VADODARA : કેનેડાના વિઝા અપાવવાના બહાને ભાણીયાએ મામાને ચૂનો ચોપડ્યો
VADODARA : વડોદરા ગ્રામ્યના કરજણ (KARJAN - VADODARA RURAL) માં રહેતા ફરિયાદીની તેના ભાણીયા દ્વારા કેનેડાના વિઝાના નામે મોટી રકમનો ચૂનો ચોપડ્યો હોવાનું સામે આવ્યું છે. એક પછી એક વિઝાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હોવાનું જણાવીને આખરે નકલી એર ટિકિટ મોકલી હોવાનું પકડાતા મામાને શંકા ગઇ હતી. જે બાદ વિઝાની ફાઇલ બંધ કરીને પૈસા પરત કરવા માટે જણાવ્યું હતું. વિઝાની ફાઇલ તો બંધ કરી દેવામાં આવી પરંતુ પૈસા આજદિન સુધી પરત મળ્યા નથી. આખરે વિઝાના નામે છેતરપીંડિ મામલે (CANADA VISA FRAUD CASE - KARJAN, VADODARA) ફરિયાદીએ પોતાની બહેન અને ભાણીયા સામે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
તારે જવું હોય તો હું નંબર આપું
કરજણ પોલીસ મથકમાં દર્શન વિનોદભાઇ પટેલ (રહે. કંડારી, સ્વામીનારાયણ ખડકી, કરજણ-વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમણે આઇટીઆઇ માં ઇલેક્ટ્રીશીયનનો અભ્યાસ કરેલો છે. તેમના માતા અમેરિકામાં રહે છે. વર્ષ 2009 માં તેઓ અભ્યાસના વિઝા મેળવીને લંડન ગયા હતા. અને વર્ષ 2014 માં પરત ફર્યા હતા. કોરોના કાળ બાદ તેમનો ભાણો અભ્યાસના વિઝા લઇને કેનેડા ગયો હતો. ત્યાર બાદ તેમણે કેનેડાના વિઝા અંગેની માહિતી એકત્ર કરતા હતા. દરમિયાન ફરિયાદીને દિવ્યાંગીની બહેને જણાવ્યું કે, કેનેડા જવા માટે વિઝીટર ટુ વર્ક પરમીટ વિઝા થાય છે, આ કામ મારો દિકરો ધ્રુવકુમાર પટેલ કરે છે. તારે જવું હોય તો હું નંબર આપું. બાદમાં નંબર મળતા વિઝા અંગે વાત થઇ હતી.
ટિકિટ કોપી વોટ્સએપથી મોકલી
ધ્રુવ કુમારે ફરિયાદી મામાને વિઝા થઇ જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. તેની માટે તે કહે તેમ કરવા સૂચન કર્યું હતું. તે બાદ પ્રથમ રૂ. 15 હજાર માંગવામાં આવ્યા હતા. ત્યાક બાદ અલગ અલગ સમયે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરાવડાવ્યા હતા. વર્ષ 2013 માં અમદાવાદથી ટોરેન્ટોની ટિકિટ માટે મોટી રકમ મોકલી હતી. જેની ટિકિટ કોપી વોટ્સએપથી મોકલી હતી. જેને એમ્બેસીમાં બતાવવાની હોવાનું જણાવ્યું હતું. જો કે, ત્યાર બાદ વિઝીટર વિઝામાં પ્રોબ્લેમ હોવાનું જણાવ્યું હતું. અને નવેસરથી વર્ક પરમીટના વિઝા કરાવવા જણાવ્યું હતું. અગાઉની ટિકિટના પૈસાનું રિફન્ડ પોતાના એકાઉન્ટમાં મેળવીને પરત કરવાની બાંહેધારી આપવામાં આવી હતી.
વર્ક પરમીટના વિઝાનું કામ થઇ ગયું
ત્યાર બાદ વર્ક પરમીટની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી પૈસા ચૂકવ્યા હતા. ત્રણ મહિના બાદ ફરિયાદીને જણાવ્યું કે, વર્ક પરમીટના વિઝામાં તકલીફ થાય તેવું છે, જેથી મામી (ફરિયાદીના પત્ની)નું નામ ઉમેરવું પડશે. બાદમાં જરૂરી ડોક્યૂમેન્ટ્સ પીડીએફ ફોરમેટમાં મંગાવવામાં આવ્યા હતા. અને પૈસાની ચૂકવણી કરવામાં આવી હતી. બાદમાં ધ્રુવ લગ્નપ્રસંગમાં ભાગ લેવા માટે સ્વદેશ આવતા બંનેની મુલાકાત થઇ હતી. તે સમયે પણ તેણે વર્ક પરમીટના વિઝાનું કામ થઇ ગયું હોવાનું જણાવ્યું હતું.
આ ટિકિટ ઇશ્યુ કરી નથી
ત્યાર બાદ વર્ક પરમીટના વિઝામાં પ્રોબ્લેમ થયો હોવાનું જણાવીને બિઝનેસ વિઝાની પ્રોસેસ કરવા જણાવ્યું હતું. જે બાબતે ફરિયાદીએ અલગ અલગ એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હાતા. જેની સામે દિલ્હીથી અબુધાબી અને અબુધાબીથી ટોરેન્ટોની ટિકિટ વોટ્સએપ થકી મોકલી હતી. પરંતુ તે અંગે ફરિચાદીને શંકા જતા તેણે એર લાઇન્સના કસ્ટમર કેરમાં ફોન કરીને માહિતી મેળવી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ ટિકિટ ઇશ્યુ કરી નથી. બાદમાં ફરિયાદીએ જાણ કરતા ધ્રુવકુમારે કહ્યું કે, આ ટિકિટની તમે ચિન્તા ના કરો, મેં એમ્બેસીમાં મુકવા માટે ખોટી બનાવડાવી છે. અંતમાં ફરિયાદીએ ફાઇલ બંધ કરવા અને અત્યાર સુધી ચૂકવેલા નાણાં પરત કરવા જણાવ્યું હતું.
પરિવારના એક પણ સભ્ય જોડે વાત થઇ શકી ન્હતી
જે બાદ ધ્રુવકુમારે પૈસા પાછા આવી જશે તેમ જણાવ્યું હતું. દરમિયાન તેના પિતાનું મોત થતા તે સ્વદેશ આવ્યો હતો. આ સમયે ફરિયાદી તથા અન્ય પરિજનો તેને મળ્યા હતા. અને બાદમાં પૈસા પરત કરવા માટેનું લખાણ લખવામાં આવ્યું હતું. જેમાં મકાનની પાવતી ટોકન તરીકે લખી આપી હતી. જો કે, ત્યાર બાદ ખોટા કાર્યમાં સામેલ પરિવારના એક પણ સભ્ય જોડે વાત થઇ શકી ન્હતી. આખરે રૂ. 2.70 કરોડની ઠગાઇનો મામલો પોલીસ મથક પહોંચ્યો છે. જેમાં ધ્રુવકુમાર ગૌરાંગભાઇ પટેલ, દિવ્યાંગીનીબેન ગૌરાંગભાઇ પટેલ અને મનાલીબેન દિપકકુમાર પટેલ (તમામ રહે. માંજલપુર, વડોદરા) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો --- VADODARA : મહેમાનીની દાવત માણવા ગયેલા પરિવારનું 14 તોલા સોનું ગાયબ


