VADODARA : હરણી બોટકાંડમાં મૃતક શિક્ષિકાઓના બનાવટી દસ્તાવેજો ઉભા કરાતા ચકચાર
VADODARA : વડોદરાના હરણી બોટકાંડમાં (HARNI BOAT ACCIDENT - VADODARA) 12 બાળકો અને 2 શિક્ષિકાઓનો મોત નિપજ્યા હતા. હાલ મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવા માટેની સુનવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પીડિત પક્ષના સિનિયર વકીલ હિતેષ ગુપ્તા દ્વારા શાળા સંચાલકો વિરૂદ્ધ સનસનીખેજ આરોપ લગાડવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, મૃતક શિક્ષિકાઓને ઓછું વળતર ચૂકવાય તે માટે બદઇરાદાપૂર્વક શાળા સંચાલકો દ્વારા બનાવટી સહી સાથેના દસ્તાવેજો રજુ કર્યા છે. આ સાથે જ તેમણે શાળા સંચાલકો તથા તેમને મળતિયા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે.
ડોક્યૂમેન્ટ્સમાં છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલની સહી ખોટી
હિતેશ ગુપ્તાનું મીડિયાને કહેવું છે કે, મૃતક શિક્ષિકા ફાલ્ગુનીબેન 35 વર્ષશી ન્યુ સનરાઇઝ સ્કુલ (NEW SUNRISE SCHOOL FRAUD - VADODARA) માં ફરજ બજાવતા હતા. શાળાના વાઉચર પર વધુ રકમ લખીને, તેમને ઓછી રકમ ચૂકવવામાં આવતી હતી. વાઉચરો મંગાવ્યા ત્યારે વાત ખુલીને સામે આવી કે, વળતરની સુનવણીમાં શાળાએ પ્રમાણિત કરેલા ડોક્યૂમેન્ટ્સમાં છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલની સહી ખોટી છે. બીજી તરફ ફાલ્ગુની બેનના પતિ મનીષભાઇ પત્નીની સહીવાળા ડોક્યૂમેન્ટ્સ લઇને આવ્યા હતા. જે સરખાવતા આ ભેદ ખુલ્યો છે.
ફાલ્ગુનીબેનના નામ સામેનું કોષ્ટક ખાલી રાખવામાં આવ્યું
વધુમાં તેમનું કહેવું છે કે, શાળાના સંચાલકો તથા તેમના મળતિયાઓ દ્વારા બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા છે. તે તમામ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. શાળા સંચાલકો દ્વારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજોમાં છાયાબેનના નામે પીએફ કોષ્ટકમાં રૂ. 900 કાપ્યા છે. જ્યારે 35 વર્ષથી ફરજ બજાવતા ફાલ્ગુનીબેનના નામ સામેનું કોષ્ટક ખાલી રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ શાળા સંચાલક દ્વારા આરોપો ખોટા હોવાનું જણાવ્યું છે. અને પોતો વાલીઓ સાથે હોવાનું રટણ મીડિયા સમક્ષ કર્યું હતું.
આ પણ વાંચો --- VADODARA : રખડતા શ્વાન કરડવાના કિસ્સામાં એકાએક વધારો


