નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો, 56 ગોલ્ડ મેડલ માંથી 47 ગોલ્ડ મેડલ દીકરીઓએ મેળવ્યા
અહેવાલઃ કિશન ચૌહાણ, પોરબંદર
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ પોરબંદરના સાંદિપની સભાખંડમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.ભાગવતાચાર્ય ભાઈ રમેશભાઈ ઓઝા અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિતના મહાનુભાવની અતિથિ વિશષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં ૩૭૬૭૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત જાહેર કરવાની સાથે 56 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 48 વિદ્યાર્થીઓને પીએચડી ની પદવી એનાયત કરવામાં આવી હતી.
રાષ્ટ્રપ્રથમની ભાવનાથી યુવાઓ તેના જ્ઞાનનો ઉપયોગ કરે: કામ નાનું હોય તો પણ શ્રેષ્ઠ કરી બતાવવાનું સામર્થ્ય બતાવે: ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ
જુનાગઢ, ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરતા ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી યુવાઓ યુનિવર્સિટીમાં મળેલા જ્ઞાનનો ઉપયોગ દેશની ઉન્નતિ માટે કરી આવનારા પડકારોનો પણ સામનો કરવાની સજ્જતા કેળવે તેમ પણ જણાવ્યું હતું. તમારે તમારા જ્ઞાનનો ઉપયોગ સમય અને સ્થિતિ પારખીને કરવાનો છે તે સંદર્ભમાં મંત્રી ઋષિકેશભાઇ પટેલે પદવી ધારક વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે તમે કોઈપણ કામ છોડો ત્યારે તમારા ખાલીપણાનો અનુભવ થાય એ તમારું સામર્થ્ય બતાવે છે. કોઈપણ કામ પછી ભલે તે નાનું હોય પરંતુ સર્વ શ્રેષ્ઠ રીતે કરવાની પણ તેઓએ હિમાયત કરી હતી.
નરસિંહ મહેતાની જન્મ જયંતીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ એ કર્મ ભક્તિ અને જ્ઞાનનો સંગમ છે: ભાગવતાચાર્ય ભાઈ રમેશભાઈ ઓઝા
આ પ્રસંગે ભાગવતાચાર્ય ભાઈ રમેશભાઈ ઓઝા એ જણાવ્યું હતું કે નરસિંહ મહેતાની જન્મ જયંતીએ પદવીદાન સમારોહ ,બુદ્ધ પૂર્ણિમા જયંતિ, કૂર્મ એમ ભક્તિ કર્મ અને જ્ઞાનનો આજે સંગમ છે. વધુમા જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાના ગુરુશ્રી ઋષિ સાંદીપની ખાતે આયોજિત નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાય રહ્યો છે તે ખૂબ ગૌરવનો વિષય છે. પદવીએ આપણામાં રહેલી યોગ્યતાનું પ્રમાણપત્ર છે જેને યુનિવર્સિટીઓ દ્વારા પારખવામાં આવે છે. પદવીઓનું નિશ્ચિત પણે મહત્વનું છે પરંતુ તેના કરતા વધારે મહત્વનું છે મૂલ્યનિષ્ઠા.
મહાનુભવો હાજરીમાં યોજાયો ભવ્ય પદવીદાન સમારોહ
કાર્યક્રમ પૂર્વે મહાનુભવોએ હરિમંદિરના દર્શન કર્યા હતા તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર ડો. પરાગ દેવાણી દ્વારા તેમજ આભારવિધિ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સરકારના નિયુક્ત એકઝીકયુટીવ કાઉન્સીલના સભ્ય ભાવનાબેન અજમેરા દ્વારા કરવામાં આવી હતી.પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઓડેદરા,નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દિલસુખ સુખડીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણી, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ મધુકર પાડવી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિરોહિત દેસાઈ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી, તેમજ યુનિવર્સિટીની એજ્યુકેટીવ ,એકેડેમિક બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો ચંદ્રેશ હેરમા, જય ત્રિવેદી, જીવાભાઇ, જિલ્લા અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાથીઓ જોડાયા હતા.