ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષા ત્રીજી વખત રદ છે. 13 ફેબ્રુઆરી 2022ના રોજ બિન સચિવાયલ ક્લાર્ક અને ઓફિસ અસિસટન્ટની પરીક્ષા યોજાવાની હતી. જો કે ફરીથી આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત કરી છે કે, વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ પણ 2 વાર આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. પ્રથમ વખત ધો. 12 પાસને પરીક્ષામાં નહીં બેસવા દેવાના મામલે પરીક્ષા રદ કરાઇ હતી. બીજી વાર પેપર ફુટવાને કારણે પરીક્ષા રદ કરવી પડી હતી. અને હવે ત્રીજી વખત પણ પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી આસિત વોરાનું રાજીનામું લેવાયું છે. અને મંડળનો ચાર્જ IAS એ.કે.રાકેશને સોંપાયો છે. અધિક મુખ્ય સચિવ એ.કે રાકેશે જણાવ્યું છે કે, બિન સચિવાયલની પરીક્ષા અંગે નવી તારીખો જાહેર કરાશે. 2 મહિનામાં પરીક્ષા યોજવામાં આવશે, અને પરીક્ષાની નવી તારીખો 15 થી 20 દિવસમાં જાહેર થશે. બિન સચિવાલય કલાર્કની 3901 જગ્યાઓ માટે રવિવારે પરીક્ષા યોજાવવાની હતી. ત્રણ વર્ષના લાંબાગાળા બાદ પરીક્ષા યોજાવાની હોવાથી ઉમેદવારોએ રાતદિવસ મહેનત કરી પરીક્ષાની તૈયારી કરી હતી. પરંતુ ત્રીજી વખત પણ પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં ભારે રોષ છે.પેપરલીક કૌભાંડને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિવાદોમાં છે. ત્યારે હવે પારદર્શક રીતે પરિક્ષા લેવી એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માટે પડકારરૂપ છે.