VADODARA : ઐતિહાસિક ચાર દરવાજાના પીલ્લરના પોપડા ખર્યા
VADODARA : વડોદરા (VADODARA) પાસે ઐતિહાસિક વારસાનો દુર્લભ ખજાનો છે. પરંતુ તેની જાળવણીમાં તંત્ર ઉણું ઉતર્યું છે, આ વાત સૌ કોઇ શહેરવાસી જાણે છે. ત્યારે એક તરફ ન્યાય મંદિરની જાળવણી માટે પાલિકા ખર્ચ કરી રહી છે. બીજી તરફ આ ઇમારતથી ટુંકા અંતરે આવેલા ઐતિહાસિક માંડવી ચાર દરવાજાના પીલ્લરના પોપડા ખરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેને કારણે પાલિકાએ તમામ ઐતિહાસિક ઇમારતો પ્રત્યે સરખું વલણ અપનાવવું જોઇએ તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે આ મામલો સપાટી પર આવ્યા બાદ પાલિકા તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.
હેરીટેજ સ્કવેર ડેવલોપ કરવા માટે કરોડો રૂપિયાની ફાળવણી
વડોદરાને સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વડોદરાના ઐતિહાસિકતાને ચાર ચાંદ લગાડવવા માટે પાલિકાનું તંત્ર અને વડોદરાના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લ ખુબ પ્રયાસો કરી રહ્યા છે. જેના ફળ સ્વરૂપે ન્યાયમંદિરની આસપાસ હેરીટેજ સ્કવેર ડેવલોપ કરવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવનાર છે. ત્યારે પાલિકાના આ પ્રોજેક્ટથી થોડેક જ દુર માંડવીના ચાર દરવાજા આવેલા છે. ચાર દરવાજાનું પણ ઐતિહાસિક મહત્વ છે. પરંતુ તેની હાલત હાલ દયનીય છે.
તંત્ર દ્વારા ચાર દરવાજાની ઉપેક્ષા કરવામાં આવી રહી છે
વડોદરાના ચાર દરવાજાના પીલ્લરના પોપડા ખરી રહ્યા છે. ચાર દરવાજામાં માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહિંયા ખાસ કરીને રવિવારે મોટી સંખ્યામાં માંઇ ભક્તો દર્શને આવે છે. ત્યારે તેની દયનિય હાલત જોખમી નીવડી શકે છે. ચાર દરવાજા વિસ્તારમાં અવાર નવાર હોર્ડિંગ્સ માફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવે છે. આ જોતા ક્યાંય તંત્ર દ્વારા ચાર દરવાજાની ઉપેક્ષા કરવામાં આવી રહી હોય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે. હવે આ મામલો મીડિયા મારફતે સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે હવે સત્તાધીશો દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું. હાલની સ્થિતી જોતા જો સમયસર નિર્ણય લેવામાં નહીં આવે તો મોડું થઇ જાય તેમ છે.
આ પણ વાંચો --- VADODARA : બોમ્બ થ્રેટ બાદ નવરચના સ્કુલ સંચાલકોનું પ્રથમ નિવેદન સામે આવ્યું


