VADODARA : મ્યુનિ. કમિ. જોડે માથાકુટ બાદ કોર્પોરેટરે કહ્યું, 'હું પ્રજાની માફી માંગું છું'
VADODARA : વડોદરા પાલિકાની સભામાં બે દિવસ પહેલા કોર્પોરેટર આશિષ જોષી અને વડોદરા પાલિકાના કમિશનર દિલીપ રાણા વચ્ચે ડભોઇ મહાનગર નાળાની સફાઇને લઇને તુતુમેંમેં થઇ હતી. તે બાદ અધિકારીઓ દ્વારા આશિષ જોષીની માફીની માંગ સાથે વિરોધ શરૂ કર્યો છે. આ વચ્ચે આશિષ જોષીએ મીડિયાને જણાવ્યું કે, હું પ્રજાની માફી માંગુ છું. આમ, આશિષ જોષીએ મ્યુનિ. કમિ.ની માફીનો આડતકરો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. (BJP CORPORATOR ASK FOR APOLOGY FROM PEOPLE - VADODARA)
એક તબક્કે વાત તુ-તડાક સુધી પહોંચી ગઇ
વડોદરાના ડભોઇ રોડ પર મહાનગર નાળાની સફાઇને લઇને કોર્પોરેટર આશિષ જોષી અને પાલિકા કમિશનર દિલીપ રાણા વચ્ચે રીતસરની તડાફડી બોલી ગઇ હતી. બંને સામસામે આવી ગયા હતા, અને એક તબક્કે વાત તુ-તડાક સુધી પહોંચી ગઇ હતી. કોર્પોરેટરના આ વર્તનથી પાલિકાના અધિકારીઓ નારાજ થયા છે. અને તેમણે કોર્પોરેટર માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ કરવાનું નક્કી કર્યું છે. ગતરોજથી ઓવર ટાઇમ નહીં કરવાની અમલવારી કરવામાં આવી છે. આવનાર સમયમાં વિરોધના અલગ અલગ પ્રકાર સામે આવશે. જો કે, આશિષ જોષીની ઉગ્ર રજુઆત બાદ મહાનગર નાળાનું સફાઇ કામ તેજ કરી દેવામાં આવ્યું છે.
પૂરના પાણી લોકોના ઘરોમાં 4 દિવસ રહ્યા
વોર્ડ નં - 15 ના કોર્પોરેટર આશિષ જોષીએ મીડિયાને જણાવ્યું કે, હું પ્રજાની માફી માંગું છું. પ્રજા માટે આ નાળું સાફ નથી કરાવ્યું, પ્રજાના ટેક્સના પૈસાનું વળતર પ્રજાને નથી મળ્યું. ઉપરથી તેમને રાહત મળવી જોઇએ તે કેશડોલ પણ મળી નથી. તે માટે હું પ્રજાની માફી માંગુ છું. અધિકારીઓએ તેમને પગાર લીધો પરંતુ નાળાને ચોખ્ખું ના કર્યું. પ્રજાને નાળાની સફાઇ નહીં કરવાના કારણે પૂરના પાણી લોકોના ઘરોમાં 4 દિવસ રહ્યા છે. તે માટે હું તેમની માફી માંગુ છું. નાળું સાફ કરવા માટે પંપ મુકવાની જગ્યાએ સામે આર્ગ્યુમેન્ટ કરવામાં આવે. પ્રજાના પ્રશ્નો માટે આર્ગ્યુમેન્ટ કરવામાં આવે, મેં કરેલી રજુઆત બરાબર જ હતી. હું પ્રજા માટે લડતો હતો. અને લડતો રહીશ.
આ પણ વાંચો --- VADODARA : પાલિકાના પદાધિકારીઓ વચ્ચે આંતરિક ડખાના સંકેત


