશને ઝડપી લઇ પુછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો : Rajkot : ધોરાજીમાં BJP એ 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા, જેતપુરમાં જયેશ રાદડિયા ગેમ ચેન્જર બન્યા!


