Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાષ્ટ્રીય શાયર Jhaverchand Meghani ની આજે 129મી જન્મજયંતિ, જાણો તેમની નોકરીથી પત્રકારત્વ સુધીની સફર

Jhaverchand Meghani : 28 ઓગસ્ટ એ દિવસ ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે વિશેષ છે, કારણ કે આ જ દિવસે 1896માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો હતો.
રાષ્ટ્રીય શાયર jhaverchand meghani ની આજે 129મી જન્મજયંતિ  જાણો તેમની નોકરીથી પત્રકારત્વ સુધીની સફર
Advertisement
  • રાષ્ટ્રીય શાયર Jhaverchand Meghani ની 129મી જન્મજયંતિ
  • લોકસાહિત્યના તારલા ઝવેરચંદ મેઘાણી
  • સૌરાષ્ટ્રના લોકશાયર ઝવેરચંદ મેઘાણી
  • લોકગીતો થી લોકહૃદય સુધી – મેઘાણીની યાત્રા
  • ગુજરાતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી

Jhaverchand Meghani : 28 ઓગસ્ટ એ દિવસ ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે વિશેષ છે, કારણ કે આ જ દિવસે 1896માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી (Jhaverchand Meghani) નો જન્મ થયો હતો. આજે તેમની 129મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સાહિત્યપ્રેમીઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. "આજ મને લાગ્યો કસુંબીનો રંગ" જેવી અમર રચના આજે પણ નવી પેઢીના કાનોમાં ગુંજી રહી છે. ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને Gujarat First હૃદયપૂર્વક અંજલિ અર્પણ કરે છે.

ઝવેરચંદ મેઘાણી : લોકસાહિત્યના તારલા

સૌરાષ્ટ્રની ધરાને પોતાના શબ્દોથી ઝગમગાવનાર ઝવેરચંદ મેઘાણી આજે પણ લોકહૃદયમાં તારલા સમા ઝળહળે છે. 28 ઓગસ્ટે જન્મેલા આ રાષ્ટ્રીય શાયરનું જીવન લોકસાહિત્ય, લોકપ્રેમ અને સાહિત્યસર્જનની ઝરમર યાત્રાથી ભરેલું હતું. તેમની રચનાઓ એટલી અસરકારક છે કે વાચકોને પાળિયે બેઠા કરી દે તેવી શક્તિ ધરાવે છે. લોકગીતો અને લોકકથાઓને ઘરઘર પહોંચાડનારા મેઘાણીનો નાતો ભાવનગર સાથે પણ ગાઢ રહ્યો હતો. તેમણે ઈ.સ. 1912થી 1916 દરમિયાન ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો અને ત્યાંથી સ્નાતકની પદવી મેળવી. સાદગીથી ભરેલા સ્વભાવ અને અખૂટ પ્રતિભાથી તેમણે લોકસાહિત્યને જે ઊંચાઈ આપી તે આજે પણ સૌરાષ્ટ્રની ધરાને ગૌરવ આપે છે.

Advertisement

Literary contributions of Meghani

Advertisement

રાષ્ટ્રીય શાયર Jhaverchand Meghani ની લોકસાહિત્ય વારસો

ઝવેરચંદ મેઘાણી (Jhaverchand Meghani) એ એવા રાષ્ટ્રીય શાયર હતા જેમણે સૌરાષ્ટ્રના ગામડાઓ ખૂંદીને દુર્લભ અને ઐતિહાસિક સાહિત્યનું અમૂલ્ય સંકલન કર્યું. તેમની કલમે સર્જાયેલી સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયો, સોરઠી સંતો, માણસાઈના દિવા, ધરતીનું ધાવણ જેવી રચનાઓ માત્ર સાહિત્યસંપદા જ નથી પરંતુ લોકજીવનને પ્રેમ, કરુણા, દયા અને માનવતા જેવા મૂલ્યો ભણાવતી પ્રેરણારૂપ કૃતીઓ છે. કવિ, લેખક, પત્રકાર, વિવેચક, સંશોધક અને સંપાદક તરીકે મેઘાણીએ જે લોકપ્રતિભાનો પરચો આપ્યો તે અનોખો છે. તેમની જન્મજયંતિ પર આ લોકનાયકને યાદ કરવું એ લોકસાહિત્ય પ્રત્યેનો સાચો આદર છે.

ઝવેરચંદ મેઘાણીના સંસ્કારબીજ અને બાળપણ

28 ઓગસ્ટ 1896ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જન્મેલા ઝવેરચંદ મેઘાણી વણિક પરિવારના સંતાન હતા. તેમના પિતા કાળીદાસભાઈ બ્રિટિશ કાઠિયાવાડ એજન્સીમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા અને માતા ધોળીબાઈ સંસ્કારી તથા સ્નેહભરી સ્વભાવના હતા. પિતાની નોકરી બદલાતી હોવાથી મેઘાણી પરિવાર સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ વસવાટ કરતો રહ્યો, જેના કારણે મેઘાણીજીને બાળપણથી જ વિવિધ સંસ્કૃતિઓનો પરિચય મળ્યો. રાજકોટમાં અભ્યાસની શરૂઆત કરીને તેમણે અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં શિક્ષણ પૂર્ણ કર્યું. તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે અભ્યાસકાળ દરંમિયાન જ સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીના સંસ્કારબીજ પોતાના જીવનમાં વાવી લીધા, જે આગળ જઈને તેમની સાહિત્યસર્જનામાં અને લોકચેતનામાં ઝીલાઈને પ્રગટ થયા.

Jhaverchand Meghani News

નોકરીથી પત્રકારત્વ સુધી ઝવેરચંદ મેઘાણીની સફર

ઝવેરચંદ મેઘાણીએ એમ.એ.નો અભ્યાસ અધૂરો રાખીને કલકત્તામાં જીવણલાલ એન્ડ કંપનીની પેઢીમાં નોકરી સ્વીકારી, જ્યાં તેમને બંગાળી ભાષા અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો પરિચય મળ્યો. આ પ્રેરણાથી તેમણે અનેક બંગાળી ગીતોનું ગુજરાતી ભાષાંતર અને ભાવાનુવાદ કરીને રવિન્દ્રવીણા નામે કાવ્યસંગ્રહ રચ્યો, જે તેમની સાહિત્યિક યાત્રાનો અમૂલ્ય ખજાનો છે. વતનનો આકર્ષક સાદ સાંભળીને સૌરાષ્ટ્ર પરત આવેલા મેઘાણીએ "સૌરાષ્ટ્ર" અને "ફૂલછાબ" અખબારમાં પત્રકાર તથા બાદમાં તંત્રી તરીકે સેવા આપી. આ કાર્યકાળ દરમિયાન તેમણે પત્રકારત્વમાં પોતાની અનોખી ઓળખ ઉભી કરી અને લોકસાહિત્ય સાથે જનસંચારના ક્ષેત્રમાં પણ ઊંડો છાપ છોડી ગયા.

“હું તો ટપાલી છું” – ઝવેરચંદ મેઘાણીનું યાદગાર વ્યાખ્યાન

ઇ.સ. 1940માં રાજકોટ ખાતે યોજાયેલા હિન્દ ચારણ સંમેલનમાં ઝવેરચંદ મેઘાણી (Jhaverchand Meghani) વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત અને મારવાડમાંથી આવેલા વિદ્વાન ચારણ-ગઢવી કવિઓની હાજરીમાં મેઘાણીએ પોણા બે કલાક સુધી સતત વાણીનો ધોધ વહાવ્યો હતો. તેમના વ્યાખ્યાનમાં લોકસાહિત્ય, જીવનમૂલ્યો અને સાહિત્યની મહત્તા વિષયક વિચારો એટલા પ્રભાવશાળી હતાં કે ઉપસ્થિત વિદ્વાનો મંત્રમુગ્ધ થઈને સાંભળતા રહ્યાં. પોતાના આ પ્રવચનના અંતે મેઘાણીએ નમ્રતા સાથે જણાવ્યું કે “હું તો ટપાલી છું,” જે તેમના સાદગીભર્યા વ્યક્તિત્વ અને જનસેવા માટેની ભાવનાનું જીવંત પ્રતિબિંબ હતું.

Jhaverchand Meghani

“હું તો ચારણનો ટપાલી છું” – ઝવેરચંદ મેઘાણીની નમ્રતા

રાજકોટ ખાતે યોજાયેલા હિન્દ ચારણ સંમેલન બાદ લીમડી સ્ટેટના રાજકવિ અને વિદ્વાન ચારણ સાક્ષર શંકરદાનજીએ ઝવેરચંદ મેઘાણીની પ્રશંસા કરતાં કહ્યું કે “હવે તો કળજુગ પૂરેપૂરો આવ્યો,” કારણ કે એક વાણિયાનો દીકરો એવા રીતે સાહિત્યનું મહત્વ સમજાવી રહ્યો હતો કે મોટા ભાગના ચારણ વિદ્વાનો મંત્રમુગ્ધ બનીને સાંભળતા જ રહ્યાં. શંકરદાનજીએ ઉમેર્યું કે સામાન્ય રીતે વાણિયા પાસે તો લોકો હિસાબ લખાવવા અથવા કાગળપત્ર વંચાવવા જાય, પરંતુ અહીં મેઘાણીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ પ્રશંસાનો મેઘાણીએ ખૂબ નમ્રતાથી જવાબ આપ્યો: “હું તો ચારણનો ટપાલી છું બાપુ, એક ઠેકાણાની ટપાલ બીજે ઠેકાણે વહેંચતો ફરું છું, મારું પોતાનું તો આમાં કાંઈ નથી.” તેમના આ જવાબમાં લોકસાહિત્ય માટેનો ઊંડો અભ્યાસ અને સાથે જ સાદગીભરેલું વ્યક્તિત્વ સ્પષ્ટ ઝલકતું હતું.

ઝવેરચંદ મેઘાણીનું સાહિત્યિક સર્જન અને અંતિમ ક્ષણો

ઝવેરચંદ મેઘાણીજીએ પોતાના જીવનકાળમાં નવલકથા, નવલિકા, જીવનચરિત્ર, ઇતિહાસ, પ્રવાસવર્ણન, લોકસાહિત્યના સંશોધન-સંપાદન, વિવેચન, લોકકથા અને લોકગીત જેવા અનેક ક્ષેત્રોને આવરી લેતાં આશરે 88 પુસ્તકોનું સર્જન કર્યું હતું. તેમની આ રચનાઓ માત્ર પ્રગટ જ નહીં પરંતુ વાચકો અને વિદ્વાનો દ્વારા વિશાળ પ્રમાણમાં સ્વીકારવામાં આવી. લોકસાહિત્યના સંશોધન અને ગુજરાતી ભાષાની અવિરત સેવા બદલ તેમને સર્વપ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેમની યાદમાં ભારતીય ટપાલ વિભાગે 1999માં વિશેષ ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આ મહાન સાહિત્યિક યાત્રાનો અંત 9 માર્ચ 1947ની મધ્યરાત્રે બોટાદમાં આવ્યો, જ્યારે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું અને ગુજરાતી સાહિત્યે એક અમૂલ્ય ધ્રુવતારાને ગુમાવ્યો.

Jhaverchand Meghani Tapal Ticket

ઝવેરચંદ મેઘાણીનું અવિસ્મરણીય સાહિત્ય

ઝવેરચંદ મેઘાણીજીએ ગુજરાતી સાહિત્યને નવલકથા, નવલિકા, નાટક, જીવનચરિત્ર, ઇતિહાસ, પ્રવાસવર્ણન, સંશોધન, વિવેચન, લોકકથા અને લોકગીત જેવા વિવિધ વિષયોમાં સમૃદ્ધ બનાવ્યું છે. તેમની રચનાઓમાં ડોશીમાની વાતો, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીયા, કંકાવટી, દાદાજીની વાતો, સોરઠી સંતો, સોરઠી ગીતકથાઓ, પુરાતન જ્યોત, રંગ છે બારોટ, સત્યની શોધમાં, નિરંજન, વસુંધરાનાં વહાલાં દવલાં, સોરઠ, તારાં વહેતાં પાણી, સમરાંગણ, અપરાધી, વેવિશાળ, રા' ગંગાજળિયો‎, બિડેલાં દ્વાર, ગુજરાતનો જય, તુલસી-ક્યારો, પ્રભુ પધાર્યા, કાળચક્ર, ચારણ-કન્યા, લમાળ, કોડિયું, છેલ્લી પ્રાર્થના, મોર બની થનગાટ કરે, ઘણ રે બોલે ને, છેલ્લો કટોરો, ઝાકળબિંદુ કવિતા જેવી અવિસ્મરણીય કૃતિઓ આજે પણ વાંચકોના હૃદયમાં જીવંત છે. આજે પણ તેમની કૃતિઓ નવી પેઢીને વાંચવા પ્રેરિત કરે છે.

આ પણ વાંચો :   Gujarati Top News : આજે 28 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×