VADODARA : ડ્રેનેજનું ઢાંકણું ખોલતા નવજાતનો સડેલો મૃતદેહ મળ્યો
VADODARA : સંસ્કારી નગરી વડોદરા (VADODARA) ને શર્મસાર કરે તેવો કિસ્સો સપાટી પર આવ્યો છે. તાજેતરમાં શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલી ઝુપડપટ્ટીની ડ્રેનેજ ચેમ્બરમાંથી નવજાતનો સડેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળકની જનેતાની ભાળ મેળવવા માટે પોલીસે (VADODARA POLICE) વિવિધ ટીમો બનાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગટર લાઇન ચોકઅપ થતા ફરિયાદ કરવામાં આવી
તાજેતરમાં વડોદરાના સોમા તળાવ ઝુંપડપટ્ટીની ડ્રેનેજ ચેમ્બર ખોલતા જ સૌ કોઇ ચોંકી ઉઠે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ચેમ્બરમાંથી નવજાત બાળકનો સડેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રેવા બા નગર ઝુંપડપટ્ટીની ઘટનાને પગલે કપુરાઇ પોલીસ દોડતી થઇ હતી. આ વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થતા સ્થાનિકો દ્વારા પાલિકામાં તે સંબંધિત ફરિયાદ કરવામાં આવી હતી. આ સમસ્યાનો ઉકેલ કાઢવા માટે ડ્રેનેજ ખોલતા જ નવજાત શીશુનો સડેલો મૃતદેહ મળી આવ્યો હતો.
બાળક આધુરા માસે જન્મ્યું હોવાનો અંદાજ
કપુરાઇ પોલીસ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ બાળક આધુરા માસે જન્મ્યું હોવાનો અંદાજ છે. બાળકના માતા-પિતાની ભાળ મેળવવા માટે પોલીસે નજીકની હોસ્પિટલ, પીએચસી સેન્ટર અને સીએચસી સેન્ટરમાં તપાસનો દોર લંબાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ વિસ્તારની સગર્ભા મહિલાઓની પુછપરછ પણ કરવામાં આવી છે. જો કે, આ વિસ્તારમાં સીસીટીવી ના હોવાના કારણે પોલીસને ટેક્નોલોજીની કોઇ ખાસ મદદ મળી રહે તેવું હાલ જણાતું નથી.
આ પણ વાંચો -- VADODARA : ગુનાખોરીમાં અડધી સદી વટાવી ચૂકેલા રીઢા આરોપીને દબોચતી ક્રાઇમ બ્રાન્ચ