VADODARA : શહેરની શાળાના દ્વારેથી શરૂ થયેલી સાયકલ યાત્રાનું ઇંગ્લેન્ડમાં સમાપન થશે
VADODARA : એવરેસ્ટ વિજેતા દીકરી નિશાકુમારી (EVERST GIRL - NISHA KUMARI, VADODARA) વડોદરાથી લંડન સાયક્લ પ્રવાસ (VADODARA TO LANDON CYCLE TOUR - NISHA KUMARI) ના અંતિમ 300 કિલોમીટર પુરા કરવા પ્રવાસ માર્ગના 15 માં દેશ ફ્રાન્સથી લંડન - નિસડેન જવા સજ્જ છે.તેણે આ યાત્રા સરસ્વતી મંદિર એટલે કે વડોદરા માં શાળાના દ્વારે થી શરૂ કરી હતી. હવે તેનું સમાપન યુકેમાં નિસડેન ના દેવ મંદિરના દ્વારે 19 મી જાન્યુઆરીએ થશે. લગભગ 17 હજાર કિલોમીટર ની અનેકવિધ કુદરતી અને રાજનૈતિક પડકારો થી ભરેલી મહાસાયકલ યાત્રા લગભગ 6 મહિના અને 25 દિવસ ના પ્રવાસ પછી 16 માં દેશમાં પુરી કરશે. ત્યારે તે ઐતિહાસિક સિલ્ક રૂટ સહિતના મહાવિકટ રસ્તા પર સાયકલ યાત્રા કરનારી માત્ર વડોદરા, ગુજરાત, કે ભારતની નહીં કદાચિત વિશ્વની પહેલી મહિલા પ્રવાસી બનશે. હજુ સુધી આ રૂટ પર આ પ્રકારે સાયક્લ યાત્રા પુરુષ કે મહિલા કોઈએ કર્યા ની નોંધ ઉપલબ્ધ નથી એવું સતત વાહનમાં એની સાથે રહેલા કોચ અને ગાઈડ નિલેશ બારોટનું કહેવું છે. નોંધ લેવી પડે કે નિલેશભાઇએ નિશાના માર્ગદર્શક તરીકે આખા રૂટની વાહન યાત્રા કરીને એક અનોખો વિક્રમ એમના નામે કર્યો છે.ફ્રાન્સના કાંઠાથી યુકે ના કાંઠા સુધીની અનિવાર્ય સમુદ્ર યાત્રા સિવાય આખું અંતર આ સાહસિકો એ જમીન માર્ગે પૂરું કર્યું છે.
અઘરો સંકલ્પ 19 મી જાન્યુઆરી ના રોજ પૂરો થઈ જશે
છેલ્લા તબક્કામાં નિશા અને નિલેશભાઈ એ ફ્રાન્સમાં પેરિસના પ્રખ્યાત એફિલ ટાવરના સાનિધ્યમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ગર્વની લાગણી અનુભવી હતી. નિશાએ 17 મી મે,2023 ના રોજ વિશ્વના સહુથી ઊંચા અને બરફથી છવાયેલા પર્વતરાજ એવરેસ્ટનું સફળ આરોહણ કર્યું અને તે દરમિયાન હિમદંશ ની અસહ્ય વેદના વેઠી. લગભગ 6 મહિના એની સારવાર ચાલી.એ દરમિયાન જ એણે પર્યાવરણ રક્ષણની જાગૃતિ કેળવવા આ મહાસાયકલ પ્રવાસનો સંકલ્પ કર્યો.અને એકવર્ષ થી ઓછા સમય માં હવે એ અઘરો સંકલ્પ 19 મી જાન્યુઆરી ના રોજ પૂરો થઈ જશે. જો કે તે દરમિયાન અસહ્ય ગરમી, અસહ્ય, ઠંડી, બરફ વર્ષા અને ચીનમાં હતાશ કરી દેનારા રાજનૈતિક અવરોધોનો સામનો કર્યો છે.
બરફ છવાયેલી ભૂમિમાં ઇન્ડોર વૃક્ષરોપણ પણ કર્યું
આ પ્રવાસ દરમિયાન યજમાન સંસ્થાઓ અને પરિવારોના સહયોગ થી આ પ્રવાસીઓ એ 1150 જેટલા વૃક્ષો વાવ્યા છે. બરફ છવાયેલી ભૂમિમાં ઇન્ડોર વૃક્ષરોપણ પણ કર્યું છે. તેનું કારણ એ છે કે આ સાયકલ પ્રવાસનો આશય જ, હવામાન આકરું બને,વાતાવરણ વિષમ બને તે પહેલાં જ પ્રકૃતિ અને પર્યાવરણ ની સુરક્ષા કરોનો સંદેશ આપવાનો છે. change before climate change નો સંદેશ વિશ્વના બે ખંડમાં આ સાયકલ પ્રવાસ દ્વારા આપ્યો છે.
પર્યાવરણ જાગૃતિનો સંવાદ કર્યો
પ્રવાસ દરમિયાન વિવિધ દેશોના લોકોએ પ્રવાસીઓને હેતથી આવકાર્યા. ભારતીય રાજ દૂતાવાસો અને ભારતીય પરિવારો એ અભૂતપૂર્વ આવકાર આપ્યો.નિશાએ શાળાઓ,વિશ્વ વિદ્યાલયો અને સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને લોકો સાથે પર્યાવરણ જાગૃતિનો સંવાદ કર્યો. માર્ગદર્શક નિલેશ બારોટ નું કહેવું છે કે આ એક અઘરા અભિયાનમાં નિશાને પીઠબળ આપવાની મળેલી તક નો અને નિશાના અડગ સંકલ્પ ની સિદ્ધિનો મને આનંદ છે.
દેવ દ્વારે પુરી કરવાની સંમતિ આપી
નિસડેન સ્વામિનારાયણ મંદિરે નિશાને તેની મહાસાયકલ યાત્રા દેવ દ્વારે પુરી કરવાની સંમતિ આપી છે. બાપ્સ સંચાલિત આ મંદિર લંડનના નિસડેનમાં પ્રમુખ સ્વામી માર્ગ પર આવેલું છે. જ્યાં રવિવાર તા.19 મી જાન્યુઆરી ના રોજ બપોર બાદ 4 વાગે ( ભારતમાં રાત્રીના લગભગ 9.30 કલાકે) ભગવાન સ્વામિનારાયણ નારાયણ ના દિવ્ય દર્શન થી પ્રકૃતિ સુરક્ષા માટેનો આ મહા પ્રવાસ યજ્ઞ પૂરો થશે. નિશા અને કોચ નિલેશભાઈ ની આ યાત્રા સિદ્ધિ સમગ્ર દેશને ગૌરવ અપાવનારી છે.
આ પણ વાંચો --- VADODARA : સંસ્કારી નગરીમાં વર્ષનું પહેલું અંગદાન, અનેકને આપશે નવું જીવન


